તો અનેક સરકારી અધિકારી જેલમાં જશે
આદિવાસીની જમીનના દસ્તાવેજમાં ફેરફાર કરીને વેચી દેવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઇ હતી
સલવાવ સ્થિત આદિવાસીની જમીનના રેકર્ડમાં ચેંડા કરીને બોગસ નામે વારસાઇ કરી જમીન વેચવાનું કૌભાંડ બહાર આવતા ગત ગુરૂવારે પારડીના મામલતદારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ આપી હતી. પોલીસે વિશ્વાસઘાત કરી છેતરપિંડી અને સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરવા બદલ ઇન્ડિયન પિનલ કોડ તથા એટ્રોસિટી એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
છેલ્લા દશ વર્ષમાં ઇ ધારા મામલતદાર કચેરીના કયા અધિકારીના સહકારથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે. અગાઉ કામગીરી કરી ગયેલા અધિકારીની રેકર્ડ મંગાવતા કેટલાક અધિકારી સામે પણ કાનૂની ગાળિયો ફીટ થવાની શકયતા છે. પોલીસે મામલતદાર કચેરીમાંથી તમામ દસ્તાવેજ કબજે લઇ તેનો બારીકાઇ પૂર્વક અભ્યાસ હાથ ધર્યો છે.
સલવાવગામે સર્વે નંબર પ૭૦, ૨૭૯ તથા ૧૧પ વાળી જમીનના મૂળ માલિક આદિવાસી હોવા છતાં કેટલાક ઈસમો દ્વારા સરકારી અધિકારીના મેળાપીપણામાં રેકર્ડમાં ફેરફાર કરીને આ જમીનમાં અન્ય વ્યકિતના નામો દાખલ કરીને વારસાઇ કરી જમીન વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે ગામના માજી સરપંચે કલેકટર અને રાજ્યની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસ કરવા રજૂઆત કરી હતી.
સીટ દ્વારા આ પ્રકરણમાં જરૂરી તપાસ કર્યા બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપાયો હતો.કલેકટર એલ.સી. પટેલે પારડીના મામલતદારને આ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા આખરે ૭ મી જૂને મામલતદાર એલ.આર. ચૌધરીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અંદાજે ૨૦ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ અલગ ફરિયાદમાં આરોપી સામે ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬પ, ૪૬૭,૪૬૮ તથા ૪૭૧ અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધયો હતો.
વાપી વિભાગના ડીવાયએસપી જગદીશ પટેલ આ કેસની તપાસ હાથ ધરીને પારડીના મામલતદાર કચેરીમાંથી જમીનને લગતા તમામ દસ્તાવેજ કબજે કર્યા હતા. પોલીસ આ કેસમાં ખૂબ જ ગંભીરતાથી તપાસ આગળ વધારીને સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરવામાં કયા અધિકારીનો સહકાર હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
કેસની તપાસના અંતે પારડી મામલતદારના અનેક અધિકારી સામે કાનુની ગાળિયો ફીટ થાય તેવી શકયતા છે.
૧પ આરોપીની આગોતરા જામીન અરજી
સલવાવ જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર અરવિંદ ટંડેલ, ચંપક છીબા પટેલ તથા નવીન પટેલ સહિત ૧પ આરોપી દ્વારા ધરપકડથી બચવા માટે વલસાડ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આગોતરા માટે શુક્રવારે કોર્ટમાં સુનાવણી થઇ હતી. જોકે, ન્યાયધીશે આ કેસનો નિર્ણય સોમવાર સુધી મુલતવી રાખ્યો હતો.
કૌભાંડમાં કયા અધિકારીની સંડોવણી ?
ડીવાયએસપી જગદીશ પટેલે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૦થી લઇને અત્યાર સુધીમાં ઇ ધારા મામલતદારમાં અનેક કર્મચારી અને અધિકારી બદલાયા છે. છેલ્લા દશ વર્ષનો રેકર્ડ મંગાવીને કયા અધિકારીની સંડોવણીથી સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરાયા છે, તે તપાસ કરી રહ્યા છે.
રથયાત્રા બાદ ધરપકડની શકયતા
હાલ તો પોલીસ મામલતદાર અને કલેકટર સાથે જરૂરી ચર્ચા કરીને આગળ વધી રહી છે. દોષિત ઇસમ છટકી ન શકે તે માટે પોલીસ તમામ દિશાથી વિચારીને રથયાત્રા પછી કામગીરી તેજ કરી આરોપીની ધરપકડ કરે તેવી શકયતા છે. જગદીશ પટેલ, ડીવાયએસપી - વાપી





