ભૂલોનું પુનરાવર્તન : વિપક્ષો અણ્ણાની પડખે અણ્ણા તથા વિપક્ષના દબાણ હેઠળ સરકારને ભ્રષ્ટાચારવિરોધી સશકત કાનૂન લાવવાની ફરજ પડી છે! અસરકારક લોકપાલનો કાયદો બનશે તો તેનો યશ અણ્ણા તથા વિપક્ષને મળશે.
ટૂંકમાં રાજકીય વ્યવસ્થા-શક્તિના અભાવે જે છબરડાઓ વળતા રહ્યા છે તેના પરિણામે લોકપાલનો ખરડો ગમે તે સ્વરૂપે સરકાર પસાર કરાવે તો પણ ભ્રષ્ટાચાર-વિરોધી આ લડતમાં તેણે માત્ર ખોવાનું જ છે, કશું ખાસ મેળવી શકે તેમ નથી!
બ્રિટનના મજૂર પક્ષનો તેના પ્રતિસ્પર્ધી રૂઢિચુસ્ત પક્ષ પર એવો આક્ષેપ રહ્યો છે કે તે ‘ભૂતકાળ જ વાગોળતો રહે છે અને ભૂલોમાંથી કાંઈ શીખતો નથી.’ ભારતના કોંગ્રેસ પક્ષ માટે પણ આવું કહી શકાય તેમ છે. અત્યારે અણ્ણા હજારેના ભ્રષ્ટાચારવિરોધી જે આંદોલનનો તે સામનો કરી રહ્યો છે તે વાસ્તવમાં તેનો ત્રીજો અનુભવ છે.
આ અગાઉ ૧૯૭૦ના દાયકામાં લોકનાયક જયપ્રકાશજી અને તે પછીના દાયકામાં વી.પી.સિંહના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના અંતે ભારે વિનાશક રાજકીય પરિણામો કોંગ્રેસ ભોગવી ચૂકી હોવા છતાં જે ભૂલો તેણે ભૂતકાળમાં કરે રાખી હતી તેને વિસારે પાડી દઈ અણ્ણાની સામે તે ફરીવાર અત્યારે આવી જ ભૂલો આચરી રહી છે.
ભ્રષ્ટાચારની મૂળ સમસ્યાને નિષ્ઠાપૂર્વક હલ કરવાને બદલે, જયપ્રકાશજી અને અને વી.પી.સિંહ સામે આકરા અને અભદ્ર પ્રહારો કરતી રહેલી કોંગ્રેસ અત્યારે અણ્ણા સામે આવા જ પ્રહારોનો મારો ચલાવી રહી છે. વધારામાં ગયા ઓગસ્ટમાં સંસદે સવૉનુમતે જે ત્રણ હૈયાધારણો અણ્ણાને આપી હતી અને વડાપ્રધાન ડૉ.. સિંહે ખાસ દૂત દ્વારા આ ખાતરીઓ લેખિત સ્વરૂપે અણ્ણાને પહોંચતી કરી હતી તેનો સવાઁગી ભંગ કરતો અહેવાલ સ્થાયી સમિતિ દ્વારા રજૂ થતાં સરકારની ઇમાનદારી પર અણ્ણાની શંકાઓને આમ સમર્થન મળવા લાગે છે.
કોંગ્રેસના ડૉ.. સંધવીના અધ્યક્ષપદ હેઠળની સ્થાયી સમિતિના આ અહેવાલમાં વડાપ્રધાન તથા સી-વર્ગના કેન્દ્રીય કર્મચારીઓને લોકપાલના દાયરામાંથી બહાર રાખવા ઉપરાંત સી.બી.આઈ.ને પણ બહાર રાખવાની જે ભલામણો થઈ છે તેણે વડાપ્રધાનની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જોગાનુજોગ તાજેતરમાં છુટક વેપારમાં વિદેશી મૂડીના રોકાણના મુદ્દે વડાપ્રધાન પદની ગરિમાનો જે લોપ થતો રહ્યો હતો તેનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે. વધારામાં ૩૦ નવેમ્બરે મળેલી સ્થાયી સમિતિની બેઠકે સી વર્ગના કર્મચારીઓને લોકપાલના દાયરામાં રાખવાની જે ભલામણો કરી હતી તે વળતે દિવસે રદ થઈ જતાં અણ્ણાના રાહુલ ગાંધીના હસ્તક્ષેપના આક્ષેપોએ વડાપ્રધાનની પ્રતિષ્ઠાને વધારે ખંડિત કરી નાખી છે.
