લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરૂ થતાં પહેલાં જ નરેન્દ્ર મોદીએ પોતાના ઉપવાસ મારફતે કરેલી ‘રાષ્ટ્રનીતિ’ની જાહેરાત અનેક બાબતે મહત્વની છે.
ભાવિ વડાપ્રધાન માટે યુપીએમાં ભલે ભ્રમની કોઈ સ્થિતિ હોય, બિનયુપીએ પક્ષોમાં તો આ ટોચના હોદ્દા માટે ઘણા ઉમેદવાર હાલ ઉત્સુક છે. આ પક્ષોના મુખ્યમંત્રીઓ દ્વારા પોતપોતાનાં રાજ્યોમાં ઉપવાસ પર બેસવાનું જ હવે બાકી રહ્યું છે.
નરેન્દ્ર મોદી એ કરેલા ચર્ચાસ્પદ અને બહુ ગાજેલા ઉપવાસનો રાષ્ટ્રને શો સંદેશો રહ્યો તેની ખબર તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓ પછી જ પડશે અને તે પણ સંપૂર્ણપણે તો નહીં જ. નરેન્દ્ર મોદીએ સદ્ભાવના મિશનની શરૂઆતનું બીડું એવા સમયે ઝડપ્યું, જ્યારે ગુજરાતમાં લગભગ દરેક મોરચે સૌથી વધારે શાંતિ અને સદ્ભાવના પ્રવર્તી રહી હતી.
કારણ ગમે તે હોય, પરંતુ ભારતીય જનતા પક્ષ એક વાત પર ગર્વ કરી શકે છે કે, તેના ખોળામાં આવેલાં રાજ્યોમાંથી કમ સે કમ એક રાજ્ય તો એવું છે કે જ્યાં તેને મુખ્યમંત્રી બદલવા અથવા મંત્રીમંડળની યાદીને સ્વીકૃતિ આપવાની કે સંસદ માટે ઉમેદવાર નક્કી કરવા અંગે કોઈ મથામણ કરવી પડી નથી. તેને નરેન્દ્ર મોદીની કાર્યકુશળતા અથવા તો પક્ષના મોવડીઓ પર આ મુખ્યમંત્રીનો પ્રભાવ પણ ગણી શકાય.
એવો પ્રશ્ન થઈ શકે કે સદ્ભાવના મિશન કે બીજા કોઈ બહાના હેઠળ દેશની પ્રજા સમક્ષ જઈને તેઓ જો પોતાની મૂળ તાકાત દેખાડવાની જ ઇચ્છા રાખતા હતા તો તેમણે હજુ શેની રાહ જોવાની જરૂર હતી? એવી તો કઈ રીત અને સમય હોત જ્યારે તે એક રાષ્ટ્રીય નેતા તરીકે પોતાના જ પક્ષ અને એનડીએ સમક્ષ રજૂ થયા હોત?
અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ માટે સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી રાહતના માત્ર બે દિવસ બાદ જ અમેરિકન રિપોર્ટ મોદીના પક્ષમાં આવે તે કોઈ પણ સમજદાર મુખ્યમંત્રી માટે ઉપવાસ અને રાજકીય કવરેજ માટેનો વધુ સારો અવસર ગણાય એમ હતો. રાષ્ટ્રીય રાજકારણની નાડ પારખવાની તકને જો મોદીએ પક્ષના મોવડીમંડળ અને સંઘના વડામથકની મંજૂરીની રાહ જોયા વગર ઝડપી લીધી તો એમની રાજકીય કુનેહ તરીકે તેનાં જરૂર વખાણ કરી શકાય એમ છે.
