રાજ્યપાલ બંધારણીય રાજ્યવડા હોય છે. એટલે તેમણે ‘નોન પાર્ટીઝન’ તરીકે કામગીરી બજાવવી જોઈએ, તેને બદલે આર્ટિકલ ૩૫૬નો ઘણી બધી વાર દુરુપયોગ થતો રહ્યો છે.
શું રાજ્યપાલ કેન્દ્ર
સરકારના એજન્ટ છે કે બંધારણીય રીતે રાજ્યના વડા છે? રાજ્યપાલનું પદ રાખવાની પાછળ બંધારણ ઘડવૈયાઓનો ઇરાદો તો આવડા મોટા સમવાયી શાસનમાં રાજ્ય-કેન્દ્રની વચ્ચે અકારણ દીવાલ ઊભી ના થાય તેવો જ હતો.
પોલીસ, કોર્ટ, રાજભવન અને ઉપવાસ : આ ચાર શબ્દોની પાછળ ઘૂમરાતી ઘટનાઓનો વાવંટોળ ગુજરાત અનુભવી રહ્યું છે. રોજે રોજ રિક્ષાચાલકથી માંડીને અધ્યાપક સુધીના દિવસમાં એકાદવાર તો આની ચર્ચા કરી જ લે છે. રાજ્યપાલે લોકાયુક્તની નિયુક્તિ કરી દીધી તે બંધારણીય હતી કે કેમ તેનો વિવાદ છેક ન્યાયાલય સુધી પહોંચી ગયો. ઘણા સમયે ભારતીય બંધારણની ભૂમિકા સરાણે ચડી. એક અમેરિકી રાજદૂત જહોન કે. વાલબ્રેથે અફસોસ જતાવ્યો હતો. એકવાર કે આપણે બંધારણમાં શિખર સરખી ભાવનાઓ તો આલેખીએ છીએ અને તેને માટે ચોક્કસ શબ્દોનું પ્રયોજન કરાય છે, પણ પછી તે શબ્દોની ભાવના અને જોગવાઈમાં આકાશ-પાતાળ જેટલું અંતર વરતાય તો નક્કી સમજવું કે લોકશાહીની તંદુરસ્તી ખતરામાં છે.
ભારતીય બંધારણ વિશે ડૉ.. આંબેડકરે કહ્યું તું કે સારામાં સારું બંધારણ ખરાબ માણસોનાં કાર્યથી બગડી જઈ શકે છે ને તદ્દન ખરાબ બંધારણ પણ ઉત્તમ માણસોનાં કાર્યોથી સુધરી શકે છે. મતાધિકાર, લોકપ્રતિનિધિ, સેક્યુલરિઝમ, આંતરિક અને બાહ્ય કટોકટીની જોગવાઈ, પત્રકારત્વની ચોથી જાગીર, ન્યાયતંત્ર, વહીવટ... આ બધા જ બધા શબ્દોથી બંધારણ મંડિત છે. આજની ઘડીએ તેમાંથી એક ‘રાજ્યપાલ’ શબ્દ અને વ્યવસ્થા વિશે વિચારવાનું નિમિત્ત લોકાયુક્તની નિમણુંકના વિવાદે પૂરું પાડ્યું છે.
૧૯૮૮ના ઓગસ્ટમાં જયપુરનગરમાં લેસ્લી એન્ડ સાહની પ્રોગ્રામ હેઠળ બે દિવસનો પરિસંવાદ યોજાયો હતો, તેમાં મુખ્ય વિષય તો સરકારિયા કમિશનનો અહેવાલ અને રાજ્ય-કેન્દ્રના સંબંધોનો હતો, પણ અસમના પૂર્વ રાજ્યપાલ એલ.પી.સિંઘે જે મુદ્દાની ચર્ચા કરી તેનું શીર્ષક હતું : શું રાજ્યપાલ કેન્દ્ર સરકારના એજન્ટ છે કે બંધારણીય રીતે રાજ્યના વડા છે? સરકારિયા પંચ તો વિસરાઈ ગયું, તે પછી ઘણાબધાં રાજ્યોમાં ઉઠાપટક થઈ અને રાજ્યપાલોની ગતિવિધિ પણ પ્રશ્નાર્થચિહ્ન બની રહી.
હરિયાણાના એક રાજ્યપાલ જી.ડી. તપાસે શારીરિક રીતે તદ્દન અશકત હોવા છતાં સરકારની પક્ષપલટુ ઊથલપાથલમાં વિવાદી નિર્ણયો લીધા હતા. આંધ્રમાં રામલાલ નામે રાજ્યપાલે એન.ટી. રામારાવની સરકારને રાતોરાત બરતરફ કરી નાખી હતી. મહારાષ્ટ્રના એક રાજ્યપાલ વસંતદાદા પાટિલને રાજભવન કરતાં રાજકારણ વધુ ગમ્યું એટલે વળી પાછા પક્ષીય રાજકારણમાં ચાલ્યા ગયા હતા. અસમમાં ૮૦ ટકા જેટલી વસતી અસમ આંદોલનની સાથે હતી અને ભૂતિયા મતદારોને બાદ કર્યા પછી જ ચૂંટણી થવી જોઈએ તેવો અભિપ્રાય ધરાવતી હતી છતાં ગવર્નર સાહેબે ચૂંટણીપંચની ચૂંટણી યોજવાની ભલામણને સ્વીકારી તેનાથી મોટા પાયે હિંસાચાર થયો અને ૧૦થી ૧૫ ટકા મતદાન થયેલું!
રાજ્યપાલનું પદ રાખવાની પાછળ બંધારણ ઘડવૈયાઓનો ઇરાદો તો આવડા મોટા સમવાયી શાસનમાં રાજ્ય-કેન્દ્રની વચ્ચે અકારણ દીવાલ ઊભી ના થાય તેવો જ હતો. રાજ્યપાલ બંધારણીય રાજ્યવડા હોય છે. એટલે તેમણે ‘નોન પાર્ટીઝન’ તરીકે કામગીરી બજાવવી જોઈએ, તેને બદલે આર્ટિકલ ૩૫૬નો એટલી બધી વાર દુરુપયોગ થતો રહ્યો કે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન સુરજિતસિંઘ બરનાલાએ અફસોસ જતાવ્યો : ‘૧૯૬૭થી ૧૯૮૮ સુધીમાં આ કલમનો ૭૬ વખત (દુ) ઉપયોગ થયો હતો!’ છેક ત્રિપુરા અને મણિપુર સુધી રાજ્યપાલશ્રીઓએ આવાં ‘પરાક્રમો’ શા માટે કર્યા હશે? રાજ્યમાં બંધારણીય નિષ્ફળતા દેખાય તો જ રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન જેવા નિર્ણય લઈ ને ‘કેન્દ્ર સરકારના આંખ-કાન’ બની શકે. પરંતુ એવું ન થાય ત્યારે?
હમણાં કણૉટકના રાજ્યપાલે ભારે ઉત્સાહપૂર્વક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી નાખી, પણ કેન્દ્ર સરકારે તે મંજૂર રાખી નહોતી! આ કથા-ઓ-રાજ્યપાલ નવી નથી. છેક ૧૯૫૨માં મદ્રાસમાં રાજ્યપાલ શ્રીપ્રકાશે વિપક્ષી નેતા સી. રાજગોપાલાચારીને મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત કરી દીધા હતા, પછી ડૉ.. ધર્મવીરે એ પ્રધાનમંડળને રદબાતલ ગણાવીને બીજી સરકારની સંમતિ આપી હતી. નેહરુ એટલા લોકશાહીપ્રેમી કે તેમને આમાંનું કશું જ પસંદ ના પડ્યું તેમ છતાં કોઈ દખલગીરી નહોતી કરી!
એલ.પી.સિંહે નોંધ્યું છે કે સ્વતંત્ર ભારતમાં પહેલાં વીસ વર્ષ તો રાજ્યપાલની નિમણુંકમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરનારાઓનો ખ્યાલ રખાતો, પણ પછી ‘મધ્યમ સ્તરના રાજકારણીઓ- સત્તા પરના પક્ષના હોય તેવા- પસંદ કરાવા માંડ્યા. રાજ્યપાલના અધિકારો અને ફરજો રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી ભણે તો છે પણ તેના ચહેરા પર ઘણા સવાલો હોય છે. એક પૂર્વ મહિલા રાજ્યપાલે સ્વીકારેલું કે વિધાનસભા સત્રના પ્રારંભે રાજ્ય સરકારે સૂચવેલું ભાષણ કરવું, ઉદ્ઘાટન સમારંભોમાં જવું, ‘એટ હોમ’માં હાજરી આપવી, યુનિવર્સિટીઓના કુલપતિપદે રહેવું અને બાકી ઘણોબધો સમય મળે ત્યારે નવલકથાઓ વાંચવી... આલિશાન રાજભવનમાં આટલું અમારા માટે હોય છે!
લોકાયુક્ત પ્રશ્ને ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ જે વિગતે ચુકાદો આપ્યો તેમાં બંધારણીય જોગવાઈની વિશદ ચર્ચા કરી છે... મુદ્દો માત્ર લોકાયુક્તની નિમણુંકનો નથી, બંધારણે ‘રાજ્યપાલ’ નામે જે અતિ મહત્વની સંસ્થા ઊભી કરી છે તેના ગુણાત્મક અસ્તિત્વની યે છે. મને ૧૯૭૬માં સુપ્રીમ કોર્ટના એ ચુકાદાની યાદ આવી ગઈ કે હેબિયસ કોર્પસ અને મૂળભૂત અધિકારોના પ્રશ્ને બાકી ન્યાયમૂર્તિઓએ એક્સરખી સંમતિ આપી ત્યારે જસ્ટિસ ખન્નાએ અસંમતિ દર્શાવીને બંધારણીય અધિકારોને જ માન્ય ગણ્યા હતા! ચાલો, ન્યાયભવન પણ રાજભવનનો નીરક્ષીર ન્યાય કરે છે! લોકશાહીનું આ ઊજળું પાસું છે.
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.