ગિલાનીની બધી વાતો છેતરામણી છેલ્લાં ૬૫ વર્ષથી કાશ્મીરને હડપ કરવા પાકિસ્તાન કાવતરાં શાસ્ત્રના ભાથામાં જેટલાં તીરો છે તે તમામનો ભરપૂર ઉપયોગ કરી ચૂક્યું છે.
હવે ભારતે કાશ્મીર સમસ્યા પર પડદો પાડી દેવાનો સમય પાકી ગયો છે. આ સમસ્યા પર હવે ચર્ચાનો અવકાશ નથી તેવું સાફસાફ જણાવી દેવું રહ્યું! આ ઉપરાંત રાષ્ટ્રસંઘમાં પણ આ સમસ્યાની અંતિમ દફનવિધિની પ્રક્રિયા ભારતે પૂરી કરી દેવી રહી.
‘કાશ્મીર અંગે યુદ્ધ કરવું પાકિસ્તાનને પાલવે તેમ નથી...’ તેવા વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનાં ઉચ્ચારણોથી ભારત ભાગ્યે જ રાહતની લાગણી અનુભવી શકે તેમ છે. છેલ્લાં ૬૫ વર્ષથી કાશ્મીરને હડપ કરવા પાકિસ્તાન કાવતરાંશાસ્ત્રના ભાથામાં જેટલાં તીરો છે તે તમામનો ભરપૂર ઉપયોગ કરી ચૂક્યું છે. ૧૯૪૭ના વિભાજનને માંડ સો દિવસો પૂરા થાય તે પહેલાં ઓક્ટોબર ’૪૭માં અત્યારે પાકિસ્તાનના જે વિસ્તારો તાલિબાનો તથા અલ-કાયદાના ગઢ બની ચૂક્યા છે તે કબાયલી વિસ્તારોમાંથી હજારો ખૂંખાર હુમલાખોરોને રવાના કરી કાશ્મીર કબજે કરવાના કરેલા પ્રથમ નિષ્ફળ પ્રયાસ પછી ઇસ્લામાબાદ ત્રણ યુદ્ધો લડી ચૂક્યું છે. સીધાં યુદ્ધોમાં સાંપડેલી નિષ્ફળતા પછી છેલ્લા બે દાયકા ઉપરાંતના સમયથી તે સામે પારથી ત્રાસવાદીઓનાં ધાડાઓ મોકલતું રહ્યું છે.
આ કાતિલ ત્રાસવાદ વ્યક્તિગત હત્યાઓ ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજ્ય અને ભારતના અન્ય વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટો અને ભારતીય સંસદ તથા ૨૬/૧૧ની મુંબઈની ઘટના સહિત કોડીબંધ હિંસક ઘટનાઓને પરિણામે હજારોની જાનહાનિ થતી રહી છે. વ્યાપક હિંસાખોરી ઉપરાંત સૈયદ અલીશાહ ગિલાની જેવાં અલગતાવાદી પૂતળાં ઊભા કરી હુર્રિયત જેવી રાજકીય સંસ્થા દ્વારા વિદ્રોહની આગ પ્રજવલિત રાખવાના પૂરજોશ પ્રયાસો ઇસ્લામાબાદના રહ્યા હોવા છતાં કાશ્મીરને ભારત પાસેથી છીનવી શક્યું નથી ત્યારે યુદ્ધ ન કરવાના વડાપ્રધાન ગિલાનીનાં ઉચ્ચારણોથી આપણે છેતરાવાની જરૂર નથી.
સૌ પ્રથમ તો કાશ્મીરીઓના હિતચિંતકો તરીકે પાકિસ્તાન તેને ‘નૈતિક, રાજકીય અને રાજદ્વારી...’ સમર્થન ચાલુ રાખશે તેવું ઉચ્ચારણ તો વડાપ્રધાન ગિલાની કરી રહ્યા છે. વાસ્તવમાં છેક ૧૯૪૭થી પાકિસ્તાન આવાં છેતરામણાં ઉચ્ચારણો કરતા રહી વ્યાપક હિંસાખોરીનો દોર ચલાવતું રહ્યું છે. ગયા મહિને લાહોરમાં લશ્કર-એ-તોઈબાના સ્થાપક સૈયદ હાફિઝના નેતૃત્વ હેઠળ મળેલી એક પ્રચંડ રેલીને સંબોધન કરતા તેઓએ ‘ભારત, અમેરિકા તથા ઇઝરાયલ સામે જેહાદ’ ચાલુ રાખવાની ઘોષણા કરી હતી.
