સુરત અને તાપી જિલ્લાના ૨પ૦ જેટલા ત્રીજા વર્ગના મહેસુલના કર્મચારીઓ શનિવારના રોજ એકત્રિત થયા હતાં. તેમાં નાયબ મામલતદારોની જિલ્લા બહાર બદલી કરવા સામે તમામ કર્મચારીઓ દ્વારા લડત આપવા નિર્ણય કરાયો હતો. આ ગંભીર મામલે ગુજરાતના ત્રીજા વર્ગના તમામ કર્મચારી સંગઠનો સાગમટે રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવવા તૈયાર છે. પ્રથમ તબક્કામાં આ મામલે મહેસુલ મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવશે.
અહિંસક માર્ગે આંદોલન કરાશે
સમગ્ર ગુજરાતના ત્રીજા વર્ગના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના નાયબ મામલતદારોની જિલ્લા બહાર બદલી કરવા સામે કાળી પટ્ટી ધારણ કરવી, સામૂહિક સીએલ પર ઉતરી જવું, પ્રતિક ઉપવાસ કરવા, વિશાળ રેલી કાઢવી જેવા કાર્યક્રમો અપાશે.
આ છે લડતના મુદ્દા
ઉગ્ર વિરોધ કરવો અને મહેસૂલ મંત્રીને આવેદનપત્ર આપવું.
૧૬ એપ્રિલ,૧૯૭૦ના ઠરાવ પ્રમાણે કલેક્ટર દ્વારા જે તે જિલ્લામાં સરકારી કારકુનોની નિમણૂક જિલ્લામાં જ નોકરી કરવાની શરતે આપવામાં આવી હતી. રિટાયર્ડ થવા આરે ગણતરીના વર્ષો બાકી છે, ત્યારે તેમની જિલ્લા બહાર બદલી કરવી તે વ્યાજબી નથી.
વર્ષ૧૯૯૦થી કોઇ સરકારી કર્મચારીની નિમણૂંક કરાઇ નથી, તેથી હાલમાં તમામ નાયબ મામલતદારો સરકારી કારકૂનોનું પણ કામ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં નાયબ મામલતદારોને સ્ટેટ કેડરમાં લેવા તે વ્યાજબી નથી.
નાયબ મામલતદારો કે વર્ગ-૩ના કર્મચારીઓને કોઈ નીતિવિષયક નિર્ણય કરવાની સત્તા નથી. તેથી નાયબ મામલતદારોનો રોલ માત્ર જે તે કાયદા કે કામગીરીનો અમલ કરવાનો છે. આમ જિલ્લા બહાર બદલી કરવાનો નિર્ણય સદંતર ગેરવ્યાજબી છે.