માની લો કે તમે બજારમાં જાઓ અને ત્યાં બે પ્રકારની સામગ્રીઓ જુઓ છો. એક તરફ તમે નાની-મોટી ઇલેક્ટ્રિક આઈટમ્સથી માંડીને ઉચ્ચ ગુણવત્તાના વોશિંગ મશીન સહિતની અનેક ફેન્સી આઈટમ્સ જુઓ છો, જેના પર ‘મેડ ઇન ચાઈના’નું લેબલ લગાવેલું છે. બીજી તરફ આ જ પ્રકારની બીજી પ્રોડકટ પર ‘મેડ ઇન ઇન્ડિયા’નું લેબલ ચીપકાવેલું હોય છે. આ સ્થિતિમાં તમને ખબર નથી પડતી કે કઈ પ્રોડકટ ઊતરતી કક્ષાની છે?
મોટા ભાગના લોકો ભારતમાં બનેલી પ્રોડકટ ખરીદશે, કારણ તેમાં કંઈક ખરાબી હશે તો તેના નિર્માતા પાસે જઈને કમ સે કમ રજુઆત તો કરી શકાશે. આ જ બજારમાં જો સિંગાપોરમાં નિર્મિત સામાનનો ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે તો તમે જરૂરથી ભારતને બદલે સિંગાપોરમાં બનેલી પ્રોડકટ લેશો. આવું કરવા પાછળનું શું કારણ છે ? ખરેખર આપણા દિમાગમાં બ્રાન્ડ્સની જે છબિ સ્થાપિત છે, તેમાં પહેલાં સિંગાપોરનું નામ આવે છે, ત્યાર બાદ ભારતનું અને આખરે ચીનનું.
જોકે, સિંગાપોરમાં બનતી કેટલીક પ્રોડકટ ખરાબ પણ હોઈ શકે છે, જ્યારે ચીનમાં તૈયાર થતી પ્રોડકટ ઉત્તમ ક્વાલિટીની પણ હોઈ શકે છે. બ્રાન્ડ્સના આવા વર્ગીકરણના હિસાબે આપણા જેવા લોકો ઉપરાંત આંતરરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ પણ આવું જ કરે છે. બ્રિટિશ એરવેઝના સીઈઓ વિલી વોલ્શે હાલમાં જ એક ભારતીય અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તે પોતાની એરલાઈન બ્રાન્ડને સુદ્રઢ કરવા માટે ચીનની અપેક્ષાએ ભારતને પ્રાથમિકતા આપશે.
વોલ્શે શક્યત: આવું એટલા માટે કહ્યું, કારણ ‘રિકોલ વેલ્યૂ’ના મુદ્દે ભારતીય અને બ્રિટિશરોની યાદશક્તિ એક જ દોર સાથે જોડાયેલી નજરે પડે છે. પરંતુ અનેક ઉદ્યોગપતિઓ હવે ભારતીય નિર્માણ સુવિધાઓ તરફ જોઈ રહ્યા છે, કારણ કેટલાંક વર્ષ અગાઉની તુલનાએ આજે તે ભૂમિ પર સંચાલન ખર્ચ ૩૦૦ ગણો વધી ગયો છે. આ ઉપરાંત એક સમય બાદ લાભ મેળવવાના હિસાબે તેમને ભારતમાં રોકાણ કરવામાં વધારે ફાયદો નજરે પડે છે. લિસ્ટિંગના સમયે મારુતિ સુઝુકીની સ્ટોક વેલ્યૂની તેની જાપાની પૈતૃક કંપની સાથે તુલના કરો. મારુતિ વર્ષ ૨૦૦૩માં લિસ્ટેડ થઈ અને તેનું પ્રદર્શન સુઝુકીથી ૧૧ ગણું સારું રહ્યું.
ફંડા એ છે કે, કોઈ પણ બ્રાન્ડ રાતોરાત નથી બનતી. તેના માટે મહિનાઓ કે કેટલાક કિસ્સાઓમાં વર્ષોનો સમય લાગી શકે છે, પરંતુ એક વખત બ્રાન્ડ બની ગઈ તો તે લાંબા સમય સુધી ટકી રહે છે.