સ્વચ્છતા : એક આવશ્યક ઝુંબેશ માત્ર સૂત્રો, આદેશો, પ્રચારઝુંબેશ કે નાણાંની ફાળવણીથી સ્વચ્છતાની ભાવના જાગતી નથી કે ફેલાતી નથી. કરોડો નાગરિકોની જૂની આદત બદલવાની જરૂર છે.
ભારતની વસ્તી ૧૧૫ કરોડથી વધુ છે અને આવતા બે દાયકામાં ભારતમાં ૨૬થી ૨૮ કરોડ લોકો શહેરોમાં ઠલવાશે એવો તજ્જ્ઞોનો અંદાજ છે. આમ સવાલ રાક્ષસી છે અને ઉકેલ ક્યાંય દેખાતો નથી. માત્ર દેખાય છે દીવાલ પરનું સૂત્ર.
આજકાલ આપણે ગુજરાતભરમાં ‘સ્વચ્છ ગુજરાત’નું સૂત્ર જ્યાં અને ત્યાં જોઈ રહ્યા છીએ. મહાનગરપાલિકાઓ પણ ‘સ્વચ્છ અમદાવાદ’, ‘સ્વચ્છ વડોદરા’, ‘સ્વચ્છ મુંબઈ’ જેવી ઝુંબેશો ચલાવી રહી છે. પ્લાસ્ટિકની થેલીઓ કે પ્લાસ્ટિક પેકિંગ વ્યાપક નહોતાં થયાં ત્યારે અમદાવાદમાં પ્રસિદ્ધ સંસ્થા ‘સેવા’એ કચરો એકઠો કરનારી બહેનોનું સંગઠન બનાવ્યું હતું. વિશ્વભરમાં ‘ગાર્બ પિકર્સ’ની સમસ્યા વ્યાપક બની છે. કચરામાંથી ગેસ પેદા થઈ શકે છે. રિસાઈકલ્ડ કાગળ અને પ્લાસ્ટિક બને છે.
જેમ ભૌતિક સમૃદ્ધિ અને વિકૃત, ભોગવિલાસ વ્યાપક બને તેમ શેરીઓ, રાજમાર્ગો અને અન્ય સ્થળોએ વધુ ને વધુ કચરો બહાર આવે છે. શહેરોને સ્વચ્છ રાખવા નગરપાલિકાઓ ઘેરઘેરથી કચરો એકઠો કરવા માટે વાહનો કામે લગાડે છે. પરિણામે જે અસ્વચ્છ અને પછાત ગામડાં કરતાં શહેરોમાં વધુ કચરો જોવા મળે છે. પ્લાસ્ટિક પેકિંગ અને ગુટકા પેકિંગનો વપરાશ ગ્રામ વિસ્તારોમાં વધી રહ્યો હોઈ સુખી ગ્રામ્ય વિસ્તારોમાં આવો કચરો વધવા લાગ્યો છે.
આજે સ્વેચ્છાએ સ્વચ્છતા જાળવતા સ્વયંસેવકોના આંદોલનની વાત કરવી છે. ૮૩ દેશોના આવા કામમાં લાગેલા સ્વયંસેવકો ઇસ્ટોનિયાની રાજધાની તાલિનમાં મળવાના છે અને ‘વિશ્વ સ્વચ્છ રાખો ૨૦૧૨’ની ઝુંબેશનો પ્રારંભ કરવાના છે. એમનું લક્ષ્યાંક માર્ચની ૨૪મીથી શરૂ કરી છ માસમાં વિશ્વના ૩૦ કરોડ લોકોના પ્રયાસથી દસ કરોડ ટન ગેરકાયદે નખાતા કચરાને એકઠો કરવાનું છે.
ગંદકી માટે વિશ્વમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર ભારતની ૧૧૫ કરોડની જનસંખ્યા માટે આ આશ્ચર્યજનક ઘટના છે. આવી વિશાળ ઝુંબેશ પાછળ આ કામ માટે સમગ્ર જીવન આપી દેનાર વ્યક્તિનું નામ છે રાઈનર નોલ્વાક. એ પોતે એસ્ટોનિયા દેશના નાગરિક અને એક હાઈટેક સાહસિક ઉદ્યોગપતિ છે. ઇન્ટરનેટ ટેલિફોન સિસ્ટમ ‘સ્કાયપે’ સંસ્થા મારફત એ વિશ્વવ્યાપી ઝુંબેશ ચલાવે છે.
સ્વયંસેવી પદ્ધતિ દ્વારા જાહેર સ્થળો પર ઠલવાતા ગેરકાયદે કચરાને દૂર કરવાની પરંપરા મૂળ સોવિયેટ કબજા હેઠળના ઇસ્ટોનિયામાં જૂની છે. ૪ વરસ પહેલાં ૨૦૦૮માં ૫૦ હજાર ઇસ્ટોનિયાવાસીઓએ એકઠા થઈ કલાકથી ઓછા સમયમાં૧૦ હજાર ટન કચરો એકઠો કરી સ્વચ્છતાનું લક્ષ્ય પાર પાડ્યું હતું. આ ચેપ વધુ ફેલાયો અને ૨૦૦૯માં એના પાડોશી દેશ લિથુઆનિયા અને લેટવિયાએ ૧,૨૦,૦૦૦ કચરો એકઠો કરનારાઓને કામે લગાડ્યા હતા.
