કપાસ ઉત્પાદકને હાલ સહાય કરાય તો ઉત્પાદન ૬૦ લાખ ટનથી વધીને એક દાયકામાં ૮૦ લાખ ટને પહોંચે. ખેતપેદાશોની આયાત-નિકાસ નીતિ ખેડૂતના હિતમાં ઘડવાનો સમય પાકી ગયો છે.
એક મંત્રીની અવળી નીતિએ લાખો ખેડૂતોના સારા ભવિષ્યને ધૂળમાં રોળ્યું છે. ભારતના કપાસની જબ્બર માગ હતી અને નિકાસ બરાબર ચાલતી હતી ત્યારે જ મિલમાલિકોના ઇશારે કૃષિ નિકાસમાં રોડાં નાખ્યાં. આવી ખેડૂતવિરોધી નીતિના પરિણામે નિકાસ વેરણછેરણ થઈ ગઈ.
ખેડૂત ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલું ઉત્પાદન કરે તોય એના નસીબમાં લાંબો વખત સારા દિવસો ટકતા નથી. દેશ અનાજની ખાધ ભોગવતો હતો. હરિયાળી ક્રાંતિ માટે ઇન્દિરાજીએ પડકાર ફેંક્યો અને ખેડૂતોએ પડકાર ઝીલી અન્નમાં દેશને સ્વાવલંબી બનાવ્યો. બદલામાં લાલબહાદુર શાસ્ત્રીએ આપેલ ‘જય જવાન જય કિસાન’ના સૂત્રથી વિશેષ શું મળ્યું? એની બધી મહેનત સરકારની અધકચરી નીતિઓ અને વચેટિયાઓમાં ખવાઈ ગઈ. ત્યાર પછી હાલના વડાપ્રધાન ડબલ્યુ ટી.ઓ લાવ્યા.
‘હવે ભારતનો ખેડૂત વિશ્વસ્તરે હરીફાઈ કરી શકશે.’ ‘આદિવાસીઓ પકવે છે એ નાગલી કે બાજરા જેવાં ધાનની વિદેશોમાં ઊંચા ભાવે નિકાસ થશે.’ વરસો વીતી ગયાં પણ એવું કાંઈ ન બન્યું. કારણ સમૃદ્ધ દેશોએ ‘દોહા રાઉન્ડ’માં કપાસ પર એમનાં દેશમાંની ભારે સબસિડી ઘટાડવા ના પાડી. ખેડૂતોને બતાવેલું વિશ્વ વ્યાપારનું સપનું ચૂરચૂર થઈ ગયું.
આ પછી ‘ભારતનો ખેડૂત નવી ટેક્નોલોજી સ્વીકારતો નથી’- એવું ખેતી નિષ્ણાતોનું વરસોનું આળ દેશના કપાસ ઉત્પાદકોએ ફગાવી ટેક્નોલોજી હિતકારક લાગતાં ‘બીટી કપાસ’ને સ્વીકારી પાંચ-સાત વરસમાં કપાસનું વાવેતર ૮૬ લાખ હેક્ટરમાંથી ૨૦૧૦-૧૧ની સિઝનમાં ૧.૧૧ કરોડ હેક્ટર સુધી અને ઉત્પાદન ૨૪૪ લાખ ગાંસડીમાંથી ૩૩૪ લાખ ગાંસડી પર પહોંચાડી દીધું.
ચાલુ સિઝન ૨૦૧૧-૧૨માં આ ઉત્પાદન ૩૬૫ લાખ ગાંસડી અને વાવેતર ૧૨૨ લાખ હેક્ટરનો અંદાજ છે. ચીન પછી ભારત બીજા નંબરે પહોંચી ગયું. ઓછી ઉત્પાદકતાની ગાળ ખાતા ભારતના કપાસ ઉત્પાદકે હેક્ટર દીઠ ઉત્પાદન ૨૭૮ કિ.ગ્રા.થી ૫૨૧ કિ.ગ્રા. પહોંચાડ્યું. નિકાસમાં પણ વિશ્વમાં કાયમ મોખરે રહેતા અમેરિકાને પાછળ ધકેલી દીધું. ચાલુ વરસે ખુદ સરકાર ૭૦ લાખ ગાંસડીની નિકાસ અંદાજે છે.
આવી સફળતા છતાં ગયા વરસે દયાનિધિ મારન નામના કપડામંત્રીએ ભારતના કપાસની જબ્બર માગ હતી અને નિકાસ બરાબર ચાલતી હતી ત્યારે જ મિલમાલિકોના ઇશારે કૃષિમંત્રીને બાજુએ રાખી દઈ, નિકાસમાં રોડાં નાખ્યાં. આવી ખેડૂતવિરોધી નીતિના પરિણામે નિકાસ વેરણછેરણ થઈ ગઈ.