અત્રે એ પણ યાદ રાખવાની જરૂર છે કે ભારત, કાશ્મીર, અમેરિકા સાથેના સંબંધો અફઘાનિસ્તાન તથા અણુશસ્ત્રો જેવી બાબતોના નિર્ણય પાકિસ્તાનની કોઈ પણ સરકાર કરી શકતી નથી અને આ બાબતોના નિર્ણય કેવળ લશ્કર જ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાનમાં લોકશાહી સરકારનો અમલ ચાલે છે પરંતુ આખરી નિર્ણય તો લશ્કરના હાથમાં જ ચાલુ રહ્યો છે.
અહીં એ પણ નોંધ લેવી રહી કે સૈયદ હાફિઝ જેવા જેહાદીઓ જેમ લશ્કર તથા ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના સીધા અંકુશ હેઠળ છે જેમ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દાયકાઓ ઉપરાંત સમયથી સીમાપારથી ત્રાસવાદ ચલાવી રહેલા ‘સંયુક્ત જેહાદી કાઉન્સિલ’ના નેતા સૈયદ સલાઉદ્દીન સહિત સંખ્યાબંધ ત્રાસવાદી જૂથો તથા તેમના નેતાઓ માત્ર લશ્કરના ઇશારે જ ચાલે છે. વધારામાં ભારતના સૈન્યના વડા જનરલ વિ.કે.સિંહના તાજેતરનાં ઉચ્ચારણો પ્રમાણે આઝાદ કાશ્મીર વિસ્તારમાં લગભગ બે ડઝન ઉપરાંત ત્રાસવાદી છાવણીઓ હજુ અકબંધ ચાલી રહી છે. આ સંજોગોમાં વડાપ્રધાન ગિલાનીના ‘યુદ્ધ નહીં’નાં ઉચ્ચારણોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી.
વાસ્તવમાં હવે ભારતે આગળ આવી કાશ્મીર સમસ્યા પર આખરી પડદો પાડી દેવાનો સમય પાકી ગયો છે. ધાર્મિક ધોરણે થયેલા દેશના વિભાજન પછી છેક ૧૯૪૭થી પાકિસ્તાન એવી દલીલ કરતું રહ્યું છે કે મુસ્લિમ બહુમતીવાળું જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતમાં ભળતા પાકિસ્તાન માટે વિભાજનની વણઉકલી સમસ્યા છે. સંભવત : આજ તથ્યના આધારે ભારતે ૧૯૪૮ના રાષ્ટ્રસંઘમાં તથા ભારતીય સંસદમાં લોકમત દ્વારા આખરી નિર્ણયની ખાતરીઓ આપી હતી પરંતુ ૧૯૭૧ પછી ચિત્ર મૂળભૂત રીતે બદલાઈ ચૂક્યું છે. ૧૯૪૭માં જે તથ્યના આધારે દેશનું વિભાજન થયું અને અલગ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર પાકિસ્તાન તરીકે અસ્તિત્વમાં આવ્યો પરંતુ ૧૯૭૧માં આ જ પાકિસ્તાનની બહુમતીએ મહંમદ અલી ઝીણાના ખ્યાલના આધારે આવેલા ‘બે રાષ્ટ્ર’ના સિદ્ધાંતનો છેદ ઉડાવી દઈ બંગલાદેશની રચના કરી.
આ પછી ૧૯૪૭-૪૮નાં વર્ષોમાં જે તથ્યનો સ્વીકાર થયો હતો તે હવે અપ્રસ્તુત છે અને આથી ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનના દાવાને નકારી કાઢી આ પ્રકરણ પર પડદો પાડી દેવા જોઈએ અને કાશ્મીર સમસ્યા પર કોઈ પણ ચર્ચાનો હવે અવકાશ રહ્યો નથી તેવું સાફસાફ જણાવી દેવું રહ્યું! આ ઉપરાંત રાષ્ટ્રસંઘમાં પણ આ સમસ્યાની અંતિમ દફનવિધિની પ્રક્રિયા ભારતે પૂરી કરી દેવી રહી.