સુરતથી મુંબઇ ૮ લેનના રસ્તા ઉપર ૧૨૦ કિમી દર કલાકની ઝડપે માત્ર ૨ જ કલાકમાં પહોંચવું હવે વાસ્તવિકતા બનશે અને તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જમીન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હોવાની જાણકારી મળી હતી.
દિલ્હીથી હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરત અને મુંબઇ વચ્ચે ૮ લેન બનાવવાનો નિર્ણય મુંબઇ અને હજીરા વચ્ચેના ટ્રાફિકને ધ્યાનમાં લઇને કરાયો છે. હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગોને કારણે ભારે ટ્રાફિક રહે છે અને ૮ લેનથી તેને ફાયદો થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું. આ માર્ગની ડિઝાઈન ૧૨૦ કિમી દર કલાકથી ઝડપ માટે તૈયાર કરાઇ છે.આ માર્ગ રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨માં નક્કી કરેલા એલાઇનમેન્ટ મુજબ જ તૈયાર કરાશે. સમગ્ર માર્ગ માટે ૬૦૦ મીટરના ગાળાની જમીન નક્કી કરવામાં આવી છે જેમાંથી હાલ વડોદરાથી ગુજરાત બોર્ડર સુધી ૧૨૦ મીટર લેવામાં આવશે.
અમદાવાદથી દહીસર સુધી તૈયાર થનારા આ માર્ગની કુલ લંબાઇ ૪૮૦ કિમીની છે જ્યારે વડોદરાથી દહીસરની લંબાઇ ૩૮૦ કિમીની છે. ૭૫૦૦ કરોડના વડોદરા-દહીસર માર્ગનું કામ ડિસેમ્બર ૨૦૧૫ સુધીમાં પૂર્ણ થશે.