સતત વધી રહેલી મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવા માટે નાણામંત્રાલયે શરૂ કરેલી કવાયત, આવકવેરા મુક્તિની મર્યાદામાં R ૪૦,૦૦૦નો વધારો થાય તેવી શક્યતા
કમરતોડ મોંઘવારીના સમયમાં નાણામંત્રાલયે કરદાતાઓને થોડી રાહત આપવાનું નક્કી કરી લીધું છે. આ રાહત આવકવેરા મુક્તિની મર્યાદામાં વધારાના સ્વરૂપે આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર આવકવેરા મુક્તિની મર્યાદા R ૪૦,૦૦૦ સુધી વધી શકે છે. નાણામંત્રાલય ફુગાવાના સતત વધી રહેલા દરથી પરેશાન કરદાતાઓને રાહત આપવા માટે ટે્કસમાં મુક્તિની મર્યાદા
વધારવાની તૈયારીમાં છે. હાલમાં નાણામંત્રાલય તેનાથી સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે તેની ગણતરીમાં લાગી ગયું છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા મુક્તિની મર્યાદામાં કોઈ વધારો કરાયો ન હતો. પરંતુ વધતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકાર પર તેમાં વધારો કરવાનું દબાણ ઘણું વધી ગયું છે. આવકવેરા મુક્તિની મર્યાદામાં R ૧૦,૦૦૦નો વધારો કરવાથી કરદાતાને R ૧૦૩૦ની બચત થશે. તે દ્રષ્ટિએ R ૪૦,૦૦૦નો વધારો થશે તો કરદાતાને વર્ષે R ૪,૧૨૦ની બચત થશે.
સરકાર દ્વારા જારી કરાયેલા ડાયરેકટ ટેક્સ કોડ(ડીટીસી)ના પહેલા મુસદ્દા(ડ્રાફ્ટ)માં R ૧.૬૦ લાખથી R ૧૦ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, R ૧૦ લાખથી R ૨૫ લાખની આવક પર ૨૦ ટકા અને R ૨૫ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત હતી. પરંતુ નવા જારી કરાયેલા ડીટીસીના મુસદ્દામાં આવકવેરાના આ સ્લેબ જ ગાયબ કરી દેવાયા છે.
મતલબ કે R બે લાખ સુધી કોઈ ટેક્સ નહીં
હાલના ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ વાર્ષિક R ૧.૬૦ લાખથી R ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા આવક ટેક્સ લાગુ થશે. R ૫ લાખથી R ૮ લાખની આવક પર ૨૦ ટકા અને R ૮ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ થશે. હવે આવકવેરા મુક્તિની મર્યાદામાં R ૪૦,૦૦૦નો વધારો કરાશે તો વાર્ષિક R ૨ લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે.
મર્યાદા વધવાથી ફાયદો
વાર્ષિક આવક કેટલો ફાયદો
રૂ. ૧,૭૦,૦૦૦ રૂ. ૧૦૩૦
રૂ. ૧,૮૦,૦૦૦ રૂ. ૨૦૬૦
રૂ. ૧,૯૦,૦૦૦ રૂ. ૩૦૯૦
રૂ. ૨,૦૦,૦૦૦ રૂ. ૪૧૨૦