એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે થિમ્પુથી અડ્ડુ (માલદીવ) દરમિયાન ભારત અને પાકિસ્તાને આંતરિક સુધારાની દિશામાં લાંબી મજલ કાપી છે. મનમોહનસિંહ અને યુસુફ રઝા ગિલાની વચ્ચે અટકી પડેલી દ્રિપક્ષીય વાટાઘાટો હવે ફરીથી શરૂ કરવા અંગે ભુતાનની રાજધાની થિમ્પુમાં સાર્ક શિખર સંમેલન દરમિયાન સહમતિ સધાઈ છે. બંને દેશોના સંબંધોનો ઈતિહાસ છે કે આ પ્રકારની વાટાઘાટો પડી ભાંગતી આવી છે. પરંતુ આ સાર્ક શિખર સંમેલન આવતાં સુધીમાં સુધારણાની પ્રક્રિયાએ એક નક્કર સ્વરૂપ ધારણ કર્યું છે.
હવે પાક જ નહીં પરંતુ બીજા દ. એશિયાના દેશોની સાથે પણ ભારતના સંબંધોમાં વેપાર અને વ્યવસાય સૌથી મહત્વનું પાસું બની ગયું છે. થોડા દિવસો અગાઉ પાકે ભારતને સૌથી વધુ મહત્વ ધરાવતો દોશ (મોસ્ટ ફેવર્ડ નેશન) દરજજો આપવાની જાહેરાત કરી હતી, જેને આગળ વધારતાં વડાપ્રધાન ડૉ.. સિંહે જાહેરાત કરી છે કે ભારતે પાકિસ્તાન સાથે પ્રાથમિકતા આધારિત વેપાર કરાર (પીટીએ)ની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં ભારતે દક્ષિણ એશિયાના બધા જ દેશો સાથે મુક્ત વેપાર અને સરળ વિઝા નિયમોનો પ્રસ્તાવ રજુ કરીને સમગ્ર ક્ષેત્ર માટે એક દૂરંદેશની નીતિ રજુ કરી છે. આમ છતાં પણ પાકિસ્તાનની સાથે શાંતિના પથ પર આગળ વધવું ત્યાંના સત્તાના અનેક કેન્દ્રોની હાજરીને કારણે સરળ નથી. જોકે ત્યાં શાંતિનું હિત સમજી રહેલા લોકો સાથે આગળ વધવું અને શાંતિ સમર્થક જુથોનો બંને દેશોમાં વિસ્તાર કરવો એક યોગ્ય નીતિ છે, જેના પર યુપીએ સરકાર ચાલી રહી છે.
મનમોહનસિંહે ઘણા સમય પહેલાં પાકિસ્તાન અને ચીન બંનેના સંદર્ભમાં ‘સંપૂર્ણ ચકાસણી બાદ જ વિશ્વાસ મૂકવો’ની નીતિ બનાવી હતી. જેને તેમણે ધીમે-ધીમે વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે. તેનાથી સંબંધોના સુધારણાની દિશામાં પણ નવી ગતિ આવી છે. તેના લાભ હવે જોવા મળી રહ્યા છે. મનમોહન-ગિલાનીની તાજેતરની મુલાકાતથી નવી આશા જન્મી છે કે આ પ્રક્રિયા હવે આગળ વધશે.