વર્તમાનમાં લડાઈ જનતાની અદાલતમાં ચાલી રહી છે, જ્યાં કાયદાની આંટીઘૂંટીની સરખામણીએ સામાન્ય માન્યતાઓનું મહત્વ વધુ છે.
બંધારણીય અને નૈતિક ધોરણો સામાન્ય નાગરિકોની સરખામણીમાં એવા લોકો માટે વધુ સખત હોવા જોઈએ જે જાહેર જીવનમાં છે. અત્યારે તો સત્તાધીશોએ ‘નિર્દોષ સાબિત થતાં સુધી દોષી’ હોવાના જોખમ સાથે જ જીવવું પડશે.
રાજકીય ખેંચતાણના વર્તમાન દોરમાં કયા મંત્રીએ ક્યારે રાજીનામું આપી દેવું જોઈએ? થોડાં વર્ષ અગાઉ આ સવાલ મેં તત્કાલીન રેલવેમંત્રી લાલુ પ્રસાદ યાદવને એક ટીવી ઈન્ટરવ્યૂમાં પૂછ્યો હતો. એક ભીષણ રેલવે દુર્ઘટના બાદ લાલુને સલાહ આપવામાં આવતી હતી કે પોતાના પ્રતિષ્ઠિત પૂર્વવર્તી લાલ બહાદુર શાસ્ત્રીનાં પદચિહ્નો પર ચાલતાં તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. લાલુએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, પ્રજાએ અમને મંત્રીપદની જવાબદારી સંભાળવા માટે ચૂંટયા છે, જવાબદારીમાંથી છટકી જવા માટે નહીં.
જોકે લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં ‘નૈતિકતા’ અને ‘નિષ્ઠા’ જેવા શબ્દો મહત્વના હતા. તે સમયમાં કોઈ કૌભાંડ બહાર આવતાં જ ખબર પડી જતી કે સંબંધિત મંત્રીએ રાજીનામું આપવું પડશે. વર્ષ ૧૯૫૭માં જ્યારે એલઆઈસીના શેર ગેરકાયદે રીતે વેચવાના આરોપમાં નાણામંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીએ રાજીનામું આપ્યું હતું ત્યારે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન હતા.
હવે આમની સરખામણી શિબુ સોરેન સાથે કરીએ, જે હત્યાના કેસમાં ધરપકડ વોરન્ટ જારી થયાના છ મહિનાના અંદર જ જામીન મળ્યા બાદ તુરંત કેબિનેટમાં પાછા ફર્યા હતા. આ જ રીતે જયલલિતા કે જેના પર ભ્રષ્ટાચાર સંબંધિત એક કેસ ચાલી રહ્યો છે, આમ છતાં પણ તેણી તમિલનાડુની મુખ્યમંત્રી બની ગઈ છે. કે પછી માયાવતીનું ઉદાહરણ જુઓ કે જેના પર આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો છે છતાં પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે બિરાજમાન છે.
નવી રાજકીય નૈતિકતા અનુસાર પ્રથમ દ્રષ્ટિના પુરાવા પૂરતા નથી. મંત્રીએ ફક્ત ત્યારે જ રાજીનામું આપવું જોઈએ જ્યારે કાયદો તેને દોષી ઠેરવે. આરોપ લગાવવાની અને તેને સાબિત કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે, આથી મોટાભાગના નેતાઓ પોતાનો કાર્યભાર ચાલુ રાખે છે અને કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલતો રહે છે. આ કારણે જ મોટાભાગના નેતાઓ એમ કહીને બચી જતા હોય છે કે, ‘કાયદાનો નિર્ણય સર્વોપરી હશે’.
ન્યાયપદ્ધતિની આ ધીમીગતિ પ્રત્યે પેદા થયેલા જનાક્રોશને કારણે જ એવું વાતાવરણ ઊભું થયું છે જેમાં મીડિયા, જો એક ભુલાઈ ગયેલા વડાપ્રધાનના શબ્દોનો ઉપયોગ કરીએ તો, ‘ફરિયાદી, પક્ષકાર અને ન્યાયાધીશ’ ની ભૂમિકા એકસાથે નિભાવી રહ્યું છે. દોષ સાબિત થવા સુધી આરોપીને નિર્દોષ માનવાનો શાસ્ત્રીય કાયદાનો સિદ્ધાંત હવે બદલાઈ ગયો છે. હવે આરોપીને ત્યાં સુધી દોષી માનવામાં આવે છે જ્યાં સુધી તે ખુદને નિર્દોષ સાબિત ન કરે. હવે ટેલિવિઝન સ્ટુડિયો ઘોંઘાટવાળા કોર્ટરૂમ અને ન્યૂઝ એન્કર (જેમાં આ કટારલેખકનો પણ સમાવેશ થાય છે) પરમ ન્યાયાધીશ બની ગયા છે. નિષ્કર્ષ એ છે કે જો કોઈ કૌભાંડમાં પૂરતા પ્રમાણમાં ‘સરાઉન્ડ સાઉન્ડ’ નું નિર્માણ કરવામાં આવે તો રાજીનામાં માટે દબાણ બનાવી શકાય છે.
