શૂરવીરતા એટલે શું? પાળિયાઓ કોના ખોડાય? પ્રતિમાઓ કોની મુકાય ? સરકારી કે બીનસરકારી સન્માનો કોને પ્રદત્ત થાય ? શું કોઇ એવા શૂરવીરો પણ હોય કે જે સરકારી નોકરીમાં હોય અને જેમને ભારતભરમાં જ નહિં પણ સમગ્ર દુનિયાના પટમાં દેશનું નાક બચાવવા માટે મેમો ( ઠપકાપત્ર) પકડાવાય? કેમ એવા શૂરવીરોની ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તો ભલે નહિં પણ સાદા આલેખથી પણ નોંધ ના લેવાય ?
હશે. થોડા એવા વિરલાઓ હશે કે જેમણે આવું નરદમ શૌર્ય બતાવ્યું હશે. પણ હું એવા એક ગુજરાતી જવાંમર્દને જાણું છું કે જેઓ હવે આ જગતમાં નથી પણ જેમણે જીવલેણ તો નહિં પણ કારકિર્દીલેણ જોખમ ઉઠાવીને આપણા દેશની આબરુને ધૂળધાણી થતી અટકાવી હતી.
ના,એ રણમેદાન નહોતું કે નહોતું રનમેદાન.
એ તો હતી ઑલ ઇંડિયા રેડિયો, મુંબઇની ઓફીસ.સ્ટેશન ડાઇરેક્ટર મિ.પરાન્જ્યોતી અને એક સાધારણ સમાચાર વાચક જી.એચ. વ્યાસ વચ્ચે આ સુક્ષ્મ યુધ્ધ ખેલાઇ રહ્યું હતું.ગરમાગરમી કોઇ જ પક્ષે નહોતી પણ એક પક્ષે હતી સત્તાની સરકારે આંકી આપેલી મર્યાદાની કડકાઇ અને બીજે છેડે હતી પળે પળની મક્કમતાભરી ઉભરાતી ઉતાવળ. એ ઉતાવળ જી .એચ.વ્યાસના પક્ષે હતી. એ સમાચાર વાચનની પોતાની ફરજ પર જવાની તૈયારીમાં જ હતા કે એમને એમના એક અંગત મિત્ર હરિપ્રસાદનો કોટન એક્સ્ચેંજમાંથી ફોન હતો કે...
“ના વ્યાસ, ના” પરાન્જ્યોતિ સતાવાહી અવાજે કહેતા હતા: “ જ્યાં સુધી ભારત સરકાર તરફથી એ સર્ટીફાઇડ ના થાય અને ઓથોરીટી તરફથી સતાવાર પરમીશન ના મળે ત્યાં સુધી હું તમને કોઇ પણ સંજોગોમાં આ ભયંકર સમાચાર બ્રોડકાસ્ટ કરવાની છૂટ નથી આપી શકતો.” ”પણ સર,” વ્યાસના સ્વરમાં કંપ જન્મી ગયો” આપણા પહેલા જો બી,બી.સી. કે વોઇસ ઓફ અમેરિકા કે દુનિયાનો કોઇ પણ દેશ આ સમાચાર દુનિયાને આપી દેશે તો આપણા દેશનું નાક કપાઇ જશે.આપણા જ ઘરના સમાચાર અને તે બીજી કોઇ એજન્સી મારફત જગત જાણે ? આપણે તો મરવા જેવું થાય !” “ સોરી, આઇ કાન્ટ પરમીટ”
એવા તે કયા હતા એ સમાચાર ?
એ દિવસ હતો 30મી જાન્યુઆરી 1948નો અને એ સમય હતો સાંજના પોણા છ નો કે છનો. સમાચાર હતા મહાત્મા ગાંધીની હત્યાના ! અને એ સમાચાર જી,એચ.વ્યાસ એટલે કે ગિજુભાઇ વ્યાસે અંતે પોતાના ઉપરી અધિકારીની ઉપરવટ જઇને એક ઉર્દુ કાર્યક્રમ ચાલતો હતો તેને અધવચ્ચે અટકાવીને પોતાના અવાજમાં બ્રોડકાસ્ટ કરી જ દીધા. એ પછી દસ મિનિટે દુનિયાભરની સમાચાર એજન્સીઓ તરફથી એ વહેતા થયા ગીજુભાઇ એ પછી ધુસકે ને ધ્રુસકે રડી પડ્યા.આખુ રાષ્ટ્ર શોકમાં ગરકાવ હતું અને ગિજુભાઇ પણ. પણ એ શોકની પછવાડે એક હળવો સંતોષ કોઇ એક એવું કર્તવ્ય બજાવ્યાનો હતો કે જેણે દેશને નામોશીમાંથી ઉગારી લીધો હતો, ભલે પોતાની નોકરી જવાના જોખમે પણ .
પણ નોકરી ગઇ?
ના, પણ મેમો જરૂર મળ્યો. પણ જાણનાર, આપનાર અને લેનાર સૌ જાણતા હતા કે એ મેમો માનપત્રની કક્ષાનો કહેવાય્.
ગિજુભાઇ વ્યાસ એ પછી અનેક પદોન્નતિ પામીને છેલ્લે ભારતના દૂરદર્શનના ડાઇરેક્ટર જનરલના પદ પરથી 1980માં નિવૃત્ત થયા. અને એ પછી પણ દીર્ઘ આયુષ્ય ભોગવીને અઠ્ઠોતેર વર્ષની વયે 6-3-2000ના દિવસે અવસાન પામ્યા.
એમના પુત્ર સનત વ્યાસ મુંબઇમાં રહે છે અને રંગભૂમિ અને ટેલિવિઝનના નામાંકિત કલાકાર છે.