અમેરિકાએ ચંદ્ર પર માનવી ઉતાર્યો ત્યારે અત્યંત સટીક વ્યંગ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, ચંદ્ર માટે તો અમે ભારતીયો યોગ્ય છીએ, કેમકે 'અમે હવા, પાણી, પ્રકાશ, ખોરાક અને છત્ર વિના પણ જીવી શકીએ છીએ.’
પ્રજાસત્તાકના માત્ર છ દાયકામાં જ આ જ ભારતીય નાગરિકે દેશને વિશ્વસત્તા બનાવી દીધો. હા, એ વાત અલગ છે કે વહીવટ કરનારાઓની ક્રૂર મજાક હજુ પણ ચાલુ છે. મોંઘવારી રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા પછી કૃષિપ્રધાન શરદ પવારે કહ્યું હતું કે, 'લોકો વધારે ખાતા હોવાને કારણે અન્નની અછત અને કિંમતો વધી છે.’
આમ છતાં, મોંઘવારીની સાથે સાથે પવાર હજુ તેમના સ્થાને છે. આ જ આપણું પ્રજાસત્તાક છે. મહાન દેશ - ત્યાગ, સમર્પણ તથા બલિદાન આપનાર લોકો. લાભ, સ્વાર્થ અને બલિદાન લેનારું વહીવટીતંત્ર. આવો વહીવટ કરનાર નેતા-અમલદારો બધા સફળ છે. પરંતુ દેશને મજબૂત બનાવનારા લોકોનું જીવન સાર્થક છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ સફળ અને સાર્થક વચ્ચે કોઈ જંગ નથી, કોઈ તનાવ નથી. આપણી લોકશાહીની સૌથી મોટી વિશેષતા હોય એવું શું છે? ઘણી બાબતો હશે, પરંતુ એક આશ્ચર્યજનક વાત એ છે કે વહીવટીતંત્ર એવું જ છે. પ્રજા એટલે કે આપણે સતત પરિવર્તનશીલ છીએ. વહીવટ ચલાવનારા એ જ રીતે ચલાવે છે. લોકો નવી નવી વાતો, નવી સિદ્ધિઓથી નવી ઊર્જા ભરે છે.
જુઓ કેવી રીતે -
૧૯પ૦ના દાયકામાં અખબારોની હેડલાઈન 'ફુગાવો’ જ હતી. પચાસ વર્ષ પછી આ જ મુખ્ય મુદ્દો છે. કૃષ્ણમેનનના જીપ ગોટાળાને કારણે જે હાલત નહેરુ સરકારની થઈ હતી તેવી જ હાલત રાજીવ સરકારની બોફોર્સ સોદાથી થઈ હતી અને આજે ટુજી કૌભાંડ ખાસ કંઈ અલગ નથી અને લોકો ભ્રષ્ટાચારના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે મત દ્વારા સરકાર બદલતા રહીને પાઠ ભણાવતા રહ્યા. વધારે પડતું થઈ જતાં પહેલી વખત અણ્ણા હજારે આંદોલન દ્વારા શેરીમાં ઊતર્યા.
૧૯૪૮ના પાકિસ્તાની હુમલાથી લઈને ૧૯૬૨ના ચીન યુદ્ધ સુધી આપણા સૈન્ય જવાનોનું સાહસ એવું જ નોંધપાત્ર હતું જેટલું કારગિલ યુદ્ધમાં હતું. ત્યાગ, સમર્પણ અને બલિદાન - સૈન્ય માટે, સૈનિકો માટે વહીવટીતંત્ર એ સમયે એટલું જ કંજૂસ હતું, જેટલું આજે છે. વહીવટીતંત્રએ નરસિંહ રાવ સરકારના ૧૬ પ્રધાનોને ૯૯ હજાર કરોડના કૌભાંડ કરવા દીધા હતા, જે આજની સરકારના લગભગ પાંચ પ્રધાનોના પાંચ લાખ કરોડ કરતાં થોડા જ ઓછા હતા. પરંતુ આ જ તંત્ર, સૈનિકો, શિક્ષકો, કલાકારો, વિજ્ઞાનીઓ, ડોક્ટરો, ખેલાડીઓ અને મહિલાઓના વેતનમાં સન્માનજનક વધારો કરવા તૈયાર નથી. પરંતુ આ બધાએ પીછેહઠ નથી કરી, મક્કમ રહ્યા છે, આગળ જ વધ્યા છે, દેશનું માન વધારતા જ ગયા.
