DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
સ્થાનિક પ્રશ્નો-જ્ઞાતિ-પ્રાંતના સમીકરણ મોદી મેનિયામાં સફાચટ
Bhaskar News, Surat
| Dec 21, 2012, 05:30AM IST
મતદારોએ સ્થાનિક પ્રશ્નો કે નબળા ઉમેદવારો જેવા મુદ્દાને બાજુએ મૂક્યા
વિધાનસભા ચૂંટણીમા દક્ષિણ ગુજરાતમાં સુરતના મજુરા જેવા પોશ વિસ્તાર કે લિંબાયત જેવા શ્રમિકોના વિસ્તાર કે પછી વરાછા જેવા સૌરાષ્ટ્રવાસી હીરા કારીગરોના મતવિસ્તારમાં અને નિઝર , માંગરોળના આદિવાસી વિસ્તારોમાં પણ મોદી મેનીયા એકસરખો ચાલ્યો છે. મતદારોએ સ્થાનિક પ્રશ્નો કે નબળા ઉમેદવારો જેવા મુદ્દાને બાજુ પર મુકી દીધા છે.
કેશુભાઇ પટેલ ફેકટર સુરતની વરાછા, કતારગામ, કરંજ અને કામરેજની પાંચ બેઠકોના લેઉઆ પટેલ મતો પર અસર કરશે કે કેમ તે અંગે અટકળો સેવાતી હતી. આજના પરિણામોએ એ નક્કી કરી આપ્યું છે કે આ મતદારોએ જ્ઞાતિનાં ફેકટરને બાજુ પર મુકી દીધું છે. ભાજપના વર્તુળોમાં પણ ખાસ કરીને કતારગામની બેઠક બહુ નબળી મનાતી હતી. અહીં નાનુભાઇ વાનાણીથી લોકોની નારાજગી અને તેની સામે જીપીપીના કાળુ ભીમનાથની સંગઠન શક્તિ તથા કોંગ્રેસના નંદલાલ પાંડવની પ્રજાપતિ વોટબેન્ક ના સમીકરણોને જોતાં કંઇ પણ નવાજુની થઇ શકે છે તેવી માન્યતા હતી પરંતુ, નાનુ વાનાણીએ ત્રિપાંખીયા ગણાવાતાં જંગમાં પણ ૪૦ હજારની સરસાઇ મેળવતાં આ તમામ સમીકરણોનો છેદ ઉડી ગયો છે.
સુરત પૂર્વમાં સુરત કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા કદીર પિરઝાદા ખુદ આશરે બે દાયકા પછી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠકનું આંકડાકીય ગણિત જ એવું વિચિત્ર છે કે અહીં અત્યાર સુધી કોઇપણ ઉમેદવાર સાવ પાતળી સરસાઇથી જ જીતતા આવ્યા છે. ગયા વખતે માંડ ૧૭૦૦ મતની સરસાઇ મેળવનારા મોદી સરકારના પ્રધાન રણજીત ગીલીટવાલા સામે આ વખતે કદીર પીરઝાદા જેવા મજબુત ઉમેદવાર ઉપરાંત કાશીરામ રાણાના પુત્ર દિપકને મળનારા સહાનુભૂતિના મતોનો પણ પડકાર હતો.
પણ, આ વખતે રણજીત ગીલીટવાલા ૧પ હજારથી વધુની સન્માનજનક સરસાઇથી જીત્યા છે. કદીર પીરઝાદાએ પણ ભાજપ જેવું જ પાકું માઇક્રો બુથ મેનેજમેન્ટ ગોઠવ્યું હતું પરંતુ, શરૂઆતના કેટલાક રાઉન્ડમાં તેઓ આગળ રહ્યા બાદ પાછળના રાઉન્ડમાં નીકળેલાં બુથોમાં આ મેનેજમેન્ટ કારગત નીવડયું ન હતું કાશીરામ રાણાના પુત્ર દિપકને ૨૧૩૬ મત જ મળતાં તે કોઇનું પરિણામ બગાડી કે બદલી શકે તેવી પરિસ્થિતિમાં પણ રહ્યા ન હતાં.
લિંબાયતમાં ભાજપ માટે બહાર કરતાં ઘરનો પડકાર જ વધારે હતો. ભાજપમાં બળવાખોરોએ માથું ઉંચકયું હતું. બળવાખોરોએ દાદ નહીં દેતાં ખુદ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીની સભા પણ ફલોપ થઇ ગઇ હતી. મતદાનના દિવસે ભાજપના નેતાઓ વચ્ચે પોલીસ મથકની બહાર જ છુટા હાથની મારામારી થતાં બુથ મેનેજમેન્ટ ખોરવાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવાં વાતાવરણમાં પણ સંગીતા પટેલ ૩૦ હજાર મતોની સરસાઇથી જીત્યાં છે તે માત્ર અને માત્ર મોદી લહેરને આભારી છે તેવું ભાજપના વર્તુળો કબુલે છે.
મજુરામાં ભાજપે હર્ષ સંઘવી જેવા નવા નિશાળીયાને ટિકીટ આપી હતી. આ બેઠકમાં રાજસ્થાની સમાજ તથા ઉત્તર ગુજરાતના મતદારો પણ મોટાં પ્રમાણમાં છે. પરંતુ, કોંગ્રેસના ધનપત જૈનને રાજસ્થાની સમાજ કે કાપડ માર્કેટના વેપારીઓનો પણ ટેકો મળ્યો નથી. અહીં પડેલા કુલ મતોમાંથી ૭પ ટકા મતો એકલા હર્ષ સંઘવીને મળ્યા છે. દેખીતી રીતે જ આ મતો નરેન્દ્ર મોદીના છે.
બીજી તરફ કામરેજ, ઓલપાડ અને ચોર્યાસીની બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી મતદારોનું મિશ્રણ હોવાથી કોંગ્રેસ ભાજપને પડકાર આપી શકશે તેવી ગણતરીઓ સેવાતી હતી. પરંતુ, કામરેજ અને ચોર્યાસીના ભાજપના વિજેતાઓને મળેલી ૬૦ હજારથી વધુની લીડ અને ઓલપાડમાં મળેલી ૩૦ હજારથી વધુની લીડ એ વાતની સાખ પુરે છે કે ગામડાં અને શહેર બંનેના મતદારો એકસરખી રીતે ભાજપની પડખે રહ્યાં છે.
સુરત જિલ્લામાં તો ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ સભા કરવા છતાં એકમાત્ર માંડવીને બાદ કરતાં કયાંય કોંગ્રેસના ઉમેદવારો જીત્યા નથી. વધુમાં, તાપી જિલ્લાની નિઝરની બેઠક કોંગ્રેસે ગુમાવવી પડી છે. નવસારી જિલ્લાની કોળી પટેલોના પ્રભુત્વવાળી જલાલપોર સહિતની બેઠકોમાં કોંગ્રેસે પરાજય ખમવો પડયો છે.






