કપરા સમાચાર, કારમી સ્થિતિ ?
તાજેતરની પાંચ મહત્વની ઘટનાઓ જોતાં જણાય છે કે ભારતીય બંધારણની ૬૧મી વર્ષગાંઠે પણ રાષ્ટ્ર સમક્ષ અનેક પડકારો મોં ફાડીને ઊભેલા છે.
જો ભાજપની એકતાયાત્રાએ કાશ્મીરમાં તણાવ પેદા કર્યો હોય તો વસતાનવીના કથિત નિવેદનથી ઊભો થયેલો વિવાદ રૂઢિવાદી માનસિકતાને રજુ કરે છે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર જે પાંચ સમાચારો ચર્ચામાં હતા તેના પરથી દેશની વર્તમાન સ્થિતિનો અંદાજ આવી જાય એમ છે. પ્રથમ સમાચાર મનમાડના એડિશનલ કલેક્ટર યશવંત સોનવણેના હતા, જેમને કેરોસીન ચોરીની તપાસ દરમિયાન ઓઇલ માફિયાઓએ જીવતા સળગાવી દીધા હતા. બીજા સમાચારમાં દેશના નાણામંત્રી સ્પષ્ટતા કરી રહ્યા હતા કે એ લોકોના નામ સરકાર જાહેર નહીં કરે જેમણે વિદેશમાં કાળું નાણું છુપાવી રાખ્યું છે. ત્રીજા સમાચાર ભાજપની એકતા યાત્રાને જમ્મુ-પંજાબની સરહદે અટકાવી દેવાયા અંગેના હતા.
ચોથા સમાચારમાં દર્શાવાઈ રહ્યું હતું કે, કથિત રીતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં બોલનારા દેવબંદના પ્રમુખને પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. પાંચમા સમાચાર એક એવા યુવાન વિદ્યાર્થી અંગે હતા જેણે ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં આરુષિ તલવારના પિતા પર છુરા વડે હુમલો કર્યો હતો. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યા પર જેણે પણ આ સમાચારો સાંભળ્યા હશે તેને તાત્કાલિક એવો અહેસાસ થયો હશે કે, ભારતીય ગણતંત્ર સામે આજે કેટલા પડકારો મોં ફાડીને ઊભા છે.
સૌથી પહેલા સોનવણેની વાત કરીએ. બધા જ જાણે છે કે દેશમાં ઓઇલ માફિયાઓ સક્રિય છે અને કેરોસીનમાં ભેળસેળ દ્વારા જોરદાર નફો રળવામાં આવી રહ્યો છે. છ વર્ષ અગાઉ જ્યારે ઉત્તરપ્રદેશમાં ઓઇલ માફિયાઓએ આઈઆઈએમના ગ્રેજ્યુએટ મંજુનાથની હત્યા કરી હતી ત્યારે સરકારે વચન આપ્યું હતું કે જરૂરી પગલાં લેવાશે.
ખરેખર તો સરકારની ખોટી નીતિઓ જ ઓઇલ માફિયાઓની તાકાત બની છે. પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ.૬૦ છે અને કેરોસીન સબસિડીમાં રૂ.૧૨ /લિટર મળી જાય છે. ભાવ વચ્ચેનું આ અંતર જ કાળાબજારને પ્રોત્સાહન આપે છે. સરકાર પોતાની ઓઇલ નીતિઓની સમીક્ષા કરવા તૈયાર નથી. જેના પરિણામે મંજુનાથ અને સોનવણે જેવા ઈમાનદાર અને બહાદુર લોકોએ જીવ ગુમાવવો પડે છે.
સ્વતંત્રતા બાદનાં પ્રથમ પચાસ વર્ષ સુધી દેશમાં મુખ્યત્વે કોંગ્રેસનું જ રાજ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન સરકારની ટેક્સ નીતિએ દેશના ધનાઢ્યોમાં એ પ્રવૃત્તિને વેગ આપ્યો કે તેઓ પોતાની પૂરી આવક ન દર્શાવે અને તેને બદલે પોતાની ધન-સંપત્તિ વિદેશી બેન્કોમાં જમા કરાવી દે. સરકારની આવી નીતિને કારણે લાંચ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું. હવે આટલે વર્ષે નાણામંત્રી પ્રણવ મુખરજી કાળાં નાણાંની સમસ્યાના નિવારણ માટે પાંચ મુદ્દાના વ્યૂહ અને જરૂરી નિયામક માળખાના નિર્માણની વાત કરી રહ્યા છે. વિચાર તો સારો છે, પરંતુ તેને સ્થાયી નિદાન કહી શકાય નહીં. કાળા નાણાંની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બાબુશાહીની વધુ એક જાળ રચી નાખવાથી શું ફાયદો થશે?