હાર્વર્ડના ડીન, કેમ્બ્રિજના 'માસ્ટર’, સ્ટેનફોર્ડના વડાઓ - બધા ભારતીય. વિશ્વની એવી કોઈ મોટી હોસ્પિટલ નથી જ્યાંથી ભારતીયના સ્પર્શ વિના લોકો સ્વસ્થ થઈને પરત ન આવ્યા હોય. પોતાના શરીરના ૮૦ ટકા ભાગને ગાળી ચૂકેલા ડો. શરદ દીક્ષિત જીવ્યા ત્યાં સુધી મફત સારવાર કરતા રહ્યા હતા. વિશ્વના ૧૦ મોટા ડોક્ટરોએ શ્રદ્ધાંજલિ આપી હતી - કોઈ ભારતીય જ આવું કરી શકે. ત્યાગ, સમર્પણ અને બલિદાન. તંત્ર પથભ્રષ્ટ થયું હોય એવા તો ઘણા ઉદાહરણ છે. પ્રજા ડગમગી હોય એવો એક પણ બનાવ નથી. ૧૯૬૦થી ચારુ મજુમદાર, કનુ સાન્યાલની માઓવાદી હિંસા શરૂ થઈ. આજે બંગાળ, બિહાર, ઝારખંડ તથા છત્તીસગઢ તેના ભરડામાં આવ્યાં. હિંસા, પ્રધાનો-અધિકારીઓ બધા જ નક્સલવાદીઓ સાથે-સાથે ટકેલા છે. નિર્દોષ નાગરિકો ગામેગામ લડી રહ્યા છે. ત્યાગ, સમર્પણ અને બલિદાન.
એ જ મુદ્દાઓ સાથે એ જ ભાષામાં કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે નેતાઓ, તેનું એક રસપ્રદ ઉદાહરણ છે - ૨૧ વર્ષ પહેલાં આર. કે. લક્ષ્મણનું એક કાટૂર્ન હતું. એક ગામની પગદંડી કૈલોગ્સ, વૂલવર્થ, લેઝ ચિપ્સની જાહેરખબરોથી ઊભરાયેલી છે. એક બળદગાડું છે - જેમાં બોટલો છે. લખ્યું છે, 'એન્જોય, કોકા કોલા’... પગદંડી પર પેપ્સીના ર્બોડ પાસે લખ્યું છે - મહાત્મા ગાંધી માર્ગ. અને હેરાન-પરેશાન થયેલા ગાંધીજી ત્યાંથી પસાર થઈ રહ્યા છે. બરાબર એવું જ દૃશ્ય છે - તાજેતરના રીટેલ વિવાદમાં. શાસનની ભાષા એવી જ છે. વિપક્ષોના શબ્દો પણ બરાબર એવા જ. તેમની વચ્ચે પિસાતા નાના-નાના માણસો. જેમની પાસે અપેક્ષા પણ રાખવામાં આવે છે કે તેઓ ત્યાગ, સમર્પણ અને બલિદાન કરતા રહે. પ્રજાસત્તાકના કેટલાક રક્ષકોનાં એવાં જ સર્વોચ્ચ બલિદાન બદલ તેમના પરિવારોને સમર્પિત છે આ વખતનો પ્રજાસત્તાક વિશેષાંક.