કિયે છેડેથી શરૂ કરીશું આજની નુકતેચીની ? નવા વરસના પહેલા દિવસે આજાર અણ્ણા પુણેની હોસ્પિટલમાં તો બુઝુર્ગ વડાપ્રધાન કાળા વાવટાના સ્વાગત વચ્ચે અમૃતસરમાં, એવો ઘાટ જોવા મળ્યો. અણ્ણાનું હોસ્પિટલમાં હોવું, દેશમાં નાગરિક છેડેથી ઘણી મોટી આશાઅપેક્ષામાં કંઈક એમના ભણીથી તો કંઈક બીજાઓ તરફથી ગતિરોધનું સૂચક છે, તો મનમોહનસિંહને મળી રહેલું વિશિષ્ટ ‘સ્વાગત’ કદાચ આ પરિસ્થિતિમાં રહેલા અજંપાનું ધ્યોતક છે. નહીં કે આ ‘સ્વાગત’માં વાસ્તવિકતાનું ખરું ને પૂરું આકલન છે, પણ એમાં અજંપ અધિરાઈ અવશ્ય છે.
ઇચ્છા તો ૨૦૧૧ના ઇસુવરસમાં દુનિયા આખીમાં જનસામાન્યે જે નવો વાસંતી ઉપાડો લીધો એના સંબલની જિકર સાથે ૨૦૧૨નું ખાતું ખોલવાની હતી અને છે, પણ ચિત્ત હજુ ડિસેમ્બરના છેલ્લા દિવસોના દિલ્હી દરબારની બહાર નીકળી શકતું નથી.
૨૮મી ડિસેમ્બરે એક સાથે બે વાનાં બની આવ્યાં : મુંબઈમાં અણ્ણાએ અનશનને અધવચ વીંટો વાળ્યો. એમાં નિરાશા હતી અને રોષ પણ હતો. કારણ, દિલ્હીના દેવતાઓ અણ્ણાના આકલન મુજબ એક નબળા લોકપાલની વેતરણમાં પડ્યા હતા. જોકે, ગમે તેમ પણ, ૨૮મી ઊતરતે લોકસભાએ લોકપાલ વિધેયક પસાર તો કર્યું જ. પણ વળતે દિવસે, ૨૯મી ડિસેમ્બરે રાજ્યસભામાં એ શક્ય ન બન્યું. કૉંગ્રેસ-યુપીએ પાસે લોકસભામાં હતી એવી ને એટલી મતદાનીય સગવડ રાજ્યસભામાં નહોતી. એ સંજોગોમાં, લોકપાલ વિધેયક રાજ્યસભામાં પસાર થવા દેવું, ન થવા દેવું ઘણે અંશે વિપક્ષ પર નિર્ભર હતું. લોકસભામાં વિપક્ષને જે ગ્રાહ્ય રહ્યું એ ધોરણે રાજ્યસભામાં કેમ શક્ય ન બન્યું? જોકે, તે પછી પણ ટીમ અણ્ણાને સંતોષ ન થયો હોત એ જુદી વાત છે. પણ જે રીતે રાજ્યસભા સાંસદો છુટી પડ્યા એ જોતાં એમ માનવાને કારણ છે કે મુંબઈ છાવણી સંકેલાઈ ન હોત તો એમના પર એક ડારો જરૂર રહ્યો હોત.
ટીમ અણ્ણા દેશના જાહેર જીવનમાં રાજકીય-શાસકીય અગ્રવર્ગની જોડાજોડ નાગરિક સમાજનો પાટલો પાડવામાં અગ્રનિમિત્ત બની અને તબક્કે તબક્કે કૉંગ્રેસ-ભાજપ સહિતના રાજકીય પ્રતિષ્ઠાને એની સાથે સકારાત્મક અભિગમ દાખવ્યો (અગર એવી ફરજ પડી) તે ૨૦૧૧ની મહદ્ લબિ્ધ છે. આ‹ગસ્ટના ઘટનાક્રમ પછીના સલમાન ખુરશીદના ઉદ્ગારોમાં અગર તો ડિસેમ્બરના ઘટનાક્રમ પછીના પ્રણવ મુખરજીના ઉદ્ગારોમાં નાગરિક સમાજને માટેના અવકાશનો સ્વીકાર જોવા મળ્યો એ સ્વાગતાર્હ છે. અલબત્ત, હજુ ખુલ્લા દિલે આગળ વધવામાં એ ઓછા નથી પડતા એવું નથી.
