અણ્ણા જીતી ગયા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપસ્થિત હજારો લોકો અને દેશના અલગ-અલગ ભાગો તેમજ દુનિયાભરમાં પોતાના શ્વાસને થંભાવીને આ પળેપળના ઘટનાક્રમ પર નજર રાખી રહેલા કરોડો લોકો, બસ એ અદ્ભુત ક્ષણની પ્રતીક્ષામાં છે કે જ્યારે એ જાહેરાત થાય કે અણ્ણા, અન્ન ગ્રહણ કરનારા છે.
આઝાદી પ્રાપ્તિ બાદ ૬૪ વર્ષના ઊથલ-પાથલ ભરેલા ઈતિહાસ દરમિયાન આ પહેલો પ્રસંગ છે કે જ્યારે મહારાષ્ટ્રના એક નાનકડા ગામ રાલેગણ સિદ્ધિથી નીકળી ૭૪ વર્ષના ફકીરે ‘ઇન્ડિયા’નું ‘ભારત’ની આત્મા સાથે સાક્ષાત્કાર કરી દિલ્હીના રામલીલા મેદાનને ‘ઓગસ્ટ ક્રાંતિ મેદાન’માં પરિવર્તિત કરી દીધું. દેશની સંસદની તે નિશ્વિતપણે અપ્રિય ક્ષણ હશે, જ્યારે અધ્યક્ષ મીરા કુમારે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને અણ્ણા હજારેના બહુમૂલ્ય જીવન પ્રત્યે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગૃહ તરફથી તેઓને(અણ્ણા) પોતાના ઉપવાસ છોડવા માટે વિનંતી કરી હશે. જે અણ્ણા હજારે પર સંસદનું અપમાન કરવાનો આરોપ લગાવાયો હતો.
તે જ સંસદની દીવાલોથી તેઓની પ્રશંસાના ગીત ટકરાઈને સાંસદોની આત્માને જગાડી રહ્યા છે અને સંસદની બહાર દેશ અને દુનિયાભરની જનતા સાક્ષી બની રહી છે કે રાજનૈતિક મજબૂરીવશ ઝૂકેલી સરકાર કેવી રીતે સમજાવવા ઇચ્છી રહી છે કે તેઓની આ મુદ્રા તો ભ્રષ્ટાચાર સામે અણ્ણાની લડાઈ પ્રત્યે સન્માન છે. અણ્ણાના કારણે પહેલીવાર જનતાને અનુભૂતિ થઈ કે દેશ શું છે અને તેના માટે શું કરવું પડશે. આંદોલન મારફતે રાષ્ટ્રની જનતાએ પહેલીવાર પોતાને એક ઇમાનદાર ભારતીયના રૂપમાં રજુ કરવાની જરૂરિયાત આટલા ભારપૂર્વક અનુભવી હશે. દેશની આ ઉપલબ્ધિ ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વમાં મેળવેલી કોઈપણ આર્થિક સફળતા અને દુનિયા માટે ઇષૉ ઉપજાવે તેવા વાર્ષિક વિકાસ દરથી વધુ મહત્વપૂર્ણ છે.
‘ભ્રષ્ટાચાર’ સામેની આ લડાઈની સફળતા કે ઉપલબ્ધિ દુનિયાભરના ખૂણા-ખૂણામાં વસી રહેલા એ કરોડો ભારતીયોનાં મસ્તક ગર્વથી ઊંચા કરનારી છે, જે એક ‘ઇમાનદાર’ જિંદગી જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પણ એ કબૂલ કરવું જોઈએ કે અસલ લડાઈ તો વાસ્તવમાં હવે શરૂ થઈ છે. જનલોકપાલને રજુ કરવું, પાસ કરવું અને તેનું ઇમાનદારી સાથે અમલ કરવાનું બાકી રહેશે. લડાઈ કોઈ નાની કે મોટી નથી. એક લાંબા સમય સુધી અને અલગ-અલગ મોરચા પર ચાલનારી છે. ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે એ જાદુઈ લાકડી દેશને અવશ્ય પ્રાપ્ત થઈ ગઈ છે.
જેનો ઉલ્લેખ અણ્ણા હજારેને તિહાર જેલમાં મોકલી દેવાયાના એક દિવસ પહેલાંની સવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરનારા વડાપ્રધાન કરી રહ્યા હતા.લડાઈની જીતની આ ક્ષણોમાં એ સત્ય પર ખેદ વ્યક્ત કરી શકાય કે સમગ્ર ઘટનાક્રમે આપણા રાજકીય માળખાના નકલી ચહેરાનો પર્દાફાશ કરી નાંખ્યો છે. જેના પર જનતા મતદાતાઓનાં રૂપમાં આજસુધી ગર્વ અનુભવતી રહી છે. અણ્ણા માટે ઉપવાસ કરવાના પ્રસંગો ક્યારેય ખતમ નથી થવાના અને રામલીલા મેદાન પણ ક્યારેય ખાલી રહેશે નહીં.
વિશેષ ટિપ્પણીઃ શ્રવણ ગર્ગ