નવા નિયમો અનુસાર એક સંસદસભ્યને મહિને ૬૦ હજારનો પગાર મળશે અને અન્ય ભથ્થાં તથા સુવિધા સાથે પ્રતિવર્ષનું પેકેજ ૨૭ લાખ રૂપિયાનું છે, પણ જમા ખર્ચમાં પ્રતિ સંસદસભ્યે દર વર્ષે ૫૭ લાખ રૂપિયાની ગણતરી કરાઈ છે. સામાન્ય માણસના મનમાં રાજકીય નેતા માટે એટલી નફરત છે કે તે આ પેકેજને લૂંટ માને છે, જ્યારે મોટી કંપનીઓ અને કોર્પોરેટ્સ વગેરેમાં આ કંઈ બહુ મોટું પેકેજ નથી.
ફિલ્મસ્ટારોનું મહેનતાણું આના કરતાં કેટલાય ગણું વધારે છે અને સ્ટારના અંગત સ્ટાફ ઉપર નિર્માતાને શૂટિંગના દર દિવસે લગભગ ૨૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના અગ્રણી અધિકારીઓને તો કલ્પી ન શકાય એટલા નાણાં મળે છે. કમ્પ્યુટર નિષ્ણાતોને અને રિસર્ચમાં જોડાયેલા લોકોને ખૂબ નાણાં મળે છે. ક્રિકેટરોની આવક પણ બહુ વધારે છે. બિઝનેસ મેનેજમેન્ટના લોકો, ફિલ્મ અને ક્રિકેટના સ્ટારોને સંસદસભ્યોની જેમ સવાલો પૂછવાનાં નાણાં નથી મળતા.
દરેક ક્ષેત્રમાં સેલરી પેકેજની સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે, પણ સંસદસભ્યોને કોઈ જવાબદારી નથી. ફિલ્મસ્ટારોનું મહેનતાણું તેમના બોક્સ ઓફિસ પરના રેકોર્ડ પર આધાર રાખે છે, પણ સંસદ સભ્ય પાંચ વર્ષમાં ફક્ત એક વાર પોતાનાં કાર્યોનો હિસાબ આપે છે અને એ હિસાબ પણ અધ્ધરતાલ કે હવાઈ વાતોનો છે. સંસદ સભ્યોને ચૂંટીને લાવનારાઓને પાંચ વર્ષમાં કાર્યો કર્યા વિના, નિષ્ક્રિય રહેનારા સંસદસભ્યને પાછા બોલાવવાનો અધિકાર નથી હોતો. કામ કર્યા વગર ટકી રહેવાની સગવડ રાજકીય નેતાનો પોતાનો ઢંગ છે અને ટીકા એ બાબતની જ થઈ રહી છે. સંસદસભ્ય છેલ્લી પાટલી પર બેસી ઝોકાં ખાઈને પણ પૈસા કમાય છે.
એક જમાનામાં નેતા આદરણીય મનાતા હતા, પણ આજે તે એક ગાળ બની ગયા છે. દૂરદર્શન પર જ્યારથી સંસદની કાર્યવાહી બતાવાય છે ત્યારથી તેમના મુખવટા નાબૂદ થવા લાગ્યા છે. બાતમી તો એવી પણ છે કે, કેટલાક સંસદસભ્યો સરકાર પાસેથી પગાર લેવાની સાથે ઔદ્યોગિક ગૃહો પાસેથી પણ નિયમિત નાણાં લે છે. સંસદસભ્યોને ખુશ રાખવા માટે ઔદ્યોગિક ગૃહોનું એક આખું તંત્ર દિલ્હીમાં હંમેશા સક્રિય રહે છે. આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે, આપણે કોના દ્વારા શાસિત થઈ રહ્યા છીએ. ખોટા લોકોને ચૂંટવા માટે જનતા ખુદ દોષી છે. આ આખી નિર્મમ વ્યવસ્થા અને તેના વિરાટ ઢોંંગને ઘડવામાં સામાન્ય માણસનો પણ બહુ મોટો ફાળો છે.
સંસદસભ્યોના જીવન પર સનસનીખેજ થ્રિલર બની શકે એમ છે. સંસદસભ્યો, વિધાનસભ્યો અને ટોચના અધિકારીઓના વિશાળ કાફલા પર દર વર્ષે કરદાતાઓના કેટલાં નાણાંનો ખર્ચ કરવામાં આવે છે એ વાત વિચારવા જેવી છે. કોઈ પણ સમજદાર માણસ આટલો ખર્ચ સહન કરી શકે નહીં. આ તમામ ઝાકઝમાળ રાજાશાહી દૌર કરતાં ઓછી ખતરનાક નથી. આ ખેલને રોકવામાં કોઈને રસ નથી.