ગત ચૂંટણીમાં ૧૦૦ સીટો જીતનારી સપા આ વખતે બસપાને હરાવી દેવાના સંકલ્પ સાથે ઉતરી છે, પરંતુ ૧૪ નાની પાર્ટીઓએ ભેગા મળીને બનાવેલો સંયુક્ત મોરચો સમીકરણ બગાડી શકે છે.
રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીને કૉંગ્રેસ હવેની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડી શકે છે. રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ અગ્રતા મનમોહનસિંહ માટે અપાય અને તેઓ ના પાડે તો નાણામંત્રી પ્રણવ મુખર્જી પણ રાષ્ટ્રપતિ બની શકે છે.
વર્ષ ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેનાં પરિણામની સીધી અસર રાજ્યસભામાં બહુમતીના ગણિત અને જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામ પર થશે. ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પરિણામ દેશમાં રાજકારણની દિશા નક્કી કરશે. વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાશે. બંને રાજ્યોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ ઘટનાઓ ઉપરાંત સરકારમાં ટોચના સ્તરે નેતૃત્વ પરિવર્તનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીને કૉંગ્રેસ આગામી ચૂંટણી તેમના નેતૃત્વમાં લડી શકે છે. રાષ્ટ્રપતપિદ માટે પ્રથમ વખત વડાપ્રધાનના નામનો પ્રસ્તાવ આવી શકે છે. જો ડૉ.. મનમોહનસિંહ કોઈ કારણસર ઇનકાર કરે છે તો નાણામંત્રી પ્રણવ મુખર્જી પણ રાષ્ટ્રપતિ બની શકે છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોતાં આખું વર્ષ રાજકીય ઊથલપાથલ ભરેલું રહેશે. રહસ્ય અને રોમાંચ તો ખરાં જ.
કૉંગ્રેસ : ઉત્તરપ્રદેશની વૈતરણી
બાવીસ વર્ષથી ઉ.પ્ર.માં સત્તાથી દૂર રહેલી કૉંગ્રેસ આ વખતે રાહુલ ગાંધી પર મીટ માંડીને બેઠી છે. ગયા વર્ષે ભટ્ટા પરસોલ ગામમાં માયાવતી સરકાર દ્વારા ખેડૂતો પર ગોળીબાર કરાવાયા બાદ શરૂ થયેલું રાહુલનું અભિયાન અત્યારે જોરમાં છે. રાહુલ ગાંધીએ માયાવતી સરકાર પર યમુના એક્સપ્રેસ-વે માટે જમીન હસ્તગત કર્યા વિરુદ્ધ ચાલેલા આંદોલનમાં ખેડૂતોની હત્યા કરી લાશો બાળી મૂકવાના અને તેમની મહિલાઓ સાથે બળાત્કારના આરોપ લગાવ્યા હતા. આરોપો તો સાબિત થયા નહીં પરંતુ રાહુલ ગાંધી ખેડૂતોના નેતા જરૂર બની ગયા. ૧૯૮૯માં ઉ.પ્ર.માં કૉંગ્રેસનો સફાયો કરવામાં વી.પી. સિંહના ભ્રષ્ટાચારવિરુદ્ધના અભિયાનની મુખ્ય ભૂમિકા હતી. એ વખતે બોફોર્સ રાજકારણમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ હતી. આ વખતે રાહુલ બસપાના ચૂંટણી ચહિ્ન હાથીને ભ્રષ્ટાચારનો પર્યાય બતાવી રહ્યા છે. બીજી ભાષામાં કહીએ તો તેમનો આરોપ છે કે રાજ્યનો વિકાસ એટલા માટે નથી થતો કેમ કે કેન્દ્રથી મોકલવામાં આવેલાં નાણાં ‘હાથી’ ખાઈ જાય છે. અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થવાથી પક્ષની સંભાવના થોડી વધી ગઈ છે. રાજ્યમાં સરકાર બનાવવામાં કૉંગ્રેસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જો હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ ફરીથી સત્તા મેળવવામાં સફળ થશે અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી ઊભી કરી દે છે તો આવતું વર્ષ પણ કૉંગ્રેસના નામે રહેશે.
