જિંદગીની પટકથાના ઉતાર-ચડાવ
Jayprakash chokse | Jun 22, 2012, 06:10AM IST

મહાનાયકને તેના વિરોધીઓથી એટલું જોખમ નથી હોતું, જેટલું પોતાના અનુયાયીથી હોય છે. તમારી સાથે જ્યારે એક ટોળું ચાલતું હોય ત્યારે તમે સૌની મરજી જાણી શકતા નથી. જય-જયકારના નારાને કારણે સાપના સરકવાનો અવાજ સાંભળી શકતા નથી.
જીવન કોઈ પણ પટકથા કરતાં વધુ વિચિત્ર હોય છે. તેમ છતાં યોગ-સંયોગવાળી ફિલ્મોને અવાસ્તવિક ઠેરવી દેવામાં આવે છે. માત્ર ૧૮ વર્ષે અનાથ થયેલા રજત ગુપ્તા આઈઆઈટી દિલ્હીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવે છે, હાર્વર્ડ લંડનમાં પોતાની પ્રતિભા સાબિત કરે છે અને પોતાના પરિશ્રમ, પ્રતિભા અને સમર્પણને બળે ૧૯૯૪માં એ કંપનીના એમડી (ચીફ એક્ઝિકયુટિવ) બને છે, જેમાં૧૯૭૩માં એક સામાન્ય કર્મચારી તરીકે આવ્યા હતા. રજત ગુપ્તા ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ હતા, જેઓ મેકકિન્સે જેવી કોઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતપિ્રાપ્ત કંપનીમાં સીઈઓના પદ સુધી પહોંચ્યા હોય. આજે તેમની સંપત્તિ ૮૪ મિલિયન ડોલર આંકવામાં આવે છે.
આજે રજત ગુપ્તા ૬૩ વર્ષના છે અને વ્યાપાર વિશ્વમાં આગામી અનેક વર્ષ તેમના જીવનના સુવર્ણ વર્ષ બની શકે એમ હતા. તાજેતરમાં જ ન્યૂયોર્કની એક કોર્ટમાં તેમના પર લગાવાયેલા આર્થિક અનિયમિતતાના આરોપોમાંથી બે કેસમાં તેમના વિરુદ્ધ પુરાવા છે કે તેમણે વ્યાપારિક ફાયદા માટે ગુપ્ત માહિતી લીક કરી હતી. સૌથી વિચિત્ર હકીકત એ છે કે તેમને ગુનેગાર જાણનારા જયૂરી સભ્યોમાંથી કેટલાકે આંખમાં અશ્રુ સાથે કહ્યું કે, મનથી તો તેમની ઈચ્છા એવી હતી કે રજત ગુપ્તા પર લગાવાયેલા આરોપો પાયાવિહોણા સાબિત થાય. રજત ગુપ્તાનું જીવન ગ્રીસમાં અત્યાચારનો ભોગ બનેલા નાયકો જેવું છે. તેમનામાં અનેક ગુણ છે. તેઓ સાહસિક છે, ઇમાનદાર છે પરંતુ કોણ જાણે કઈ કમનસીબ ક્ષણે તેમને જાણતા-અજાણતા એક ભૂલ કરી નાખી, જેને કારણે તેમની ખ્યાતિ અને પ્રતિભાની ઇર્ષ્યા કરતા લોકોનું કાવતરું તેમને ભૂલ કરવા માટે ફરજ પાડે છે અને તેમના સમગ્ર જીવનની મહેનત એળે જાય છે.
એવા તો ક્યા સંયોગો હોય છે જે હંમેશાં સજાગ રહેનારી વ્યક્તિ પાસે ભૂલ કરાવી દે છે? સમયના પાટા પર એવી કઈ લપસણી જગ્યાએ પગ પડે છે કે વ્યક્તિ ટોચથી જમીન પર આવી જાય છે? બાળકોની સાપ-સીડીની રમતમાં વિજયને આરે પહોંચ્યા બાદ તમે ૯૯ના નંબરે સાપના મોઢામાં જઈને એકદમ નીચે આવી જાઓ છો. મહાનાયકને તેના વિરોધીઓથી એટલું જોખમ નથી હોતું, જેટલું પોતાના અનુયાયીથી હોય છે. તમારી સાથે જ્યારે એક ટોળું ચાલતું હોય ત્યારે તમે સૌની મરજી જાણી શકતા નથી.
જય-જયકારના નારાને કારણે સાપના સરકવાનો અવાજ સાંભળી શકતા નથી. મહાનયાક ભીડ એકઠી કરે છે, તેને મંત્રમુગ્ધ કરે છે અને જનમતની એક લહેર બનાવે છે, પરંતુ હવે તેને એકાંત મળતું નથી, ભીડનો એક ભાગ તેના ઘરમાં ઘૂસી જાય છે અને ‘હા-જી, હા-જી’નો અવાજ તેના સ્વતંત્ર વિચારવાની ક્ષમતાને સમાપ્ત કરી નાખે છે. આવી પરિસ્થિતિઓમાં એ કમનસીબ ક્ષણનો જન્મ થાય છે.
રજત ગુપ્તાએ જે ભૂલ કરી છે એવી ભારતના શેર બજારમાં અનેક લોકોએ અનેક વખત કરી છે. અંદરની માહિતી આપીને શેર બજારમાં તોફાન લાવવાનું કામ આપણે ત્યાં હંમેશાં થતું આવ્યું છે, પરંતુ શેર બજાર પર નિયંત્રણ ધરાવતી સંસ્થાએ ક્યારેય પણ કોઈ જાણીતી વ્યક્તિને કઠેડા પાછળ ઊભી કરી નથી. અમેરિકાની સંસ્થા અને કાયદાવિભાગ હંમેશાં જાગૃત રહ્યો છે. અમેરિકાનો વેપાર અને કાયદા વિભાગ પોતાની ભૂલ રીપીટ કરતો નથી અને આપણે ક્યારે પણ મૌલિક ભૂલ કરતા નથી.
એક્સ્ટ્રા શોટ :
ગીતકાર શૈલેન્દ્રએ બનાવેલી ફિલ્મ ‘તિસરી કસમ’ને સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
jpchowksey@yahoo.in
પરદેકે પીછે, જયપ્રકાશ ચોકસે






