ત્રણેય અરજદારે ચૂની ગજેરાને કાવતરામાં મદદરૂપ થઈ તેમનો ગુનાહિત ઇરાદો સ્પષ્ટ કર્યાનું કોર્ટના ધ્યાન પર આવ્યું
આરોપીઓના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર હોવાનું નોંધી કોર્ટે આગોતરા નામંજુર કર્યા
રામજીકૃપા રો હાઉસના વિવાદી જમીન પ્રકરણમાં બુધવારે સેકન્ડ એડશિનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. કે. શાહે અરજદાર એડ્વોકેટ નાઝમુદ્દીન રહેમતુલ્લા મેઘાણીની રેગ્યુલર જામીન મંજુર કર્યા હતા, તે સિવાયના અન્ય ત્રણ અરજદાર હાલ વલસાડ મધ્યાહ્ન ભોજન યોજનામાં નાયબ કલેક્ટર અને તે સમયે કૃષપિંચના મામલતદાર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ છગનભાઈ પટેલ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા નિઝામુદ્દીન અબ્દુલહમીદ જરીવાલા તથા ઇસ્માઇલભાઈ હતુભાઈ પટેલના આગોતરા જામીન ફગાવી દીધા છે. જેના પગલે સદર ત્રણેય આરોપીની ધરપકડનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.
આ કેસના મુખ્ય આરોપી એવા ચૂની ગજેરા સામે કતારગામ રામજીકૃપા રો હાઉસવાળી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડીને ઠગાઈ કરવાના આશયથી તેની માલિકીની હેરાફેરી કરવાનો આક્ષેપ છે. લાંબા સમયથી ચાલતા આ કેસમાં આગોતરા જામીન માગનાર હાલના ત્રણેય અરજદારે ચૂની ગજેરાને આ ગુનાહિત કાવતરામાં મદદરૂપ થઈ તેમનો ગુનાહિત ઇરાદો સ્પષ્ટ કર્યો છે અને જે બાબત પ્રથમ દર્શનીય રીતે કોર્ટના ધ્યાન પર આવી છે. આ જામીનઅરજીઓની સુનાવણી સમયે આરોપીતરફે એડ્વોકેટ કલ્પેશભાઈ દેસાઈ અને સરકારતરફે ડીજીપી નયન સુખડવાલાએ દલીલો કરી હતી.
ખાસ તો જામીનઅરજીઓ સમયે ડીસીબી પીઆઈ જે.એમ. પટેલ તપાસના તમામ કાગળો સાથે હાજર રહ્યા હતા અને તેઓએ આગોતરા જામીનઅરજી સમયે રજુ કરેલા ફિંગરપ્રિન્ટ નિષ્ણાત, એફએસએલનો રિપોર્ટ અને તકરારી દસ્તાવેજો અતિ મહત્વપૂર્ણ સાબિત પુરવાર થયા હતા.
આ કેસમાં બંને વકીલ તેમજ પૂર્વ મામલતદારની ભૂમિકા અને કોર્ટનાં તારણ...
એડ્વોકેટ ઇસ્માઇલભાઈ પટેલ રાંદેર પીપરડીવાલા સ્કૂલની સામે પેરેડાઇઝ એપાર્ટ.ની બાજુમાં રહેતા અરજદાર ઇસ્માઇલભાઈ અગાઉ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા હતા અને ૧૯૮૬થી જિલ્લા અને રેવન્યુ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. ચૂની ગજેરાના મેળાપીપણામાં તેઓએ રામજીકૃપાવાળી જમીનનાં મૂળ માલિક સોમીબહેન ૧૨-૧-૯૯ના ગુજરી ગયાં હોવા છતાં ટેનન્સી કેસના કામે તેણીની હયાતી દર્શાવી કેસ દાખલ કરાવ્યો હતો.
