સરકાર જમીન દલાલ છે ? ખેડૂતો-આદિવાસીઓની જમીન છીનવવાનો તેને અધિકાર નથી
રાહુલ ગાંધી નિયમગીરીના આદિવાસીઓને સંબોધવા પહોંચી ગયા અને ત્યાં જઈને પોતે આદિવાસીઓ-પછાતો-ગરીબોના સિપાહી હોવાનું એલાન કર્યું. લોકો કહે છે કે રાહુલ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાન બનવા માટેની તૈયારી કરી રહ્યા છે. કોઈ કહે છે, ગરીબોના મસીહા બનવા નીકળ્યા છે રાહુલ ગાંધી.
રાહુલના નાના જવાહરલાલ નહેરુએ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા યાને ભારત એક ખોજ નામનું પુસ્તક લખ્યું હતું. રાહુલ કદાચ, જાતે ભારતને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના માટે આવા પ્રયાસો જ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા છે. રાહુલ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી જ છેવાડાના માનવીઓ સુધી પહોંચવાના પ્રયાસો યોજતા રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક દલિત મહિલા કલાવતીના ઝૂંપડામાં રાહુલ ગયા તે નેશનલ ન્યૂઝ હતા. તે પછી આંધ્રના એક દલિત પરિવારના મહેમાન બન્યા. વિરોધીઓ કહેવા માંડ્યા કે રાહુલ માત્ર દલિતોના જ ઘરોમાં જાય છે, પબ્લિસિટી મેળવવા માટે. રાહુલ હવે દલિતો ઉપરાંત આદિવાસીઓ અને અન્ય ગરીબોની પણ મુલાકાત લેવા માંડ્યા છે.
ઓરિસ્સાના કાળાહાંડીમાં આવેલા નિયમગીરી પર્વત વિસ્તારમાં વેદાંતા કંપનીને બોક્સાઇટના ઉત્ખનનની મંજુરી કેન્દ્ર સરકારે ન આપી તેના બે જ દિવસમાં રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા તે સૂચક છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્રની યુપીએ સરકારની છાપ કોર્પોરેટ હાઉસિઝની તરફેણ કરનાર તરીકેની છે અને એ છાપ સાચી પણ છે. કદાચ રાહુલ કોંગ્રેસની આ છાપને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા, પોતાને ગરીબોના મસીહા સાબિત કરવા મથી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના આંદોલનમાં હાજરી આપ્યા પછી તરત રાહુલ નિયમગીરી ગયા છે. મહત્વનો મુદ્દો અહીં એ છે કે નિયમગીરી જેવાં પર્વતો અને જંગલોનો સરકાર પોતે જ નિયમોને નેવે મૂકીને નાશ કરી રહી છે. ગ્રીન બેલ્ટમાં આદિવાસીને ઘર બાંધવાનો હક્ક નથી, કંપનીઓને ત્યાં કારખાનાં નાખવાની મંજુરીઓ આપી દેવામાં આવે છે.
ખેડૂતોની જમીનો કંપનીઓને આપી દેવામાં આવે છે. સરકારને કોઈ પૂછતું કેમ નથી કે તમે શાસક છો કે જમીનના દલાલ? સરકારનું કામ કલ્યાણ રાજ્યનું છે, જમીન દલાલીનું નહીં. જે જમીનના માલિક ખેડૂત છે તેની જમીન સરકાર રેલવે લાઈન, ડિફેન્સ ઇન્સ્ટોલમેન્ટ વગેરે જનસુવિધા માટે એકવાયર કરી શકે, પણ, કંપનીઓને વેચવા માટે નહીં. આ મુદ્દો ચર્ચાવો જોઇએ, રાહુલની મુલાકાત નહીં.