ભાજપમાં વડાપ્રધાનપદના શક્તિશાળી ઉમેદવાર તરીકેની પોતાની સ્થાયી ઓળખ સતત જાળવી રાખનારા નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરૂ થાય તે પહેલાં જ નરેન્દ્ર મોદીએ ઉપવાસ મારફતે કરેલી ‘રાષ્ટ્રનીતિ’ની જાહેરાત અનેક મુદ્દે મહત્વની છે. આ સિવાય વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારીના મુદ્દાએ એક શક્તિશાળી રાજકીય વિકલ્પ તરીકે એનડીએની સંભાવનાઓ પર પણ પ્રશ્નાર્થ મૂકી દીધો છે, સાથે ભાજપના રાજકીય એજન્ડા માટે પણ અનેક પડકાર ઊભા કરી દીધા છે.
રાજેન્દ્ર સચ્ચર કમિટી સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીનો એ જવાબ કે આ મુખ્યમંત્રી ‘લઘુમતીઓ’ માટે અલગથી કોઈ કાર્ય નથી કરતા, પરંતુ તે સાથે જ ‘બહુમતીઓ’ માટે પણ કંઈ જ નથી કરતા, તે ગુજરાતના સંદર્ભમાં કદાચ સાચો હોઈ શકે પરંતુ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ સાથે તે બંધબેસતો નથી. નરેન્દ્ર મોદીને આગલી હરોળના નેતા તરીકે સ્વીકારવામાં ભાજપનું નેતૃત્વ બેશક ના પાડતો નથી, પરંતુ તેમણે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે તે અંગે હજુ ઘણી સ્પષ્ટતાઓ કરવાની બાકી રહે છે.
ચર્ચાનો મુદ્દો તો એ પણ છે કે લોકસભાની ચૂંટણીઓની તારીખોના ઘણા લાંબા સમય પહેલાંથી નરેન્દ્ર મોદીએ દેશના મુખ્ય વિરોધપક્ષ અને વિપક્ષી ગઠબંધન (એનડીએ)ને વડાપ્રધાનપદના ઉમેદવારના વિવાદમાં વ્યસ્ત કરી દીધા છે. ભાજપ અને સંઘના આંતરીક સ્તરે આ વિવાદ બાબતે શી પ્રતિક્રિયા છે તે વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ એનડીએના ઘટકપક્ષો ખાસ કરીને જેડી-યુ તરફથી જે કંઈ કહેવાયું એ વધુ ચોંકાવનારું નથી.
પ્રજા જાણે છે કે ભાવિ વડાપ્રધાનના મુદ્દે યુપીએમાં ભલે ભ્રમ પ્રવર્તતો હોય, પરંતુ બિનયુપીએ પક્ષોમાં તો આ ટોચના પદ માટે અનેક ઉમેદવારો ઉત્સુક છે. આ પક્ષોના મુખ્યમંત્રીઓએ પોતપોતાનાં રાજ્યોમાં માત્ર ઉપવાસ પર બેસવાનું જ બાકી રહ્યું છે. જો કે અહીં નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા મિશનની ચર્ચા થઈ રહી હોઈ ગુજરાતના મુખ્યમંત્રીની દ્રષ્ટિએ જોવામાં આવે તો અણ્ણા આંદોલનથી ઊભા થયેલા માહોલનો લાભ લેવા અમદાવાદમાં પણ એક રામલીલા મેદાન સર્જવાનું જરૂરી બની ગયું હતું.
પોતાના ઉપવાસ છોડતી વખતે નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યો હતો કે દેશને મોટાં સપનાં જોવાની ટેવ નથી. ‘રાષ્ટ્રની સેવા’માં પોતાનાં ‘સપનાં’ને કોઈ સ્વરૂપ આપતાં પહેલાં ભાજપ અને એનડીએમાં પોતાના નેતૃત્વની સંભાવનાઓને નરેન્દ્ર મોદીએ સદ્ભાવના મિશનના માધ્યમે સહેજ તપાસી લેવાની જરૂર હતી. ઈતિહાસ સાક્ષી છે કે એક ચતુથાઁશ સદી સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીપદે રહી ચૂકેલા જ્યોતિ બસુ માટે વડાપ્રધાનપદના ઉમેદવાર થવાનો અવસર આવ્યો ત્યારે તેમના પોતાના જ પક્ષના કેટલાક લોકોનો વિરોધ આડે આવી ગયો હતો.