આનો અર્થ એ છે કે હવે લડાઈ જનતાની અદાલતમાં ચાલી રહી છે, જ્યાં કાયદાની આંટીઘૂંટીની સરખામણીએ સામાન્ય માન્યતાઓનું મહત્વ વધુ છે. સામાન્ય પરિસ્થિતિમાં કેગ રિપોર્ટના આધારે એ. રાજાએ પદત્યાગ કરવો પડતો નહીં, કેમ કે કેગનો રિપોર્ટ મોટાભાગના મંત્રીઓ અને અધિકારીઓને ‘આરોપી’ જ ઠેરવે છે. પરંતુ રાજાના કેસમાં કેગના રિપોટેં એવી માન્યતાઓને પણ પુષ્ટિ આપી કે અંગત લાભ માટે ટેલિકોમ મંત્રાલયનો દુરુપયોગ કરાયો હતો.
આ જ રીતે પૂર્વ સીડબલ્યુજી પ્રમુખ સુરેશ કલમાડીના કેસમાં ચાર્જશીટ દાખલ કરાતાં પહેલા જ દોષી માની લેવાયા હતા કેમ કે ‘સામાન્ય માન્યતા’ એ હતી કે તેમણે કોમનવેલ્થ ગેમ્સના કોન્ટ્રાકટમાં પોતાની મરજી ચલાવી હતી. તેનાથી વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સરકાર શુંગલૂ પેનલ દ્વારા દોષી ઠેરવ્યા બાદ પણ તેઓ પદ પર યથાવત્ છે, કેમ કે તેમને ઇમાનદાર અને મહેનતુ મુખ્યમંત્રી ‘માનવામાં’ આવે છે.
જાહેર જીવનમાં સામાન્ય માન્યતાઓ બેધારવાળી તલવાર જેવી છે. એક બાજુ તો તે નિર્લજજ નેતાઓ પર દબાણ બનાવીને તેમને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકે છે. બીજી તરફ તથ્ય અને આરોપો, સચ્ચાઈ અને પ્રચાર વચ્ચેની ભેદરેખા ધૂંધળી બનતાં જ બેકાબૂ શબ્દબાણ પળવારમાં જ કોઈના પણ ચારિત્રયની હત્યા કરી શકે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી શશિ થરૂરનું જ ઉદાહરણ લઈએ. તેમના વિરુદ્ધ કોઈ જ કાયદાકીય કેસ ન હતો, આમ છતાં પણ ફક્ત માન્યતાઓને આધારે જ તેમણે પદ ગુમાવવું પડ્યું. બીજું એક કારણ એ પણ છે કે તેમનો કોઈ રાજકીય જનાધાર ન હતો. સામે પક્ષે વિલાસરાવ દેશમુખ હજુ પણ કેન્દ્રીય કેબિનેટમાં છે. થરૂરને છોડી શકાય એમ હતા પરંતુ દેશમુખને નહીં, કેમ કે તેઓ રાજકીય રીતે વજનદાર નેતા છે.
આપણે હવે મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ : કયા મંત્રીએ ક્યારે રાજીનામું આપવું જોઈએ? સામાન્ય માન્યતા અનુસાર બંધારણીય અને નૈતિક ધોરણો સામાન્ય નાગરિકોની સરખામણીમાં એવા લોકો માટે વધુ સખત હોવા જોઈએ જે જાહેર જીવનમાં છે. એક સામાન્ય નાગરિકે ક્યારેય પણ આટલી સૂક્ષ્મ તપાસપ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે જેટલું સત્તામાં બેસેલા લોકોએ પસાર થવું પડે છે. અત્યારે તો સત્તાધીશોએ ‘નિર્દોષ સાબિત થતાં સુધી દોષી’ હોવાના જોખમ સાથે જ જીવવું પડશે.
રાજદીપ સરદેસાઈ, લેખક આઈબીએન-૧૮ નેટવર્કના એડિટર-ઇન-ચીફ છે.