રજનીકાંત અભિનિત ફિલ્મ ‘શિવાજી ધ બોસ’ની સફળતા બાદ શંકર ‘રોબોટ’ ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવા માગતા હતા. શાહરુખે આ ફિલ્મ પોતાની કંપનીના બેનર હેઠળ બનાવવા માટે તેમને સંમત કરીને પાંચ કરોડ રૂપિયાનો ચેક પણ આપી દીધો હતો. શાહરુખ ફિલ્મના સ્પે. ઈફેક્ટસવાળાં દ્રશ્યો તેમના મુંબઈ સ્થિત સ્ટુડિયોમાં રચવા ઇચ્છતા હતા પરંતુ શંકર ઘણા વખત સુધી મુંબઈ આવી શકે એમ નહોતા. તેથી તેમણે એ ચેક પાછો મોકલ્યો અને જહાજના પંખીની માફક રજનીકાંત પાસે પાછા ફર્યા.
‘રોબોટ’ ફિલ્મના બજેટ વિશે અનેક વાતો કહેવાય છે પરંતુ શંકરની શૈલીમાં એવો અતિરેક છે કે તેઓ દસ મોટરકારો તૂટતી હોય એવાં ર્દશ્યમાં સો મોટરકારો ધકેલી દેતા હોય છે. તેમને ભવ્યતાનું ઝનૂન છે. તેઓ રજનીકાંત અભિનિત ફિલ્મો માટેની પોતાની પટકથાઓ એવી રીતે લખે છે કે જાણે રજનીકાંતના પ્રશંસકો તેમની સામે બેસીને તેઓ પોતાના મહાનાયક પાસે શું શું કરાવવા ઇચ્છે છે એ કહેતા હોય. તેમના પ્રશંસકોના ઝનૂન-ઘેલછા ધમાઁધતાના સ્તરે જાય છે. રજનીકાંત પણ તેમની કમાણીનો અડધો અડધ ભાગ તેમની ફેન ક્લબ્સ દ્વારા જરૂરતમંદો-ગરીબોને મોકલે છે.
દ. ભારતમાં ફિલ્મસ્ટાર્સના પ્રશંસકોની સાવચેતી અને નિગરાણીને કારણે ગેરકાયદેસર રીતે કોપી કરાયેલી (પાઈરેટેડ) વિડિયો સીડી પર ફિલ્મો બતાવાતી નથી. રજનીકાંત ફક્ત સુપરસ્ટાર નહીં, પોતે જ એક પૂર્ણ સાર્વભૌમ સત્તા અને શાસન છે. તેમનો પ્રશંસકો હંમેશા સતત પડદા પર જોવા ઈચ્છે છે. જોકે રજનીકાંત માટે લખાતી પટકથા રશિયન ડોલ્સ જેવી હોય છે. રશિયન ડોલ્સમાં મોટી ઢીંગલીનું ઢાંકણું ખોલતાં, એવી જ બીજી નાની ઢીંગલી અંદરથી નીકળે છે અને પછી એવી રીતે એકની અંદર બીજી કરતાં સાત ઢીંગલીઓ નીકળે છે. આમ ‘રોબોટ’માં રજનીકાંત વૈજ્ઞાનિક પણ છે અને પોતે બનાવેલો રોબોટ પણ છે.
રોબોટિક વિજ્ઞાનની આ શાખા એટલી વિકસિત છે કે હવે એવા રોબોટ પણ બનાવાઈ રહ્યા છે, જે માનવીય સંવેદનાઓ વિશે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી શકે. આ વિષય પર સીમાતીત ફિલ્મ ‘બાયો સેન્ટેનિયલ મેન’ છે. જે અવારનવાર એચ. બી. ઓ. પર દર્શાવાય છે. મનુષ્યનું આ રીતે યંત્રો અને કોમ્પ્યુટરના આશ્રિત રહેવું નવા ખતરા પેદા કરી શકે અને યંત્ર શાસિત સમય પણ આવી શકે. ફિલ્મ ‘સ્પેસ ઓડિસી-૨૦૦૧’નો એ જ વિષય હતો. શંકરની ફિલ્મ ‘રોબોટ’માં ઐશ્વર્યા રાય બચ્ચન નાયિકા છે અને રજનીકાંતની ફિલ્મોમાં નાયિકાઓ મોટે ભાગે નાચગાન પૂરતી જ હોય છે.
ખરેખર તો રજનીકાંત ન કરી શકે, એ પ્રકારની આ ભૂમિકા છે. તેથી જ તેમાં સુંદર સ્ત્રીની રંગોળી પુરાઈ રહી છે. ફિલ્મના બજેટનો ૪૦ ટકા ભાગ સ્પે. ઈફેકટસનાં દ્રશ્યો પર ખર્ચાયો છે અને ત્રીસ ટકા ભાગ રજનીકાંત પર ખર્ચાયો છે. રજનીકાંતની ફિલ્મોનું ગણિત કંઈક જુદું જ હોય છે અને ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ ત્રણ દિવસમાં જ મૂડીરોકાણ વસૂલ થઈ જાય છે.