ગીતકાર શૈલેન્દ્રનો જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ના દિને થયો હતો અને ૧૪ ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો. શૈલેન્દ્રનું પ્રથમ ગીત રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)માં હતું અને અંતિમગત ‘જીના યહાં, મરના યહાં, ઈસકે સિવા જાના કહાં...’ તેમણે ફિલ્મ ‘મેરા નામ જોકર’ માટે લખ્યું હતું. આઝાદીની લડતમાં તેઓ જેલમાં પણ ગયા હતા. રાજ કપૂરે તેમને વર્ષ ૧૯૪૭માં ચોપાટી પર યોજાયેલા એક કવિ સંમેલનમાં સાંભળ્યા હતા. કદાચ ફિલ્મ ‘બરસાત’ સાથે પોતાના જીવનમાં આવેલા પરિવર્તનને લીધે તેમણે પોતાના બંગલાનું કામ ‘રિમઝિમ’ રાખ્યું હતું.
તેમના એક ગીતની પંક્તિ હતી ‘રિમઝિમ કે તરાને લેકર આયી બરસાત...’ સિનેમા સાથે જોડાતાં પૂર્વે તેમણે લખેલી કવિતાઓનો સંગ્રહ ‘ન્યૌતા ઔર ચુનૌતી’ વર્ષ ૧૯૫૫માં પ્રગટ થયો હતો.
પોતાના અભાવભર્યા બાળપણથી લઈને ફિલ્મ ‘બરસાત’ સુધીનું તેમનું જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યું છે, પણ એ બાબતની કડવાશ તેમનાં ફિલ્મી ગીતોમાં જોવા મળતી નથી, એ સમયગાળાના દુકાળનાં કોઈ ચિહ્નો ‘બરસાત’ અને પછીની ફિલ્મો માટેની રચનાઓમાં જોવા મળતા નથી. તેમના આઠસોમાંથી મોટા ભાગનાં ગીતો સંગીતકારની તરજો પર ફિલ્મકારે દર્શાવેલી સ્થિતિ (સિચ્યુએશન)ની સીમાની ભીતર રચાયાં છે. પરંતુ એ સીમાઓમાં પણ તેમણે સરળ શબ્દોમાં ઊંડાણ રજુ કર્યું છે. દરેક ગીતકારએ સીમાઓમાં રહીને પોતાના જીવનના અનુભવો પરથી પ્રેરણા લઈને ગીતો રચે છે. સંગીતની સમજ વિના ફિલ્મોમાં ગીતો લખવા શક્ય નથી.
શૈલેન્દ્રે મહાત્મા ગાંધીના સમયની ‘ઇપ્ટા’ નાટ્ય સંસ્થામાં જોડાઈને કામ કર્યું એ વખતમાં ભારતનાં તમામ ક્ષેત્રોમાં ગજબના ઉત્સાહ, ચેતના અને ઊર્જા પ્રવાહિત હતાં. એ નૈતિકતાનું શિખર હતું. આઝાદીના પ્રભાત સાથે નૈતિકતાનો ઊભરો ઓસરવા માંડ્યોહતો. જો ભારત એક ફિલ્મ હોય તો ગાંધીજીનો સમયગાળો તેમાં સ્વપ્ન ર્દશ્ય એટલે કે ડ્રીમ સીકવન્સ જેવો ગણાય. શૈલેન્દ્રને તેમની બીજી ફિલ્મ ‘આવારા’માં એક સ્વપ્ન ર્દશ્યનું ગીત લખવાનો અવસર મળ્યો એ એક યોગાનુયોગ છે. એ ડ્રીમ સીકવન્સનો એક ભાગ નર્કની કલ્પનાનો છે અને બીજો ભાગ સ્વર્ગની કલ્પનાનો છે.
શૈલેન્દ્રે લખ્યું ‘યહ નરક ન મુઝ કો ચાહિયે, મુઝ કો ચાહિયે બહાર...’ શૈલેન્દ્રે નૈતિકતાના પતનની વાત અન્ય એક ગીતની અંતિમ પંક્તિમાં કહી. ‘જયોત કે પ્યાસે મેરે નૈન બેચારે, ભોર ભી આસ કી કિરન ન લાયી...’ અન્યત્ર તેમણે લખ્યું છે ‘મત રહેના અંખિયન કે ભરૌસે.’ ખરેખર તો શૈલેન્દ્ર નહેરુ યુગનાં સ્વપ્નોના પ્રતિનિધિ કવિ હોવા છતાં નૈતિકતાના લોપ તરફ જાગ્રત હતા. શૈલેન્દ્ર, નહેરુ યુગમાં ગાંધી યુગની નૈતિકતા જાળવતા હતા.