મીઠાનો માત્ર ઔષધની માત્રામાં જ ઉપયોગ કરો તો ભગવદ્ ગોમંડળના કહેવા મુજબ તે સત્વશીલ છે. બળપ્રદ છે. વીર્યનું ધ્યોતક છે ! દૈવત, શક્તિ, માણસમાં પાણી હોવું, તેજ હોવું, કંઈ કમાલ હોવો કે દમ હોવો કે સત્તા હોવી તેને પણ મીઠાવાળો માણસ ગણાય છે.
ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામે કેન્દ્રનું અણુખાતું ન્યુક્લિયર પાર્ક ઊભો કરે છે ત્યારે આખા ભારતનું જ નહીં પણ જગતનું ધ્યાન ભાવનગર તરફ ખેંચાયું છે. મજાની વાત એ છે કે આ અણુવીજળી માટેના પાર્કના પ્રોજેક્ટ ઓફિસર એક ગુજરાતી નામે પંકજ શાહ છે. તમને યાદ હશે કે ભારતમાં અણુશક્તિના પ્રણેતા પૈકી એક ડૉ.. વિક્રમ સારાભાઈ હતા અને તે પણ ગુજરાતી હતા.આ અણુ પ્રોજેક્ટની વિગતવાર માહિતી પછીથી આપીશ. નિમક, મીઠું, લવણ, લૂણ, સબરસ અને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય છે તેને કેમિકલની ભાષામાં સોડિયમ કલોરાઈડ કહેવાય છે. પિર્શયનમાં પણ નમક કહે છે. દક્ષિણમાં નમકને ઉપ્પુ કહે છે જેનો ઉચ્ચાર જ ખારાશનો ભાસ આપે છે.
મીઠામાંથી ૪૦ જાતનાં જુદાં જુદાં રસાયણો અને ઔધ્યોગિક પેદાશો મળે છે. સસ્તું પણ અમૂલ્ય મીઠાનું આખું મહાપુરાણ લંબાણથી ચર્ચવું છે. પણ શરૂઆતમાં ગુજરાતીઓ આજકાલ આહારમાં ઠેર ઠેર વધુ ને વધુ મીઠું વાપરીને સ્વાસ્થ્ય બગાડે છે એટલે મીઠાના લાભ જેટલા જ ગેરલાભ પણ છે તેની મારે ચેતવણી આપવી છે. મીઠાનો માત્ર ઔષધની માત્રામાં જ ઉપયોગ કરો તો ભગવદ્ ગોમંડળના કહેવા મુજબ તે સત્વશીલ છે. બળપ્રદ છે. વીર્યનું ધ્યૌતક છે ! દૈવત, શક્તિ, માણસમાં પાણી હોવું, તેજ હોવું, કંઈ કમાલ હોવો કે દમ હોવો કે સત્તા હોવી તેને પણ મીઠાવાળો માણસ ગણાય છે.
કાંઈ દમ વગરનો હોય તો કહેવાય ‘મીઠાની તાણ્ય છે.’ અમે ગામડામાં હતા ત્યારે મીઠાનો ઉપયોગ બળદ માટે થતો જોતા. અમારા ખેડૂત અવારનવાર બળદના મોંમાં મીઠાનો બુકડો ભરાવીને દાંતે ઘસતો એટલે બળદના દાંત દુરસ્ત રહેતા. જે બળદ કરે છે તે આપણે કરતા નથી. ટૂથપેસ્ટોને ખાડામાં નાંખી તમે સવારે તલના તેલ સાથે નમક ઘસો એટલે મફતમાં દાંત, પેઢાં મજબૂત થાય છે. સૌરાષ્ટ્રમાં એક લોકગાયક થયેલો તેનું નામ મીઠો હતું પણ તે કડવું સત્ય કહેતો. ૨૦૦૪માં ન્યુયોર્કથી દુર્લભ પુસ્તક ‘સોલ્ટ એ વર્લ્ડ હિસ્ટ્રી’ મળેલું. ડૉ.. માર્ક કુરલાન્સ્કીનું આ પુસ્તક મીઠાના એન્સાઈકલોપીડિયા જેવું છે.
ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમના રસોડામાં ઓછામાં ઓછું મીઠું વપરાતું. અને ખાસ તો દેશી મીઠું-રિફાઈન્ડ કર્યા વગરનું જ લેવાતું. ગાંધીજી પછી વિનોબાના ભાઈ બાલકોબા ભાવે પાળતા. લાંબું જીવેલા બાલકોબા ભાવે તો મીઠું લેતા જ નહીં. તેમની ચામડી વૃદ્ધ વયે પણ નાના બાળક જેવી હતી. ખૂબ નમકવાળું ફરસાણ ખાનારાને ચામડીનો ભયંકર સોરાયસીસનો રોગ થાય છે.