અરજદારે આ કામે જે બોગસ અને બનાવટી કુલમુખત્યારનામું બનાવેલું તે ટેનન્સી કેસ દાખલ કરતી વખતે પણ રજુ કરેલ નહીં. આ કેસમાં કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે કે મુખ્ય આરોપી ચૂનીભાઈ ગજેરાના લાભમાં હુકમ થાય તે રીતે કરોડો રૂપિયાની જમીન બિનઅધિકૃત રીતે હેરાફેરી કરવાનો, ઠગાઈ કરવાનો પ્રથમ દર્શનીય કેસ અરજદાર સામે સ્પષ્ટ થાય છે. ટેનન્સી કેસમાં જે દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે તેમાં સાચી વ્યક્તિઓની સહી અને અંગૂઠાનાં નિશાન નથી જે એફએસએલના રિપોર્ટ પરથી ફલિત થાય છે.
એડ્વોકેટ નિઝામુદ્દીન
અડાજણ પાટિયા, શબનમ પાર્ક ખાતે રહેતા અને ૧૯૭૩થી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અરજદાર નિઝામુદ્દીન જરીવાલાએ વાદગ્રસ્ત જમીનના મૂળ માલિકો ચંદુભાઈ, ગોપાલભાઈ, મનુભાઈ અને કોકિલાબહેનની જાણ બહાર ભળતી જ વ્યક્તિઓનાં સહી, અંગૂઠાનાં નિશાન અને જવાબો રેવન્યુ તેમજ સિવિલ કોર્ટમાં રજુ કરેલ છે. આ બાબત કોર્ટના ધ્યાન પર આવી હતી. તેમના વકીલપત્રમાં પણ સાચા પક્ષકારોના અંગૂઠા અને સહી નથી. આથી કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈ બુધવારે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં એડ્વોકેટ નિઝામુદ્દીન જરીવાલાની ભૂમિકા અંગે અફસોસ વ્યક્ત કરી કોર્ટે કડક ટીકા પણ કરી હતી.
નાયબ મામલતદાર ધીરુભાઈ પટેલ
પીપલોદ, ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ગુજરાત સરકારના કાયમી કર્મચારી એવા વલસાડ મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ મામલદાર ધીરુભાઈ પટેલ ૨૦૦૧ની સાલમાં કૃષિ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. આ સમયે તેઓ સમક્ષ ટેનન્સી કેસ નંબર ૫૬-૨૦૦૧ આ કામના મુખ્ય આરોપી ચૂનીભાઈ ગજેરા પોતે પાવર ઓફ એટર્ની ધરાવે છે તે હેસિયતથી દાખલ કરેલો. જે તે સમયે પાવર ઓફ એટર્ની દાખલ કર્યો ન હતો અને પછી ૨૩-૧-૦૨ના રોજ પાવર ઓફ એટર્ની મુકાયો. જે ખરેખર શરૂઆતના તબક્કામાં જ રજુ કરવાનો રહે છે.
આ બાબતની હાલના અરજદાર ધીરુભાઈએ કોઈ ખાતરી જ કરી ન હતી. આ તમામ હકીકત કોર્ટના ધ્યાન પર આવી હતી. કોર્ટે આ અરજી પર નોંધ્યું છે કે આ ટેનન્સી કેસમાં ૨૪-૭-૦૧ના સોમીબહેનનો જવાબ રજુ થયો છે, હકીકતમાં તેણી ૧૨-૧-૯૯ના મરણ પામી હતી ત્યારે હાલના અરજદાર સામે પ્રથમદર્શનીય પુરાવા છે. અંતે બુધવારે કોર્ટે તેમની આગોતરા ફગાવી દીધી હતી.
માત્ર મેઘાણીને કોર્ટની કલીનચીટ
જ્યારે રેગ્યુલર જામીન મેળવનાર અરજદાર નાઝમુદ્દીન મેઘાણીના મામલે કોર્ટે નોંધ્યું હતું કે દસ્તાવેજી પુરાવામાં અરજદારની કોઈ પણ જગ્યાએ સહી નથી કે તેઓએ જાતે ઓળખાણ આપી હોય તેવી હકીકત પણ ખૂલતી નથી. વકીલાતના વ્યવસાયરૂપે તેઓએ કરેલી કાર્યવાહીમાં કોઈ ગુનાહિત ઇરાદો હોય તેવી હકીકત ખૂલતી નથી. અરજદાર મેઘાણીના એડ્વોકેટ તરીકે કલ્પેશભાઈ દેસાઈએ દલીલો કરી હતી.