કમનસીબે છેલ્લા બે દિવસોમાં કોંગ્રેસનું જે ચિત્ર બહાર આવી રહ્યું છે તે સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે કેટલીક શરતો આધિન વડાપ્રધાનને તથા સી વર્ગના કર્મચારીઓને લોકપાલના દાયરામાં લાવવા તેણે સંમત થવું જ પડવાનું છે. અને આવું જ સી.બી.આઈ. માટે તેણે ઝૂકવું પડવાનું છે. છુટક વેપારમાં વિદેશી મૂડીના પ્રશ્ને મમતા તથા ડી.એમ.કે. જેવા સહયોગીઓ અને વિપક્ષ સાથે તાલમેલ ઊભો કરવામાં વળેલા છબરડાઓ પછી યુ.પી.એ.-૨માં રાજકીય વ્યવસ્થાનો અભાવ હોવાનું જે ચિત્ર બહાર આવ્યું હતું તેને ફરીવાર લોકપાલના મુસદ્દાના મુદ્દે વ્યાપક પુષ્ટિ મળવા લાગી છે.આ પરિસ્થિતિના ત્રણ પ્રતિભાવોમાંથી યુ.પી.એ.-૨ અને કોંગ્રેસ પક્ષ બચી શકશે નહીં.
(૧) ડૉ.. મનમોહનસિંહ સરકારના વડા હોવા છતાં તેઓ સરકાનું નેતૃત્વ કરી શકતા નથી. વધારામાં છુટક વેપારમાં વિદેશી મૂડીના મુદ્દે વડાપ્રધાન સરકારના સફળ વલણની જોરદાર હાકલો કરતા હતા ત્યારે બરાબર તે જ સમયે નાણાંમંત્રી પ્રણવબાબુ મમતાને આ દરખાસ્તને સ્થગિત કરવાની ખાતરીઓ આપતા હતા. આ સ્થિતિમાં ડૉ..સિંહ વ્યક્તિગત રીતે તો પાંગળા દેખાયા પરંતુ વડાપ્રધાનપદનું ગૌરવ પણ હણાતું રહ્યું. આવું જ લગભગ લોકપાલના મુદ્દે થતાં ડૉ..સિંહના નેતૃત્વ સામે પ્રશ્નાર્થો થવા લાગ્યા છે.
(૨) ભાજપ સહિત મોટા ભાગના વિપક્ષો જ્યારે અણ્ણાના સૂરમાં સૂર મિલાવી રહ્યા છે ત્યારે અણ્ણાના જનલોકપાલના મુસદ્દા સાથે મેળ ખાતો જ ખરડો સંસદમાં સરકારે રજૂ કરવો પાડવાનો છે. આવો ખરડો સંસદમાં પસાર થયા પછી પણ ભ્રષ્ટાચાર સમાપ્ત કરવામાં સરકાર તથા કોંગ્રેસ પક્ષ સંકલ્પબદ્ધ છે તેવો દાવો પણ સરળતાથી આમ લોકોમાં માન્ય થવાનો નથી. આથી ઊલટું એવી છાપ પડવાની છે કે અણ્ણા તથા વિપક્ષના દબાણ હેઠળ સરકારે ભ્રષ્ટાચારવિરોધી સશકત કાનૂન લાવવાની ફરજ પડી છે! ટૂંકમાં સશકત અને પ્રભાવી લોકપાલનો કાયદો બનશે તો તેનો યશ અણ્ણા તથા વિપક્ષના ફાળે નોંધાશે.
અને (૩) આજે મળનારી સર્વદલીય બેઠકમાં સર્વસંમતિ ન થાય અને સરકાર તથા વિપક્ષો વચ્ચેના મતભેદો ચાલુ રહે તેમ છતાં સરકાર પોતે જેને સશકત માને છે તેવો ખરડો સંસદમાં લાવશે અને તેને પસાર પણ કરાવી જાય તો પણ મુશ્કેલીઓનો અંત આવે તેમ નથી. વાસ્તવમાં સરકારનો આવો પ્રયાસ અણ્ણા તથા વિપક્ષ દ્વારા સંપૂર્ણપણે અમાન્ય રહેવાનો છે અને અણ્ણાને વ્યાપક લોકઆંદોલન છેડવાનો મોકો મળી રહેવાનો છે અને આવી સ્થિતિમાં ’૭૦ના દાયકામાં જયપ્રકાશજીના આંદોલનમાં જેમ સમગ્ર વિપક્ષ ભળ્યો હતો તેવું અણ્ણાના આંદોલનમાં થવાનો પૂરો સંભવ છે.
ટૂંકમાં રાજકીય વ્યવસ્થાશક્તિના અભાવે જે છબરડાઓ વળતા રહ્યા છે તેના પરિણામે લોકપાલનો ખરડો ગમે તે સ્વરૂપે સરકાર પસાર કરાવે તો પણ ભ્રષ્ટાચારવિરોધી આ લડતમાં તેણે માત્ર ખોવાનું જ છે, કશું ખાસ મેળવી શકે તેમ નથી! પરંતુ લોકપાલનું ગળામાં ફસાયેલું છછુંદર તે ગળી કે બહાર કાઢી શકે તેમ પણ નથી.