તિહાર જેલમાંથી બહાર નીકળ્યા પછી અણ્ણા હજારે રામલીલા મેદાનમાં ઊમટેલી જનમેદનીની આકાશને આંબતી આશાઓ કેવી રીતે પૂર્ણ કરશે? દેશની જનતાએ આપેલાં સમર્થન બદલ ધન્યવાદ કહ્યા બાદ શું અણ્ણા એ જ માહિતી આપવાના છે કે જનલોકપાલ બિલની સ્થાપના અંગે સરકાર સાથે તેમની ટીમે શું સમજુતી કરી છે? અને, એમ જણાવશે કે, તેમના સાથીઓ જનલોકપાલમાંથી વડાપ્રધાન અને ન્યાયતંત્રને બાકાત રાખવા માટે તૈયાર થઈ ગયા છે? જો આ વાત સાચી હોય તો પછી રામલીલા મેદાનને આગળનાં આંદોલન માટે તૈયાર કરવાની કોઈ જરૂર નથી રહેતી.
સરકાર સાથે સમજુતીની વાત જો ખોટી હોય તો પછી ન્યાયમૂર્તિ સંતોષ હેગડેનાં નિવેદનનો એવો જ અર્થ થાય કે ટીમ અણ્ણાના વિચારોમાં તિરાડો પડી ગઈ છે. જો આમ નથી તો એ સરકારની વિચારસરણીમાં પંદર દિવસમાં શું ફરક પડી જવાનો જેણે અણ્ણા અને તેમની ટીમને ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારી કહી દીધા છે? શું ગેરંટી છે કે અણ્ણાની લડાઈ તેમના અનશનના પંદર દિવસમાં સફળ થઈ જશે અને પછી દેશમાંથી પાંસઠ ટકા ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો હોવાની ખાતરી થઈ જશે અને અંતે એ કે પંદર ઓગસ્ટની રાત્રે દિલ્હીની કિન્સ્ટટ્યૂશન ક્લબમાં દેશને પોતાના સંદેશામાં અણ્ણાએ કહ્યું હતું કે લડાઈ હવે જનલોકપાલની સ્થાપના સુધી સીમિત નથી, પરંતુ દેશમાં પરિવર્તન લાવવાની માગણીને લઈને આગળ ચાલશે.
- છેલ્લા ત્રણ દિવસથી ખાવા-પીવાનું ભૂલીને જેલના દરવાજા પર મીટ માંડીને બેઠેલા હજારો સમર્થકોને અણ્ણા હવે દેશમાં કેવા પ્રકારનાં પરિવર્તનનું સપનું વહેંચીને ભાવ-વિભોર કરવાની તૈયારી તિહારમાં કરી રહ્યા છે? દેશ અણ્ણા પાસે જાણવા માંગે છે કે જે પરિવર્તનની વાત તેમણે કહી હતી એ સત્તાનાં પરિવર્તનની નહીં, પરંતુ વ્યવસ્થાતંત્રનાં પરિવર્તનની હતી. અણ્ણાની ટીમ પાસેથી દેશની જનતા એ જ વ્યવસ્થા પરિવર્તનની જાહેરાતની માગણી કરવાની છે.
સરકાર અણ્ણા સામે ઝૂકી ગઈ છે એમ માનનારા લોકો ભૂલ કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે રસ્સી માત્ર સળગી છે પણ વળ નથી ગયા. માત્ર વિશ્લેષણો બદલાયાં છે, સંબોધનનો મિજાજ નહીં. સરકારને ક્યારેય અંદાજ પણ નહોતો કે અણ્ણાનાં સમર્થનનાં વાદળ એવી રીતે ફાટશે કે તેનાથી આવનાર જનતાના પૂરમાં તેમનો બધો જ અહંકાર ગળા સુધી ડૂબી જશે અને તેમના અવાજને જ બદલી નાખશે. પરંતુ અપેક્ષા તો અણ્ણાને પણ નહીં હોય કે ઈતિહાસની કોઈ ક્ષણ તેમને રાલેગણ સિદ્ધિ જેવા નાના ગામડાથી ઉઠાવીને દેશની રાજધાનીની રાજકીય છાતી પર આવી રીતે પોસ્ટર બોયની જેમ ચોંટાડી દેશે અને જનતા તેમના ચશ્માં પાછળ ગાંધી અને જયપ્રકાશની આંખો શોધશે.
સરકાર તો માત્ર અણ્ણાને તિહારના દરવાજા બહાર છોડી પોતાની જવાબદારી અને અપરાધથી મુક્ત થવાની રાહ જોઈ રહી છે. જેલ બહાર આવતાં જ સમર્થકોની ભીડ અને તેમનો ઉત્સાહ અણ્ણાની જવાબદારી બની જશે. અણ્ણાનું અત્યાર સુધીનું આંદોલન તો ફિલ્મના પ્રોમો જેટલું જ હતું. ‘ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન’ની બોક્સઓફિસ પર સફળતા અને અણ્ણાના શબ્દોમાં કહીએ તો દેશમાં ‘લોકશાહી’નું ભવિષ્ય તો હવે રામલીલા મેદાનમાં એવી રીતે જ નક્કી થશે જેમ ૨૫ જુન ૧૯૭૫ના રોજ જયપ્રકાશ નારાયણની ઐતિહાસિક સભામાં થયું હતું. ઈતિહાસમાં બધું જ લખેલું છે કે એ સભા પછી શું થયું હતું. અણ્ણા પણ જાણતા હશે કે સરકાર એ વખતે માત્ર ડરી હતી, તેમની સાથે સહમત નહોતી થઈ. અણ્ણા સામેનો પડકાર સરકારનો ડર નહીં, પરંતુ તેમની અસહમતી જ છે.