ઉરૂલીકાંચનના પુસ્તક ભંડારમાંથી ડૉ.. કેથલીન મેયઝનું સોલ્ટ અંગેનું પુસ્તક મળેલું. તેનું મોટું મથાળું ગુજરાતીમાં કરું છું. ‘મીઠંુ એક એવી ચીજ છે જે છુપી રીતે તમારા આરોગ્યનો નાશ કરે છે. તે મીઠાના ગેરલાભથી બચવા શું કરવું ? મીઠું છૂપી રીતે શરીરમાં જવાનું હવે તો સવારથી શરૂ થાય છે. સવારે તમે કોર્નફલેકસ ખાતા શીખ્યા છો તેમાં મીઠું હોય છે. ચીઝ, બટર, બ્રેડ અને હવે ભાખરી, થેપલાં, ખાખરા, ગાંઠિયા, ચેવડો વગેરે તમામ નાસ્તામાં ભરપૂર મીઠું હોય છે. સુપર માર્કેટ જતાં શીખ્યા ત્યારથી વટાણા કે બીજા લીલા કઠોળનાં ટીન ખરીદો છો તેમાં ભરપૂર મીઠું હોય છે. તમે જુલાબ કે કબજિયાતની દવા લો છો તેમાં ભરપૂર મીઠું હોય છે. અરે સાહેબ ! ટૂથપેસ્ટમાં પણ મીઠું હોય છે જે બાળકોને ખાવું ગમે છે. દૂધમાં પણ છુપી રીતે મીઠું હોય છે. જેટલું વધારાનું મીઠું શરીરમાં જાય તેટલું કાળાંતરે બ્લડપ્રેશર વધારે છે. મીઠું શરીરમાં જાય એટલે તેને જથ્થાબંધ પાણી જોઈએ છે. તે પાણી શરીરમાં ભેગું થાય છે.
જય પ્રકાશ નારાયણને બ્રિટિશ જેલમાં મારી નાખવા મીઠાવાળું પાણી જબરદસ્તીથી પીવડાવાતું જેથી મીઠાના અતિરેકથી તેઓ વગર ગોળીએ મરી જાય. જયપ્રકાશજીનું મરણ લાવી ન શક્યા પણ વધુ પડતા મીઠાથી તેમની કિડની ખરાબ થઈ ગયેલી. આજે કિડનીના રોગ વધ્યા છે અને ખાસ સ્ત્રીઓને કિડનીના કે પેશાબના રોગ વધુ થાય છે કારણ કે સ્ત્રીઓ વધુ નમક ખાય છે. તેની સિસ્ટમ મીઠાને પુરુષની જેમ પચાવી શકતી નથી. તેથી જ કન્યાઓને અલૂણા વ્રત કે મોળાકત વ્રત કુંવારાપણામાં જ લેવડાવાય છે. મીઠું વધુ ખાવું એટલે જલદી વાળ ધોળા કરી નાખવા !
ગાંધીજીએ ખાંડને સફેદ ઝેર કહ્યા પછી નિસર્ગોપચારનો અભ્યાસ થતાં મીઠાને પણ સફેદ ઝેર કહેતા. જ્યાં જ્યાં હૃદયના ડોક્ટરોની વિશ્વ પરિષદ મળે છે ત્યાં નમકના ગેરલાભ ચર્ચાય છે. આપણાં બાળકોને માતાનું દૂધ છોડાવ્યા પછી ગાયનું દૂધ એટલા માટે અપાય છે કારણ કે ગાયના દૂધ કરતાં ભેંશના દૂધમાં ૪૨ ટકા વધુ નમક હોય છે. બ્લડપ્રેશર કે હૃદયરોગવાળાએ તો ગાયનું દૂધ જ લેવું. જર્મનીની બોન યુનિ.ના પ્રો. વિલ્લી વર્થો કહેલું કે માનવીએ અનિવાર્ય રીતે રોજ માત્ર ૨થી ૩ ગ્રામ જ મીઠું લેવું. પરંતુ આટલું મીઠું કુદરતી તમને શાકભાજી અને ફળોમાંથી મળી રહે છે. પશ્ચિમને રવાડે આપણે તો બચપણથી બાળકોને બેબી ફૂડ આપીને તેને પુષ્ટ કર્યાનો ભ્રમ રાખીએ છીએ.
હૈદરાબાદના ડૉ.. અમ્માન કહે છે કે આ બેબી ફૂડ જ બાળકને સ્થૂળતા અને પછી કિડનીના રોગ આપે છે. જર્મનીમાં તો બાળકો માટે જ નહીં પણ વડીલો માટે સોસ, ચીઝ, આઇસ્કિ્રમ અને કસ્ટર્ડ પાઉડરમાં ભરપૂર મીઠું વપરાતું તે કાનૂનથી ઓછું થયું છે. અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટે માત્ર ૩૭૫૦ મિલીગ્રામ મીઠું લેવાની ભલામણ કરી છે પણ આપણે બીજી આધુનિક ચીજોમાં આનાથી ત્રણ ગણું મીઠું પેટમાં પધરાવીએ છીએ.
હુઆંગડી નામના ચીનાએ સૌપ્રથમ ૯૫૬ વર્ષ પહેલાં ગન પાઉડરમાં મીઠાનો ઉપયોગ કરેલો. પોટેશિયમ નાઈટ્રેટ જે સોલ્ટપીટર તરીકે ઓળખાતું તેને દીવો ચંપાતો તો ધડાકો થતો. આરબો આ શસ્ત્રથી લડતા, પણ મીઠું આજે લડવા કે મારવાને બદલે કે ઉત્તમ ઔધ્યોગિક ચીજો બનાવવામાં વપરાય છે. તે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના ડૉ.. ઘોષ અને ડૉ..એમ.જી.ગાંધી પાસેથી જાણીશું.