મમતા સાથે અત્યારે કોંગ્રેસ છેડો ફાડી શકે તેમ ન હોઈ પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી શાંત રહેવાનો વ્યૂહ ઘડ્યો છે. ઉ.પ્ર.ની ચૂંટણી પૂરી થતાં તે મુલાયમસિંહ સાથે મેળ પાડી મમતા વિના પણ સરકાર ચલાવશે.
કોંગ્રેસે પ.બંગાળમાં પોતાનું ગુમાવેલું સ્થાન પાછું લેવું છે પણ મમતા એ ઇચ્છતાં ન હોઈ એને કોઈ તક આપવા માગતાં નથી.
પ. બંગાળનાં મમતા બેનરજી પોતાના સાથી પક્ષ કોંગ્રેસને પોતાની સાથે છેડો ફાડી નાખવાનું ખુલ્લું આહ્વાન આપી રહ્યાં છે. પોતાની લડાયક, સાથેસાથ મિજાજી અને તડફડની રાજનીતિ માટે જાણીતાં મમતા દીદી શું આવેશમાં આવી જઈ કોંગ્રેસ પક્ષને દરવાજો દેખાડી રહ્યાં છે? આમ તો છેલ્લા કેટલાય સમયથી તૃણમૂલ કોંગ્રેસ અને કેન્દ્રની યુપીએ-૨ની સરકાર વચ્ચે સામસામા મોરચા મંડાતા રહ્યા છે.
છુટક વેપારમાં વિદેશી મૂડીરોકાણ (એફ.ડી.આઈ.)નો પ્રશ્ન હોય, પેન્શન બિલનો ખરડો હોય કે છેલ્લે લોકપાલની ચર્ચા હોય- આ તમામ મહત્વની નીતિ વિષયક બાબતોમાં મમતાનો પક્ષ સંસદમાં પોતે જે સરકારમાં સહયોગી છે તેની સાથે નહીં પરંતુ વિપક્ષની સાથે હાથ મિલાવતો રહ્યો છે. પ. બંગાળમાં મમતા સાથે કોંગ્રેસ સત્તામાં ભાગીદારી કરી રહ્યો હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસ માક્ર્સવાદી પક્ષની બી ટીમ હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં નેતા દીપા દાસ મુનશી કરી રહ્યા છે તો સામે તૃણમૂલ કોંગ્રેસ પર માક્ર્સવાદીઓની બી ટીમ હોવાનો વળતો પ્રહાર કરે રાખે છે.
કેન્દ્ર અને રાજ્ય સ્તરે આ બંને પક્ષો સત્તામાં ભાગીદારી કરી રહ્યા હોવા છતાં આવું જોરદાર શાબ્દિક યુï શા માટે ચલાવી રહ્યા છે? શું આ માટે મમતાની મિજાજી પ્રકૃતિ અને તડફડનું રાજકારણ જવાબદાર છે? કે પછી મમતા કોંગ્રેસનું આધિપત્ય જમાવવાની નીતિથી તંગ આવી રહ્યા છે? વાસ્તવમાં મમતા અને કોંગ્રેસ બંને ગણતરીપૂર્વકનું પોતાનું રાજકારણ ખેલી રહ્યા છે. ૩૫ વર્ષના ડાબેરી શાસનને ઉખાડી સત્તામાં આવેલાં મમતા બેનરજી પ. બંગાળના એક શક્તિશાળી પ્રાદેશિક નેતા તરીકે પોતાનું સ્થાન સ્થિર કરવા માગે છે.
સામી બાજુ છેલ્લા ત્રણ દાયકાઓ ઉપરાંતના સમયથી રાજકીય વનવાસ ભોગવતી રહેલી કોંગ્રેસ મમતાની અત્યારની લોકપ્રિયતાના આશરે પોતાનું ગુમાવેલું સ્થાન પુન: પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોવા લાગી છે. આ પરિસ્થિતિ મમતાને મંજૂર નથી અને ભવિષ્યમાં ડાબેરી માક્ર્સવાદીઓનો વિકલ્પ કોંગ્રેસ રહે નહીં તેવી ગણતરી સાથે દીદી કોંગ્રેસને તેની વગ વિસ્તારવાની તક આપવા માગતા નથી. કલકત્તાસ્થિત ‘ઇન્દિરા ગાંધી ભવન’નું નામ બદલી તેને બંગાળના ક્રાંતિકારી કવિ નઝરુલ ઇસ્લામનું નામ આપવા પાછળ મમતાની સંભવત: આ જ ગણતરી છે.
