વરિષ્ઠ આઇપીએસ અધિકારી કૂલદીપ શર્મા સામે ગાળિયો ફિટ કરવામાં એક વખત ભારે નિષ્ફળતા મેળવ્યા બાદ સરકાર હવે છાસ પણ ફૂંકી ફૂંકીને પીવા માગે છે. એટલે કે હવે પછી કૂલદીપ શર્મા સામેનો કેસ પૂરતા પુરાવા મેળવ્યા પછી જ કરવાની વાત છે જેના કારણે ભાજપ તરફથી એક સાંસદ અને એક ધારાસભ્યને કામે લગાડવામાં આવ્યા છે. તો સામા પક્ષે કોંગ્રેસ તરફથી પણ એક દિગ્ગજ નેતાએ આ મામલો હાથમાં લીધો છે.
રાષ્ટ્રીય સ્તરના આ મોટા ગજાના નેતાએ સુરતમાં તેમના ખાસ વિશ્વાસુ ગણાતા એક પીઢ નેતાને આ કામ સોંપ્યું છે. પરિણામે આસફિ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં હાલની તકે ભાજપ સામે કોંગ્રેસની લડાઈ શરૂ થઈ છે. અત્યાર સુધીની સ્થિતિ જોઇએ તો આ એન્કાઉન્ટર સંદર્ભે ગુનો નોંધાય તેવાં કોઈ એંધાણ વર્તાતા નથી.
૧૯૯૯ના વર્ષમાં જ્યારે કૂલદીપ શર્મા સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે આસફિ અમદાવાદી તેમજ દિલીપ મરાઠાનું એન્કાઉન્ટર સચિન નજીક લાજપોર ખાતે કરાયું હતું. આ એન્કાઉન્ટ બોગસ હોવાની વાતને લઈ ભાજપના આગેવાનો કૂલદીપ શર્મા સામે ગુનો નોંધાવવા માટે મેદાને પડ્યા છે. તેમાં પણ કચ્છના ૨૬ વર્ષ જુના એન્કાઉન્ટર સંદર્ભે કૂલદીપ શર્મા સામે રાજ્ય સરકારે નોંધેલો ગુનો હાઇકોર્ટે કાઢી નાખતા ભાજપના કેટલાક આગેવાનો સુરતના ગુના સંદર્ભે આ વાતનું પુનરાવર્તન થાય તેની વિશેષ કાળજી સાથે કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં ભાજપે દક્ષિણ ગુજરાતમાં મોટા ગજાના આગેવાનને કામે લગાડ્યા હતા. આ ભાજપના આગેવાનના સસરા પક્ષના સગા એવા એક પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવાની કોશિશ કરાઈ છે. તો સાથો સાથ ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય પણ ત્રણ દિવસ સુરતમાં રોકાયા હતા અને તેમના ખાસ વિશ્વાસુ ગણાતા એક પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવા માટે સમજાવી ગયા છે.
ભાજપે આ રીતે આગેવાનોને મેદાનમાં ઊતાર્યા હોવાની વાત જાણી ગયેલા કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ આ ઘટનામાં ગુનો દાખલ ન થાય તેમાટેની કાર્યવાહી આરંભી દીધી છે. આ નેતાના સુરતમાં ખાસ વિશ્વાસુ ગણાતા પીઢ મુસ્લિમ નેતાને આસફિ અમદાવાદીની માતાને સમજાવવાની જવાબદારી સોંપી હતી. કહેવાય છે કે આ નેતાએ આસફિ અમદાવાદીની માતાને રૂબરૂ મળી ગુનો ન નોંધાવવા માટે સમજાવી લીધા છે.
તમામ ગતિવિધિના અંતે અત્યારે એવું ચિત્ર સ્પષ્ટ થયું છે કે હાલના સંજોગોમાં આસફિઅમદાવાદી એન્કાઉન્ટર સંદર્ભે ગુનો નોંધાય તેવાં કોઈ એંધાણ દેખાતાં નથી.
કૂલદીપ શર્મા અને સરકાર વચ્ચે સમાધાન થયું?
એક વાત એ પણ બહાર આવી છે કે કૂલદીપ શર્મા અને સરકાર વચ્ચે પાંચેક દિવસ પહેલા સમાધાન સધાયું છે. જેના ભાગ રૂપે કચ્છની ફરિયાદના સંદર્ભે હાઇકોર્ટમાં સરકારી તરફે કોઈ હાજર રહ્યું ન હતું. પરિણામે કૂલદીપ શર્મા સામેની ફરિયાદ કાઢી નાખવા માટેમો માર્ગ મોકળો થઈ ગયો.
આધારભૂત સૂત્રોનું કહેવું છે કે તાજેતરમાં જે ચાર પ્રધાનોએ શપથ લીધા તેમાંના એક પ્રધાનની ઓફિસમાં આ સમાધાન થયું હતું. એ રીતે જોતાં પણ હાલમાં તો સુરતના આ એન્કાઉન્ટર સંદર્ભે ગુનો નોંધાવાની શક્યતા નહિવત છે.
પોઈ વી.બી. પટેલની બદલી ન થતાં અનેક તર્ક વિતર્ક!
જ્યારે આસફિ અમદાવાદીનું એન્કાઉન્ટર કરાયું ત્યારે ક્રાઇમ બ્રાંચમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને બઢતી સાથે હાલમાં ઇન્સ્પેકટર બની ચૂકેલા આર.એચ. હડિયા, જી.આર. પટેલ, વી.બી. પટેલ તેમજ આર.એલ. માવાણી સુરતમાં ફરજ બજજાવતા હોવાની વાતને ધ્યાને લઈ ગૃહ વિભાગે થોડા દિવસ પહેલા હડિયા, પટેલ અને માવાણીની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી. જેત્રણેયને તાત્કાલિક અસરથી છુટા પણ કરી દેવાયા હતા. જ્યારે તે વખતના એક અધિકારી વી.બી. પટેલની બદલી ન થતાં અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે.