તેમને જંકફૂડ, ટી.વી.ના બ્યુટી કોન્ટેસ્ટ અને સૌંદર્ય પ્રસાધનોથી દૂર રાખો
એલેકઝાન્ડર પોપે કહેલું કે માનવીનું સૌથી મોટું શસ્ત્ર તેનું ઇનોસન્સ છે. બાલસહજ નિર્દોષતા છે. નિર્દોષતા મોટી ઢાલ છે, પણ ૨૬૨ વર્ષ પહેલાં આ ચેતવણી આપેલી, પછી આજે બાળકોની નિર્દોષતા ખતમ કરવાનાં જ તમામ કારસ્તાન મા-બાપો પોતે જ કરે છે. આજે આપણે બાળકોની નિર્દોષતા ઝૂંટવી લઈએ છીએ.
‘ફોબ્ર્સ’ મેગેઝિને લખ્યું છે કે ભારતની બાલિકાઓ જ નહીં પણ તેની મમ્મીઓને ગોરા દેખાવું છે તેથી ગોરા થવાની જુદી જુદી ક્રીમની બજાર ભારતમાં શૂન્ય હતી તે આજે R ૨૫૦૦૦ કરોડની થઈ છે. ૨૦ ટકાને વેગે આ બજાર વધે છે. મા-બાપને જાણ નથી કે આ ક્રીમોમાં સ્ટેરોઈડઝ, મરક્યુરી અને હાઇડ્રોક્વીનોન નામનાં ઝેરી રસાયણો હોય છે. બાળકોને ખરેખર તો જંકફૂડથી અને ટી.વી.થી દૂર રાખવાથી અને સવારે પ્રોસેસ્ડ નાસ્તાને બદલે ફ્રૂટ જયુસ પિવરાવવાથી ચામડી ગોરી થાય છે. પાકિસ્તાનને અભિનંદન આપું છું કે ભારતની ટી.વી. ચેનલોને પ્રતિબંધિત કરી, આપણે પણ કરવી જોઈએ.
આજની માતાઓને તેના બાળકને જિનિયસ બનાવવું છે. અતબિુદ્ધિશાળી બનાવવું છે. તેની આઈ. ક્યુ. (ઇન્ટેલજિન્ટ કવોશન્ટ-બુદ્ધિનો આંક) વધારવી છે, પણ માતાઓ જે ‘‘જુલમ’’ બાળકો પર કરે છે તે બાળકને ઊલટાના યાંત્રિક બનાવે છે. તેની બુદ્ધિને ડલ બનાવે છે અને લંડનના ‘‘ઓબ્ઝર્વર’’ સાપ્તાહિકની લેખિકા એલિઝાબેથ ડેના કહેવા મુજબ બાળકીઓને તો મા-બાપો જીવતી ઢીંગલી બનાવે છે. હજી તો તેના બાળપણના ઇનોસન્સની મોજ કરતી હોય ત્યાં ટેલિવિઝન ઉપર ડિસ્કો ડાન્સનાં નખરાંથી માંડીને બ્યુટી પેજિયન્ટસ (સૌંદર્યના તમાશા, સૌંદર્ય પ્રદર્શન, સૌંદર્યનો આડંબર)માં દીકરીઓને ધકેલે છે.
બાલિકાઓને ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવા અડધ ભૂખી રખાય છે. નેતરની સોટીઓથી મરાય છે. ચાર વાગ્યે જગાડાય છે અને પછી તે ખરેખર લિવિંગ ડોલ્સ બની જાય છે, પણ ભારતમાં તો ટેલિવિઝનની ચેનલો આપણાં બાળકોની દુશ્મન બની છે. ચિદમ્બરમજી નામના મિનસ્ટિરનો ભગવો ત્રાસવાદ કે ઇસ્લામી ત્રાસવાદ કે શિવસેના કે કોઈના પણ ત્રાસ કરતાં આપણે પોતે જ બાળકો માટે ઘરઘરાઉ ત્રાસવાદી બન્યા છીએ અને તેમાં સૌથી મોટો ત્રાસ તમામે તમામ ટી.વી. ચેનલોનો છે. તે બાળકો માટે ત્રાસવાદી છે.
તાજેતરમાં ‘‘ધ વિઝડમ પેરેડોકસ’’નામનું પુસ્તક એકાહોનોન ગોલ્ડબર્ગે લખ્યું તે નજરે ચઢયું. તેમાં લખ્યું છે કે જો તમે બચપણમાં બાળકોને ખુલ્લી રીતે રમવા દો, તોફાન કરવા દો, તેને જિનિયસ બનાવવાની ભાંજગડ ન કરો તો તેનું મગજ આપોઆપ ખીલે છે અને છેક વૃદ્ધાવસ્થા સુધી મગજ ખીલતું રહે છે. ખાસ તો આજે જે જંકફૂડ બાળકોને બહાલ કરવા મા-બાપ ખવરાવે છે તે બટાટાની કાતરી, મેકડોનાલ્ડઝના નાસ્તા એ તમામ બાળકોના આઈ.ક્યુ.ને ઘટાડે છે અને આ વાત મેં છેક ૧૯૯૯માં પણ લખેલી. બ્રિટનના ડૉ. હોવાર્ડ ગાર્ડનર અને અમેરિકાની ન્યુ મેક્સિકો યુનિ.ના ડૉ. વિલિયમ બ્રકસે જુલાઈ-૧૯૯૯માં લખેલું કે સંતાનોના ખોરાક તેમ જ આહારવિહારની ટેવોનો બુદ્ધિ સાથે સીધો સંબંધ છે. જો બાળકને મિતાહાર લેવાનું શીખવાય, પેટ ઊણું રાખીને ખાવાનું શીખવાય તો તેના ઇન્ટેલજિન્ટ કવોશન્ટમાં ૪૫ ટકા વધારો થાય છે.
ડૉ. ગાર્ડનર કહે છે કે બાળકો આજકાલ પાણી પીતાં નથી. પાણીની જગ્યાએ જમવા સાથે કોલાનાં ઠંડાં પીણાં પીવે છે. આવા કોલાના ડ્રિંકની બાટલી લઈને ખાવા બેસનારાં બાળક ભવિષ્યમાં બુદ્ધુ થશે. ડૉ. ગાર્ડનર એક નવી વાત કરે છે કે મગજમાં ઈશ્વરે એક નહીં પણ આઠ પ્રકારની અલગ અલગ બુદ્ધિની કુશળતા મૂકી છે. બાળકની પોતાની ઇચ્છા હોય તો જ તેને શાસ્ત્રીય કે સુગમ સંગીત શીખવાય, તો જ તેનું આઈ.ક્યુ. વધે છે. આ ઉપરાંત લાગણીને લગતી પ્રજ્ઞા છે, તેને વિકસાવવા ડૉ. ગાર્ડનર કહે છે કે બાળકને ઓછો અને સાત્વિક આહાર આપો. હવે નવી વાત આવી છે કે જંકફૂડ થકી આઈ.ક્યુ. ઓછું થાય છે.
ફેડરેશન ઓફ અમેરિકન સોસાયટી ફોર બાયોલોજીએ જાહેર કર્યું છે કે આપણે જે સોફટ ડ્રિંકસ (કોલા-બોટલના મેંગો કે ઓરેન્જ જયુસ) પીએ છીએ. તેમાં જે ફોસ્ફેટસ છે તે જલદીથી આપણને વૃદ્ધ બનાવે છે. પ્રોસેસ્ડ ખાદ્યોમાં પણ ફોસ્ફેટ છે તે એઈજિંગ (બુઢાપો) વધારે છે.
આજે દિલ્હી- મુંબઈ અને ચેન્નઈની ટી.વી. ચેનલોમાં અમેરિકા-યુરોપને ધોરણે બ્યુટી પેજિયન્ટ થઈ રહ્યા છે. બાળકોમાં લપિસ્ટિક, વાળની ફેશન જ નહીં પણ ચામડીને ચુસ્ત બનાવવા બોટોકસની હાનિકારક ટ્રીટમેન્ટ વપરાય છે. એ.બી.સી. ન્યૂઝ નામની ચેનલની પત્રકારને એક જોય કલાર્ક નામની પાંચ વર્ષની બાલિકાની દાદીએ બડાઈ મારીને કહ્યું કે મારી પૌત્રીને મેં છેલ્લાં ચાર વર્ષમાં ૧૦૦ જેટલા બ્યુટી પેજિયન્ટ બતાવ્યા છે અને હવે તે પોતે સૌંદર્યસ્પર્ધામાં ૮ની ઉંમરે ભાગ લેવા માગે છે! આજે ૩૦ લાખ જેટલી ૬ માસની (હા છ માસની!) બાલિકાથી માંડીને ૧૬ વર્ષનાં બાળકો સતત ટી.વી. સામે ખોડાયેલાં રહીને બ્યુટી પેજિયન્ટ જુએ છે.
ડૉ. સિડ બ્રાઉન નામની ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ કહે છે કે બાળકોને માત્ર તેમના બાહ્યરૂપ અને તેમના ચહેરાના એટ્રેક્ટિવનેસને જ પ્રાધાન્ય આપવાથી તેની લાગણીતંત્ર સાથે બુદ્ધિને કુંિઠત કરાય છે. બાલિકાને ખીલ નીકળે તો જાણે એક જબ્બર આફત આવી પડી તેવું લાગે છે. તળેલા પદાર્થો, કબજિયાત, જંકફૂડનો વધુ પડતો આહાર ખીલ પેદા કરે છે. ખીલથી ડરવા જેવું નથી, આહાર સાદો કરવાની જરૂર છે.
આજકાલ બાળકોના બ્યુટી પેજિયન્ટ ટી.વી. કે સ્ટેજ પર યોજાય છે તે ખૂબ ખર્ચાળ પણ છે. R ૫૦૦થી ૧૦૦૦૦ (પરદેશ)ની બ્યુટી સ્પર્ધાની પ્રવેશ-ફી હોય છે. પછી તેના માટેના જે ડ્રેસ (અનેક જોડી) સિવરાવે છે તેનો ખર્ચ સરેરાશ R ૫૦૦૦૦થી માંડીને R અઢી લાખ આવે છે. બાલિકાઓને લાલચ અપાય છે કે બ્યુટી કોન્ટેસ્ટ જીતશો તો તમને કોલેજની સ્કોલરશિપ અને ‘‘મોડેલ’’ બનવાના ચાન્સ વધશે! શું આખા ભારતનાં સ્ત્રીધનને મોડેલો બનાવવું છે?
આ આખા ગાંડપણના ઈલાજ તરીકે લંડનમાં માયકલ મોરફીએ ગામડાના વાતાવરણમાં ચિલ્ડ્રન ફાર્મ શરૂ કર્યાં છે. ત્યાં બાળકોની રુચિ પ્રમાણે જ તેને કાવ્ય રચવાનું, પેન્ટિંગ વગેરે શીખવાય છે. શરીર સૌંદર્ય વિશે કંઈ જ કહેવાતું નથી. માત્ર શરીરની તંદુરસ્તી માટે સાત્વિક આહાર, યોગાસન અને સંગીત શીખવાય છે. બ્રિટનમાં ૨૦૦૯નો સર્વે કહે છે કે ૩૦૦૦ ટીનેજરો તેનાં પુસ્તકો કે અભ્યાસ કરતાં તેઓ કેવાં રૂડાં દેખાય છે તેના પર વધુ ખર્ચ કરે છે! ૩૨ ટકા બાળકોને બી.બી.સી.ના સર્વે પ્રમાણે તેમનાં રૂપની વધુ ચિંતા હોય છે.