મમતાના ખુલ્લા પ્રહારો છતાં અત્યારે કોંગ્રેસ છેડો ફાડી શકે તેમ નથી. લોકસભામાં ૧૯ સાંસદો ધરાવતા તૃણમૂલ વગર ડૉ.. મનમોહનસિંહની સરકાર એકદમ લઘુમતીમાં આવી જાય અને આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ ભારે મુશ્કેલીમાં આવી પડે તેમ છે. આ સંજોગોમાં હાલના તબક્કે કોંગ્રેસે પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી ખામોશી જાળવી રાખવાનો વ્યૂહ ઘડી નાખ્યો છે. કોંગ્રેસ અત્યારે એવી ગણતરીઓ સાથે ચાલી રહી છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પૂરી થતાં તે લોકસભામાં ૨૨ સભ્યો ધરાવતા મુલાયમસિંહના પક્ષ સાથે મેળ પાડી શકશે અને આ પછી મમતાના સાથ વગર પણ કેન્દ્ર સરકાર ચલાવી શકાશે.
પરંતુ પ. બંગાળમાં કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દઈ પોતે એક માત્ર પ્રાદેશિક પરિબળ તરીકે સ્થિર થવાના મમતાના આ વ્યૂહના પ્રત્યાઘાતરૂપ કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચેની જુગલબંધી ફરી શરૂ થવાની પણ સંભવાના છે. મમતાના વધી રહેલા દબાણ વચ્ચે કોંગ્રેસની મુશ્કેલી એ છે કે પ્રણવ મુખરજી જેવા માન્ય નેતા કેન્દ્રમાં હોવા છતાં રાજ્યસ્તરે તેની પાસે કોઈ મમતાની સામે ઊભો રહી શકે તેવો નેતા નથી.
આમ છતાં તાજેતરના પરાજય પછી ડાબેરી જે સત્તાનો અવકાશ છોડી ગયા છે તેને પૂરવાના મોહમાંથી કોંગ્રેસ બહાર આવી શકતી નથી અને તે મમતા માટે મોકળું મેદાન છોડવા સંમત થતી નથી. આથી બંને પક્ષો વચ્ચેનો ટકરાવ અનિવાર્ય બની રહેવાનો છે. એવી માન્યતા પ્રબળ થતી ચાલી છે કે આગામી બજેટ સત્ર સુધીમાં મમતા અને યુ.પી.એ.-૨ વચ્ચે નવાં સમીકરણો ઊભાં થવાનાં છે. પ. બંગાળમાં છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી ડાબેરી વિચારધારાનો રાજ્યની આમજનતા પર જે પ્રભાવ છે તે આસાનીથી ભૂંસી શકાય તેમ નથી.
આ સંજોગોમાં આર્થિક ઉદારમતના નામે જમણેરી નીતિઓ તરફ ઝૂકતી કેન્દ્રની યુ.પી.એ.-૨ની નીતિઓનું મમતા અનુમોદન કરી શકવાનાં નથી અને આ જ કારણો એફ.ડી.આઈ. કે પેન્શન ખરડામાં તેઓએ ડાબેરીના સૂરમાં પોતાનો સૂર પુરાવ્યો હતો. આથી યુ.પી.એ-૨નો સાથ છોડી તેઓને ફરીવાર ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં પાછાં વળવાની ફરજ પડે તો નવાઈ નહીં. તો સામે કોંગ્રેસ પણ મમતાના વિકલ્પે મુલાયમનો સાથ વિચારી રાખ્યો છે.