૨૦૧૧ની આ લબ્ધિમાં જો ટીમ અણ્ણાની કીર્તિદા કામગીરીનો ફાળો છે તો ૨૦૧૨ના આરંભે વરતાતા ગતિરોધમાં યે એની જવાબદારી નથી એવું નથી. રાજકીય-શાસકીય અગ્રવર્ગને સમગ્રપણે (અને સાર્થક આપ-લેની ભૂમિકાએ) હંકારવાને બદલે એ તૂતૂમેંમેં પર- અને તે પણ પક્ષપાતપૂર્વક ઊતરી આવે છે. નમૂના દાખલ, તૃણમૂલ જેવા યુપીએ સાથીએ તો મુખ્ય વિપક્ષ ભાજપે અને અન્ય પક્ષોએ સમવાયતંત્રનો મુદ્દો ઉછાળીને રાજ્યસભામાં લોકપાલ વિધેયક સામે વિશેષ મોરચો ખોલ્યો હોય તો ટીમ અણ્ણાએ રાજ્યોની ચૂંટણીમાં જે તે સત્તાપક્ષને લબડધક્કે લેવાનો વ્યૂહ વિચારવો જોઈતો હતો. પણ જો એને કેવળ કૉંગ્રેસ જ દેખાય તો એ એક મોટી લડતને સાંકડી તેળમાં નાખવાની અને વણચિંતવ્યે પણ કોઈકના રાજકીય હાથા તરીકે રમી જવાની વાત છે.
કૉંગ્રેસ-યુપીએ તરફથી આ વિધેયકમાં સામાજિક ન્યાયને નામો વિવાદપહેલ કરાઈ તો ભાજપ અને બીજાઓએ સમવાયતંત્રનું લાકડું લડાવ્યું એ તો ખરું જ, પણ ટીમ અણ્ણાએ આ અંગે કોઈ વિવેક નહીં કરતાં કેવળ કૉંગ્રેસવિરોધનું વલણ દાખવ્યું એ જ એકમાત્ર ટીકામુદ્દો નથી. ભ્રષ્ટાચારવિરોધી વ્યાપક લોકલડતને એણે એક કાનૂની આંટી ઘૂંટી અને આપલેમાં ગંઠાઈ જવા દીધી એ કદાચ એથીયે મોટો મુદ્દો છે. જાહેર જીવનમાં નૈતિક ડારો બેસી એવી એક મોટી હવા બની હતી એ બધી જ ઊર્જા એણે લોકપાલ નામની જાદુઈ છડીમાં ગંઠાવા દીધી. ભ્રષ્ટાચારવિરોધી હવા અને પ્રજાસૂય પહેલ સરવાળે લોકપાલચર્ચામાં સમેટાઈને રહી ગયાં, એવી લાગણી અસ્થાને નથી.
આ લાગણી કોઈ વાંકદેખા, સઘળું નિ:સાર છે એમ તુચ્છતાભાવથી જોતા સિનિકની રીતે નહીં, પણ સથવારા પસંદ ચાહકને નાતે નાગરિક છેડેથી વ્યક્ત કરું છું ત્યારે ૨૦૧૧ની મહદ્ લબિ્ધને ૨૦૧૨માં હજુ આગળ જતી જોવા ઇચ્છવાનો હૃદયભાવ બરકરાર છે. બલકે, ૨૦૧૧માં દુનિયાભરમાં ઊઠેલી વાસંતી લહરમાં ભારતનો યે એક નાગરિક નેજો લહેરાયાની અને તે લહેરાતો રહે એ જોવાની ઉમેદ પણ છે. ઇસ્લામ હાડે કરીને પ્રતિગામી જીર્ણઝનૂની બીના છે એવી જાડી (અણ) સમજને ભોંઠી પાડતી અરબ વસંત, ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’ની નવ્ય અર્થનીતિ ઝંખતી ચળવળ અને તહરીરથી જંતરમંતર-શક્યતાઓથી ભરેલું ને ભારેલું. ૨૦૧૨નું વરસ, તું ભલું બેઠું!
લોકપાલ ગતિરોધ :
એક મોટી ચળવળને ‘લોકપાલ’ નામની કાનૂની ઘટનામાં આ હદે ગંઠાવા દઈએ અને એને રાજકીય હાથો બનવા દઈએ તો ૨૦૧૨નું વરસ ઊણુંઅલૂણું બની રહેશે.
પ્રકાશ ન. શાહ , લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.