ભ્રષ્ટાચારે કોંગ્રેસની ખાદી પર ડાઘ લગાડ્યો છે તો ધાર્મિક કટ્ટરવાદે ભાજપના ભગવા રંગને થોડો ફિકો પાડ્યો છે. ભાજપનું કહેવું છે કે તેણે રાષ્ટ્રવાદી ભાવના અંતર્ગત એકતાયાત્રા કાઢનો નિર્ણય લીધો, જેથી લાલચોક પર ત્રિરંગો ફરકાવીને અલગતાવાદીઓને એક મેસેજ પહોંચાડી શકે. પરંતુ યાત્રાને લીધે એ કાશ્મીર ખીણમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ ગઈ. ત્રિરંગો ફરકાવવો બંધારણીય અધિકાર છે એ વાત સાચી પરંતુ એકતાયાત્રામાં વધુ ઊંડે ઉતરતાં જાણવા મળ્યું કે તે પણ રાજકીય તકનો લાભ ખાટવાનો વધુ એક પ્રયાસ છે.
જો અલગતાવાદીઓને મેસેજ જ આપવો હતો તો ભાજપે પોતાના નેતા અટલબિહારી વાજપેયીના શબ્દોમાં ‘માણસાઈ’ ના માર્ગે ચાલીને આપવો જોઈતો હતો. જો ભાજપ આગ સાથે રમી રહ્યો છે તો આ જ વાત દેવબંદને પણ લાગુ પડે છે. મૌલાના વસ્તાનવી દ્વારા કથિત રીતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારને સમર્થન આપવાથી ઊભો થયેલો વિવાદ તાજું ઉદાહરણ છે. તેમણે કથિત રીતે કહ્યું હતું કે તેઓ ગુજરાતની વિકાસયાત્રામાં મુસ્લિમોની ભાગીદારી અંગે ખુશ છે.
જો તેમણે હકીકતમાં આમ કહ્યું હોય તો આટલી તીખી પ્રતિક્રિયા શા માટે આપવી જોઈએ? શું તેમના કથનનો વિરોધ કરનારા એવું ઇચ્છે છે કે ગુજરાતના મુસ્લિમો સામાજિક રીતે અલગ રહે? જો ભાજપની એકતાયાત્રાએ કાશ્મીરમાં તણાવ પેદા કર્યો હોય તો મૌલાનાના કથિત નિવેદનથી ઊભો થયેલો વિવાદ રૂઢિવાદી માનસિકતાને રજુ કરે છે.
સૌથી છેલ્લે ઉત્સવ શર્માની વાત કરીએ. એવું લાગે છે કે ફાઈન આર્ટ્સનો આ ગ્રેજ્યુએટ કોર્ટની બહાર લોકો પર હિંસક હુમલો કરવાની ટેવ ધરાવે છે. બની શકે કે ઉત્સવ શર્મા કોઈ માનસિક રોગી હોય, પરંતુ તેનાં કૃત્યો દેશમાં વધતી જતી વિચારહીન હિંસાની સંસ્કૃતિ તરફ પણ ઈશારો કરે છે. પછી તે રેગિંગ હોય, માર્ગો પર હિંસક પ્રદર્શન હોય કે ઓનર કિલિંગ. આજે દેશમાં એવા અનેક લોકો છે જે કાયદાને હાથમાં લેતાં ખચકાતા નથી. આ બાબતને ભારતીય બંધારણના ૬૧ વર્ષનો ઉત્સવ મનાવવાની આદર્શ રીત કહી શકાય નહીં.
હજુ એક વાત રહી ગઈ, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત પણ મુખ્ય સમાચારોમાં હતી. એમાં કોઈ બે મત નથી કે આ પુરસ્કાર મેળવનારામાંથી કેટલાય લોકો આ સન્માનના પૂરેપૂરા હકદાર હતા, પરંતુ શું દેશના આમ આદમી માટે પણ કોઈ પુરસ્કાર ન હોવો જોઈએ? એ સામાન્ય નાગરિક કે જે આજે કપરા સમયમાં પણ ‘ભારતના વિચાર’ ને જીવંત બનાવી રહ્યો છે.
રાજદીપ સરદેસાઈ,લેખક આઈબીએન ૧૮ નેટવર્કના ચીફ એડિટર છે. letter2editor@bhaskarnet.com