૨૦૧૦માં સ્લોવેનિયાએ આવી ઝુંબેશમાં ૨,૭૦,૦૦૦ નાગરિકોને જોડી બતાવ્યા. આવા મહાપ્રયાસના ઝુંબેશકાર નારા પેટ્રોવિકે કહે છે કે- ‘સ્લોવેનિયા નિરાશાજનક આર્થિક -રાજકીય વાતાવરણ વચ્ચે જીવતું હોવા છતાં આ ઝુંબશની એવી ચમત્કારિક અસર થઈ કે આ સ્વચ્છતા ઝુંબેશે સમગ્ર સ્લોવેનિયામાં એકતાનો જુસ્સો પ્રસરાવ્યો.’ જનતામાં આવો જુસ્સો ક્રાંતિ કાળમાં જન્મે છે. આવું સ્વચ્છતાની બાબતમાં ઇજિપ્તમાં પ્રસરેલી ‘આરબ વસંત’ સમયે વિશ્વને જોવા મળ્યું છે.
ગયા વરસે તાહિરિર ચોકમાં આવો જુસ્સો સ્વયંભૂ જન્મ્યો હતો. લાખો લોકોએ દિવસો સુધી લોકતાંત્રિક ક્રાંતિ માટે ધામા નાખ્યા ત્યારે પોતાના ઘેર તણખલું પણ ન ઊંચકનારા હજારો યુવકોએ આવા વિશાળ ચોકને સ્વચ્છ રાખવાનું કામ જાતે સ્વયંભૂ ઉપાડી લીધું હતું. કારણ લાખો લોકો દિવસો સુધી ત્યાં જ ખાતા-પિતા અને સૂઈ રહેતા હતા. આ યુવકો કહેવા લાગેલા કે ‘આ તાહિરિર ચોક’ અમારો છે એટલે એની સ્વચ્છતા અમે જ જાળવીશું.
પરંતુ આવી પ્રજાકીય ઝુંબેશની અસર ભારતમાં પહોંચતી નથી. ભારત સરકારે ૧૯૯૧માં ‘સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશ’ કાર્યક્રમ ૩૦ રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોના છસ્સો જિલ્લામાં શરૂ કર્યો હતો. ૨૦૧૨માં આ વિસ્તારોનાં તમામ કુટુંબોને આવરી લેવાનું લક્ષ્યાંક હતું. છેલ્લા વિશ્વ બેન્કના એ દાયકાના સર્વેક્ષણ મુજબ માત્ર પાંચ રાજ્યો ત્રિપુરા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ અને મિઝોરમમાં લક્ષ્યાંક સિદ્ધ થશે. સફળતાના માપદંડ માટે ૧૦૦ના આંકડામાંથી માત્ર કેરળ, પં.બંગાળ અને મહારાષ્ટ્રના વિસ્તારો ૭૫ ઉપર પહોંચી શક્યા છે. બીજાં રાજ્યોના નક્કી થયેલ જિલ્લાઓ ક્યાંય પાછળ છે. માત્ર ‘સ્વચ્છ ગુજરાત’ જેવો પ્રચાર જોવા મળે છે.
આમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની ‘સ્વચ્છ વિશ્વની’ ઝુંબેશનું આ ૧૯મું વરસ છે પણ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા આ ઝુંબેશ નીચેથી શરૂ થઈ ઉપર જાય એમ ઇચ્છે છે. કારણ આવી ઝુંબેશની સફળતાનો ઘણોખરો આધાર સ્થાનિક પરિસ્થિતિ, સ્થાનિક સંજોગો, લોકોમાંની નાગરિક ભાવના અને રાષ્ટ્રપ્રેમની લાગણી પર હોય છે. માત્ર સૂત્રો, આદેશો, પ્રચારઝુંબેશ કે નાણાંની ફાળવણીથી સ્વચ્છતાની ભાવના જાગતી નથી કે ફેલાતી નથી. એ કરોડો નાગરિકોની જૂની આદત બદલવાની વાત છે.
જે ચાર દેશોની સ્વચ્છતા ઝુંબેશની આગળ વાત કરી એ રાષ્ટ્રોની જનસંખ્યા-ઇસ્ટોનિયા ૧૪.૫૪ લાખ લિથુઆનિયા ૩૭ લાખ, લેટવિયા ૨૫ લાખ અને સ્લોવેનિયાની ૨૦ લાખ છે. ભારતની વસ્તી ૧૧૫ કરોડથી વધુ છે અને આવતા બે દાયકામાં ભારતમાં ૨૬થી ૨૮ કરોડ લોકો શહેરોમાં ઠલવાશે એવો તજ્જ્ઞોનો અંદાજ છે. આમ સવાલ રાક્ષસી છે અને ઉકેલ ક્યાંય દેખાતો નથી. માત્ર દેખાય છે દીવાલ પરનું સૂત્ર.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.