પરિણામે આજે જ્યારે એક માસ મોડી પણ કપાસની આવક બજારમાં ભરપૂર થવા લાગી છે ત્યારે સંકર-૬ની જાતના ભાવ ગાંસડીએ ૧૦૦૦ રૂપિયે તૂટી ગયા છે. એકલા ગુજરાતમાં રોજની ૩૫ હજાર ગાંસડી અને દેશમાં રોજની એક લાખ ગાંસડી કપાસ બજારમાં આવી રહ્યો છે. ત્યારે નીચે જઈ રહેલા ભાવથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં રોષે ભરાયેલા કપાસના ખેડૂતો યાર્ડમાં હરાજી રોકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આત્મહત્યા માટે વિશ્વમાં નામચીન બનેલા કપાસ ઉત્પાદકોએ ઉગ્ર આંદોલન કરતાં મુખ્યપ્રધાને આચારસંહિતા પૂરી થયે જમીનના ધોરણના આધારે ખેડૂતોને રોકડ સહાય આપવાનું વચન આપવું પડ્યું છે. ડિસેમ્બરમાં ભાવ ગાંસડીએ ૩૦ હજાર થઈ જવાની આગાહીઓ થઈ રહી છે.
એક મંત્રીની અવળી નીતિએ લાખો ખેડૂતોના ભવિષ્યને ધૂળમાં રોળ્યું છે. દયાનિધિ મારન દયાને બદલે એ કપાસ ઉત્પાદકો માટે મારક સાબિત થયા છે. ગયા વરસે કપાસની નિકાસ સાથે થયેલાં ચેડાંના કારણે નિકાસ ઓછી થઈ. આ વરસે ૩૦ લાખ ગાંસડી વધુ પાક થતાં આ કેરીઓવર સ્ટોકનો ૮૦ લાખ ગાંસડીનો ભાર વેંઢારવાનો આવ્યો છે. જે મિલમાલિકોના બહાને નિકાસ અટકાવાઈ એમને પણ શ્રી મારને કરેલી સુતરની નિકાસબંધીના કારણે મોટું નુકસાન થયું છે.
સરકારની ખેડૂતોની મદદે આવવા માટે રચાયેલી સીસીઆઈ- કોટન કોર્પોરેશનને ત્રણ લાખ ગાંસડી નીચા ભાવે વેચવી પડતાં એને ૩૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. ગઈ સિઝનમાં કપાસની નિકાસ રોકવા પ્રયાસ થતાં ભારે નુકસાન થયું છે. જોકે હવે ભારત સરકારે ભૂલ સુધારી લીધી છે. અમે આશા રાખીએ છીએ કે ફરી એનું પુનરાવર્તન નહીં કરાય.’ વૈશ્વિક સંગઠનના વડાનો અભિપ્રાય બતાવે છે કે ગયા વરસે માત્ર ભારતના ખેડૂતોને જ નહીં બલકે વિશ્વના કપાસ બજારને નુકસાન કરાયું છે.
હવે ભારત સરકાર ખેડૂત અને કપાસના ભાવિને સુધારવા માગતી હોય તો એણે આ વરસે અત્યારથી જ એવું આયોજન કરવું જોઈએ કે જેથી એક કરોડ ગાંસડીની નિકાસ થાય. જરૂર પડ્યે ખેડૂતોને સબસિડી આપીને કરી શકાય- રાજ્યોને ભાગીદાર બનાવી કરી શકાય. છેલ્લા સમાચાર એવા છે કે અમેરિકાનું ઉત્પાદન ધાર્યા કરતાં નીચું થનાર છે. ચીનનાં જીનો પાસે માગને પહોંચી વળવા જેટલો સ્ટોક નથી. ડિસેમ્બરની ૨૫મીએ ચીનનો આયાત કવોટા પૂરો થશે. ગયા વરસ જેટલા ઊંચા ભાવ ભલે જોવા ન મળે પણ સરકાર ધારે તો અત્યારની સ્થિતિને પલટાવી શકે તેમ છે.
બંધારણની દ્રષ્ટિએ ખેતી રાજ્ય સરકાર હસ્તકની સૂચિમાં છે પણ ખેડૂતો ઉપર આફત આવે ત્યારે ગુજરાત તો કેન્દ્રને દોષ આપી પોતાને લાગતું વળગતું નથી એવો દેખાવ કરે છે. બીજી બાજુ કપાસના વધેલા ઉત્પાદન પોતાના ખાતે અંકે કરી લે છે. પાંચ કરોડ ક્વિન્ટલ કપાસ થયો. અત્યારે ક્વિન્ટલ કપાસનો ભાવ R ચાર હજાર માંડીએ તો પણ ચાર ટકાના હિસાબે રાજ્યને ૮૦૦ કરોડનો કર મળશે. એ ધારે તો મહારાષ્ટ્ર કરતાં પણ વધુ સહાય આપી શકે. પંજાબ સરકારે બોનસ આપ્યું છે.
આમ સર્વગ્રાહી વિચાર કરી કપાસ ઉત્પાદકને હાલની સ્થિતિમાં સહાય કરાય તો ભારતના કપાસનું ઉત્પાદન જે ૬૦ લાખ ટન છે તે એક દાયકામાં ૮૦ લાખ ટને પહોંચે અને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને ચીનનાં બજારોનો ફાયદો લઈ શકે. સાથોસાથ સરકારે ખેતપેદાશોની આયાત નિકાસ નીતિ બ્રાઝિલની જેમ ખેડૂતના હિતમાં ઘડવાનો સમય પાકી ગયો છે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.