ઘણાં વર્ષો અગાઉ ફ્રેન્ચ ભાષામાં બનેલી ફિલ્મ ‘લી ડાયનર ડી કોન્સ’ પરથી પ્રેરણા લઈને હિન્દીમાં ‘ભેજા ફ્રાય’ ફિલ્મ બની હતી. હવે એ જ ફ્રેન્ચ ફિલ્મ પરથી પ્રેરણા લઈને બની રહેલી હોલિવૂડની ફિલ્મનું નામ છે ‘ડિનર ફોર સ્મકસ’. વાર્તા એવી છે કે કેટલાક સફળ, અમીર અને ‘બુદ્ધિશાળી’ લોકો દરેક શુક્રવારે રાતે મૂર્ખોને ભોજન માટે બોલાવે છે અને એ મુફલિસ મૂર્ખ લોકોના વર્તન અને વાતોથી પોતાનું મનોરંજન કરે છે. આખરે, ચતુર અને કપટી હોવા કરતાં સરળ સ્વભાવના મૂર્ખ વ્યક્તિ હોવું બહેતર છે એ વાત આખરે સિદ્ધ થઈ જાય છે.
માણસનું મૂલ્યાંકન બુદ્ધિથી નહીં, પણ ચારિત્રયથી થાય છે, પરંતુ અમેરિકાની લેખિકા આયેન રેન્ડ (ધ ફાઉન્ટન હેડ)નું એવું માનવું છે કે, ફક્ત કાર્યમાં પ્રવીણતા અને સર્જનની ક્ષમતા જ નિર્ણાયક છે એટલે કે પ્રવીણ ભૌતિકશાસ્ત્રી અને રસાયણોનો નિષ્ણાત રાવણ ચારિત્ર્યવાન રામ કરતાં બહેતર છે. ખરેખર તો રેન્ડનાં તમામ મૂલ્યો મૂડીવાદી સમાજના આધારસ્તંભો છે અને રામ સહિત બધા જ હીરો સમાજવાદી મૂલ્યોના હિમાયતી છે.
જોકે, સીધી-સરળ વ્યક્તિને મૂર્ખ માનવાની ભૂલ તો સદીઓ પહેલાંની છે, પણ આજે ચતુર અને વાક્પટુ લોકોની સફળતાના દૌરમાં મૂર્ખતામાંથી મનોરંજન મેળવવાની પદ્ધતિ લોકપ્રિય બની ગઈ છે. કેટલાય લોકો એવા છે જેઓ રાજા નથી, પણ દરબાર ભરે છે અને તેમને વિદૂષકની જરૂર પડે છે. મજબૂર મુફિલસ પેટને માટે રમૂજી બની જાય છે. સત્ય તો એ છે કે, લગભગ કુટુંબોમાં એક સરળ સાધુ સ્વભાવની વ્યક્તિ હોય જ છે, જેને તેનું કુટુંબ જ મૂર્ખ માનવાની ભૂલ કરી બેસે છે. કુટુંબોમાં દરબાર ભરાય છે અને વ્યાવસાયિક રીતે સફળ સભ્ય રાજાની જેમ વ્યવહાર કરે છે.આ કૌટુંબિક દરબારમાં કોઈ એક વિદૂષકની જરૂર હોય છે. કદાચ કોઈને કોઈની મજાક ઉડાવવી એ ભોજન કરવા બરાબર છે.
મજાક ઉડાવવી એ સ્વસ્થ મનોરંજન નથી. રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં એક ર્દશ્ય છે, જેમાં સડક પર લોકોની આવનજાવન ચાલે છે. નજીકમાં જ મંદિર છે અને ફૂટપાથ ઉપર એક ભિખારી ઊભો છે. તેણે નાનકડા શહેરમાંથી આવેલા એક ઇમાનદાર, મહેનતુ અને શિક્ષિત માણસને કહ્યું છે કે તેને કામ નહીં મળે. એક વ્યક્તિ કેળું ખાઈને તેની છાલ સડક પર ફેંકે છે. એક જાડો-સ્થૂળ માણસનો પગ છાલ પર પડે છે અને તે લપસી પડે છે. બધા હસી પડે છે.
જાડા માણસ દ્વારા ફેંકાયેલી છાલ પર પગ પડવાથી હિરોઈન પણ લપસી પડે છે અને તેના દ્વારા ફેંકાયેલી છાલ પર પગ પડતા હંમેશા સૌથી વધારે હસનારો હીરો પણ લપસી પડે છે, ત્યારે ભિખારી કહે છે કે, બીજા પર હસવું સહેલું છે, પણ પોતાના પર હસવું મુશ્કેલ છે. આ જ ભેદ છે મજાક ઉડાવવામાં અને હાસ્ય રચવામાં. દુ:ખ પહોંચાડવું, દિલ દુખવવું એ મનોરંજન નથી. ઘાવ પર મલમ લગાડવો એ મનોરંજન છે.