ભાજપ : આંતરિક વિખવાદ
ગોવા પર શાસન કરતું ભાજપ આ વખતે કૉંગ્રેસની આંતરિક ખેંચતાણનો ફાયદો ઉઠાવવાની રાહ જોઈ રહ્યું છે. મણિપુરમાં તો ભાજપ છે જ નહીં. ઉત્તરપ્રદેશમાં પણ પાર્ટી ત્રીજા અને ચોથા સ્થાન માટે કૉંગ્રેસ સાથે લડી રહી છે. આ બાજુ નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં કોઈ ભૂમિકા મળવાની સંભાવના નથી, કેમ કે બિહાર બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ પક્ષે તેમને પ્રચારથી દૂર રાખવાની રજુઆત કરી છે. ઉત્તરાખંડમાં ભાજપ આંતરિક વિખવાદથી પરેશાન છે. ચાર મહિના પહેલાં ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા પોતાના મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નશિંકને હટાવવા પડ્યા હતા. નવા મુખ્યમંત્રી મેજર જનરલ ભુવનચંદ્ર ખંડૂરીએ સત્તા હાથમાં લીધા બાદ લોકસેવા ગેરંટી કાયદો અને લોકાયુકત કાયદો બનાવીને પક્ષની છબીમાં સુધારો કર્યો, પરંતુ આંતરિક વિખવાદ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પક્ષની છબી બસપાની પૂંછડી જેવી છે. તેણે ત્રણ-ત્રણ વખત માયાવતીને ટેકો આપીને મુખ્યમંત્રી બનાવ્યાં છે. આ વખતે પણ એવી જ ધારણા છે કે જો બસપા બહુમતથી થોડી દૂર હશે તો ભાજપ ફરી એક વખત તેને ટેકો આપશે. કર્ણાટકમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે હટાવવામાં આવેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ વિદ્રોહનું રણશીંગુ ફૂંકી દીધું છે. તેઓ વર્તમાન મુખ્યમંત્રી સદાનંદ ગૌડાને હટાવીને ખુદને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી રહ્યા છે. લોકપાલ મામલે ભાજપે ભલે કૉંગ્રેસને બેકફૂટ પર લાવી દીધી હોય પરંતુ યેદિયુરપ્પા અને નશિંકને કારણે તે ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી શકશે નહીં.
ડાબેરી પક્ષો : વિચારધારા પર પુનર્વિચાર
૩૩ વર્ષથી માર્ક્સવાદ પાર્ટીનો ગઢ રહેલા પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવી દેવા અને કેરળમાં માત્ર થોડા અંતરથી કૉંગ્રેસના હાથે પરાજય મેળવ્યા બાદ ડાબેરીઓ રાષ્ટ્રીય રાજકારણમાં ખુદનું અસ્તિત્વ બતાવવાની તક શોધી રહ્યા છે. લોકસભાની ચર્ચા દરમિયાન તેમની હાજરી જરૂર વર્તાય છે. માકપાના મહામંત્રી પ્રકાશ કરાત નેતૃત્વ કરવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે અને ભાકપા મહામંત્રી એ.બી.બર્ધન વધતી જતી ઉંમરને કારણે વધુ સક્રિય રહી શકતા નથી. હવે આ બંને પક્ષો આગામી લોકસભાની ચૂંટણીમાં અસ્તિત્વની લડાઈ લડશે. મમતા બેનર્જી અને ઓમન ચંડી બંગાળ તથા કેરળમાં જો બે વર્ષ સુધી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ થાય છે તો ડાબેરીઓએ પોતાની વિચારધારા પર પુનર્વિચાર કરવો પડશે.
સ્થાનિક પક્ષો : સમીકરણના સૂત્રધાર
આ વર્ષે અને ખાસ કરીને પ્રથમ ત્રિમાસિક ગાળામાં બસપા અને સપા રાજકારણમાં છવાયેલા રહેશે. કારણ કે કેન્દ્રનો સત્તાનો માર્ગ ઉત્તરપ્રદેશમાં થઈને જ પસાર થાય છે. ત્રણ વખત ભાજપના ટેકાથી સરકાર બનાવ્યા બાદ ૨૦૦૭માં જ્યારે બસપાએ એકલા હાથે બહુમત મેળવ્યો ત્યારે તેની પાસે ઘણી અપેક્ષાઓ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં માયાવતીએ જે સ્મારક બનાવ્યાં છે તો બે એક્સપ્રેસ-વે સહિત રોડ પણ બનાવ્યાં છે. તેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તો સામે પક્ષે તેણે રાજ્યમાં ગુનાખોરી પણ કાબૂમાં લીધી છે. પોતાના જ એક ડઝન જેટલા મંત્રીઓ અને ધારાસભ્યોને વિવિધ આરોપો હેઠળ જેલમાં ધકેલી દીધા છે. આમ છતાં ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેનો પક્ષ ૨૧ બેઠક મેળવીને ત્રીજા સ્થાને રહ્યો છે. કૉંગ્રેસ અને સપા ૨૨ બેઠકો સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર રહ્યા હતા. પોતાની સત્તા જાળવી રાખવા માટે માયાવતીએ આ વખતે આરોપી હોય કે જેણે પોતાના ચૂંટણી ક્ષેત્ર પર ધ્યાન ન આપ્યું હોય એવા અનેક મંત્રી અને ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. ગત ચૂંટણીમાં ૧૦૦ સીટો જીતનારી સપા આ વખતે બસપાને હરાવી દેવાના સંકલ્પ સાથે ઊતરી છે. તેની પાસે મુલાયમસિંહ યાદવનો અનુભવ અને તેના પુત્ર અખિલેશ સિંહનો જુસ્સો છે. તે સરકાર વિરુદ્ધ એન્ટિઈન્કમ્બન્સીનો લાભ લેવા માગે છે અને તેમનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર છે. જોકે આ ચૂંટણીમાં ૧૪ નાની પાર્ટીઓએ ભેગા મળીને બનાવેલો સંયુક્ત મોરચો સમીકરણ બગાડી શકે છે.
sharad.gupta@bhaskarnet.com
શરદ ગુપ્તા, લેખક દૈનિક ભાસ્કરના એક્ઝિક્યુટિવ એડિટર છે.