ચબરક રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડ કે જમીન મિલકત ભણી વળે તો નવાઈ નહીં
સિકયુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ વધુ એક ફતવો જારી કર્યો છે. રોકાણકારોની આવકના પુરાવા લેવા માટે સેબી દ્વારા બ્રોકરોને આદેશ આપવામાં આવ્યો છે. શેરબજારમાં આવતું કાળું નાણું રોકવા માટે આવો આદેશ કરાયાની દલીલ કરાઈ રહી છે. જોકે સેબીની મતિ હજુ થોડી ઘણી સાબદી છે એટલે એણે આ અવળચંડો નિર્ણય ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે જ અમલી બનાવ્યો છે.
પરંતુ ટૂંક સમયમાં એ કેશ સેગમેન્ટમાં ક્યારે ઝીંકી મારે એનું કંઇ નક્કી નથી. પાછી એણે એવી ઉલ આપી છે કે જે રોકાણકારો કે ટ્રેડર આવક સંબંધી નિધૉરિત માહિતી નહીં આપે એના ટ્રેડિઁગ પર પ્રતિબંધ મૂકાશે. શેરબજારમાં કોણ કેવાં નાણાં વડે રોકાણ કરતા હોય છે. એ સૌ જાણે જ છે. આના તે કંઇક આવકપુરાવા હોતા હશે? કાળું નાણું ધૂમ પ્રમાણમાં શેરબજારમાં ચકરાવા લેતું જ હોય છે. એના વિના શેરબજાર ઊચું-નીચું થાય ખરું? મોટા સટોડિયા કંઇ ધોળા રૂપિયાથી થોડા ખેલતા હશે?
બજારની સઘળો ઝગમગાટ આ સટોડિયા થકી જ હોય છે. તેઓ જો અટકી જાય તો શેરબજાર કડડભૂસ થઇ જાય. આપણું અર્થતંત્ર શેરબજારની ચડ-ઉતર પર જ આધારિત છે. સેન્સેક્સ એનું થર્મોમિટર છે. જમીનોના ભાવ, સોના-ચાંદી, ક્રુડ, કોમોડિટીઝ વગેરેનાં બજારોની નાડી સેન્સેક્સની ચડ-ઉતર પર જ ધબકતી હોય છે. એટલે સેબીના ઉપરોકત નિર્ણય થકી (મોટા) રોકાણકારો શેરબજાર પ્રત્યે ઉદાસીન થવા માંડે તો આ બધાં ક્ષેત્રોમાં શ્રાવણ-ભાદરવાની હરિયાળીને બદલે ચૌતર-વૈશાખના ઉના ઉના વાયરા વાવા લાગે.
સેબી પાસે જે તે મોટા રોકાણકારો કે મોટા વ્યવસાયીઓ-વેપારીઓ- નોકરિયાતોના પાન નંબર તો હોય છે જ, જેના મારફતે જે તે વ્યક્તિ કે પેઢીની આવકની વિગતો તે મેળવી શકે છે. હવે તો સાવરણાવાળાથી માંડીને લારી-ગલ્લાવાળા પણ શેરબજારમાં રોકાણ કરતા થઇ ગયેલા છે. શેરબજાર મારફતે થોડું ઘણું કમાઇને આજની કારમી મોંઘવારીમાં ટકી રહેવાની કોશિશ કરનારાઓને સેબીનો ઉપરોકત ફતવો ઘણો કનડશે.
જોવાની વાત એ છે કે જેટલી આવી પળોજણો ઊભી થશે એટલા રોકાણકારો શેરબજારથી વિમુખ થતા જશે. બાપડા નાના રોકાણકારોની હેરાનગતિ વધી જશે. મોટા અને ચબરાક રોકાણકારો શેરબજારને છોડીને મ્યુચ્યુઅલ ફંડ્સ, સોનું-ચાંદી, અન્ય મેટલ, જમીન-મિલકતો વગેરેમાં રોકાણ કરવા તરફ વળી જાય તો નવાઇ નહીં. માત્ર કાળું નાણું રોકવા માટે નાના- માધ્યમ કક્ષાના રોકાણકારોને આ રીતે કનડવાને બદલે સેબી બીજા ઇલાજ કરી શકી હોત.