મીડિયા ફરી એક વખત સરકારની ચર્ચા અને સાંસદોના હુમલાની ઝપટમાં આવ્યું છે અને તેના ઈરાદા તથા દાનત પર આરોપ લગાવાઈ રહ્યાં છે.
‘મુક્ત વ્યાપાર’ અને ‘નિયંત્રિત સમાચાર’ની જુગલબંધીનો એક પણ પ્રયાસ લોકશાહી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. મીડિયાને અત્યારે સમાજની એવી તાકાતો વિરુદ્ધ સંરક્ષણની જરૂર છે, જે તેના અવાજને કચડવા અને તેના પગ કાપવાનું ષડયંત્ર કરી રહી છે.
મીડિયાને લઈને દેશના લગભગ તમામ રાજકીય પક્ષો અત્યારે ચિંતિત છે. મોટાભાગના વિરોધપક્ષો પણ ઓછામાં ઓછા એક મુદ્દે તો સરકાર સાથે છે કે મીડિયા પર લગામ લગાવવાની જરૂર છે. સત્તામાં આવતી સરકારો સમયે-સમયે મીડિયા પર ગાળિયો લગાવવાના પ્રયોગ કરતી રહી છે. કટોકટી દરમિયાન પણ વિરોધ પક્ષના પગમાં બેડી અને હાથમાં બંગડીઓ પહેરાવાઈ હતી. મીડિયાનો એક પ્રભાવશાળી વર્ગ એ વખતે ઘૂંટણે પડવાની માગણી સામે તળિયાં ચાટવા માટે પણ આતુર હતો. જોકે એ વખતે પણ પ્રેસ વિરુદ્ધ સેન્સરશિપનો જોરદાર વિરોધ થયો હતો.
મીડિયા ફરી એક વખત સરકારની ચર્ચા અને સાંસદોના હુમલાની ઝપટમાં આવ્યું છે અને તેના ઈરાદા તથા દાનત પર આરોપ લગાવાઈ રહ્યા છે. અણ્ણાના આંદોલન દરમિયાન મીડિયાની ભૂમિકા પર ચાબખા મારવામાં આવી રહ્યા છે અને તેના ‘અનિયંત્રિત’ કવરેજ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. સમજદાર લોકોને વધુ સમજાવાઈ રહ્યાં છે કે જો મીડિયાનો ટેકો ન મળ્યો હોત તો અણ્ણાના આંદોલનને આટલું મોટું જનસમર્થન મળતું નહીં. નિષ્કર્ષ એટલો જ છે કે સરકાર વિરુદ્ધ સિવિલ સોસાયટીના કોઈ પણ સાર્થક અંદોલનને જો બુધું પાડવું હોય તો તેના માટે સૌથી પહેલા મીડિયા પર દંડો ચલાવવો જરૂરી છે.
મીડિયા પર નિયંત્રણ લાદવા માટે બે સ્તરે પહેલ ચાલી રહી છે. પહેલી એ છે કે જો ઇલેક્ટ્રોનિક્સ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતી સામગ્રી માટે નક્કી કરવામાં આવેલી શરતો અને ‘શિસ્ત’નું ઉલ્લંઘન કરવામાં આવે છે તો તેમનાં લાઈસન્સ રિન્યુ કરવામાં નહીં આવે. નવી ચેનલો માટે લાઈસન્સ આપવા અંગેનાં જરૂરી નિયમોની પણ નવેસરથી વ્યાખ્યા કરવામાં આવી છે. ઇલેકટ્રોનિક ચેનલોએ ‘સ્વયંશિસ્ત’ના પાલનમાં ન્યાયમૂર્તિ જે.એસ. વર્માની દેખરેખમાં પોતાને માટે પહેલાથી દિશા-નિર્દેશ નક્કી કરી રાખ્યા છે અને તેનું શક્ય હોય તેટલું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.
પરંતુ સરકારની પહેલથી લાગી રહ્યું છે કે તે ઇલેકટ્રોનિક મીડિયાને તેના ‘સ્વયંશિસ્ત’માંથી મુક્ત કરવા માગે છે. મીડિયા પર લગામ લગાવવાનો બીજો મુદ્દો ૨૦૦૯ની ચૂંટણી બાદ ‘પેઈડ ન્યૂઝ’ અંગે ઊભી થયેલી ચર્ચાથી પેદા થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેઈડ ન્યૂઝનું ખોટું ચલણ અટકાવવા માટે સખત નિયમો બનાવવાની જરૂર છે.
પેઈડ ન્યૂઝના મુદ્દાને હથિયાર બનાવીને સમાચારપત્રોની કથિત ‘મનમાની’ રોકવા અંગે પણ બધા પક્ષો એક સરખું જ વિચારી રહ્યાં છે. ‘પ્રજાહિત’ના નામ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાને એક મર્યાદામાં બાધવા અંગે કેન્દ્ર પ્રયાસ કરી રહ્યું છે અને એવાં રાજ્યોમાં પણ કે જ્યાં મુખ્યમંત્રી એટલા શક્તિશાળી થઈ ગયા છે કે તક મળતાં વડાપ્રધાન બનીને દેશ ચલાવવાની મહત્વાકાંક્ષા રાખે છે.
મીડિયા અંગે ચાલી રહેલી ચર્ચામાં હવે ભારતીય પ્રેસ પરિષદના નવા નિમાયેલા અધ્યક્ષ ન્યાયમૂર્તિ માક·ડેય કાત્ઝુએ કહ્યું છે કે, ‘કેટલાક લોકોએ કહેવાનું શરૂ કરી દીધું છે કે મીડિયા બેજવાબદાર અને સ્વચ્છંદ બની ગયું છે, આથી તેના પર નિયંત્રણ લાદવું જરૂરી છે’. તેમણે એમ પણ કહ્યું છે કે મીડિયાની સ્વતંત્રતા પણ બંધારણની ધારા ૧૯(૧)(એ)માં આપવામાં આવેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક હિસ્સો જ છે.
પરંતુ કોઈ પણ સ્વતંત્રતા અમર્યાદિત ન હોઈ શકે. તેના પર ઉચિત પ્રતિબંધ પણ લગાવી શકાય છે. તેમના મતે મીડિયાની ખામીઓ દૂર કરવાની બે રીત છે. એક તો લોકશાહી રીત, જેમાં ચર્ચા અને સમજાવટની વ્યવસ્થા છે, જેને માટે તેઓ ખુદ પણ તૈયાર થશે. બીજો એક કે જો મીડિયા સુધરવાનો ઇનકાર કરે તો અંતિમ ઉપાય સ્વરૂપે આકરાં પગલાં લઈ શકાય છે, જેમાં દંડ ફટકારવો, સરકારી જાહેરાતો બંધ કરી દેવી, લાઈસન્સ રદ્દ કરી દેવા વગેરે. કાત્ઝુએ પૂછ્યું છે કે, શું મીડિયાનું જાણે-અજાણે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો ભાગીદાર બનવું ઉચિત છે?
સરકારને સિવિલ સોસાયટીના આંદોલન અને તેના મીડિયા કવરેજ સામે વાંધો છે. વિરોધપક્ષોને સલાહ આપાઈ રહી છે કે તે નકારાત્મક વલણ છોડે એટલે કે સરકારની ભૂલો શોધવાનું બંધ કરે. ન્યાયતંત્ર અંગે એવું કહેવાઈ રહ્યું છે કે તે પોતાની લક્ષ્મણરેખા ઓળંગી રહ્યું છે અને હવે મીડિયા પર ગાળિયો કસવા માટે જુદાં-જુદાં માધ્યમોની મદદ લેવામાં આવી રહી છે.
એ ભ્રમનો કોઈ ઇલાજ નથી કે મીડિયા અને મીડિયાકર્મીઓને ‘શિસ્ત’ અને ‘નિયંત્રિત’ કરીને માહિતીના વિસ્ફોટ પર પ્રતિબંધનું ઢાંકણું ફિટ કરી શકાય નહીં. ‘મુક્ત વ્યાપાર’ અને ‘નિયંત્રિત સમાચાર’ની જુગલબંધીનો કોઈ પણ પ્રયાસ લોકશાહી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. જો મીડિયા લક્ષ્મરેખા ઓળંગે છે તો તેનો સામનો કરવા માટે બજારની તાકાતો અને એક પરપિકવ દર્શક/વાચક વર્ગ હંમેશાં તૈયાર બેઠો છે.
મીડિયાને અત્યારે સમાજની એવી તાકાતો વિરુદ્ધ સંરક્ષણની જરૂર છે, જે તેના અવાજને કચડવા અને તેના પગ કાપવાનું ષડયંત્ર કરી રહી છે. તેમાં અંગત સ્વાર્થ ધરાવતા તમામ નેતાઓ, ધર્મગુરુ, કોર્પોરેટ ગૃહોના લોબિસ્ટો અને દરેક પ્રકારના માફિયાનો સમાવેશ થાય છે. એક બાજુ માહિતીને બહાર લાવનારા (વ્હીસલબ્લોઅર્સ) પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, બીજી તરફ ‘માહિતી પ્રાપ્તિના અધિકાર’ અને ‘માહિતીના વાહકો’ પર નિયંત્રણ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આવા વિરોધાભાસી મહોરા સાથે આપણી લોકશાહીનો દુનિયા સાથે અભિષેક કરવાની આશા રાખી શકાય નહીં.