આપણે ક્યારેય મનુષ્યને મનુષ્ય રહેવા દેતા નથી. તેને દેવતા બનાવી દઈએ છીએ અથવા તો દાનવ જાહેર કરીએ છીએ.
ભારતમાં કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં રાજકારણ ન રમાતું હોય. ક્રિકેટ એક વ્યવસાય બની ગયો ત્યારે તેની કમાન નેતાઓના હાથમાં જતી રહી એ આશ્ચર્યની વાત છે. ક્રિકેટના રખેવાળોમાં ક્યાંય કપિલ, ગવાસ્કર કે બેદી કે પછી વિશ્વનાથ નથી.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની હારથી દેશભરમાં દેખાવો શરૂ થયા છે. ગઈકાલ સુધી પૂજાતા ક્રિકેટરો પર આજે રોષનાં રોડાં પડી રહ્યાં છે. વાત એ છે કે આપણે કોઈને મહાન બનાવવા અથવા તો તેને જ પાછો નીચો પાડવા તૈયાર હોઈએ છીએ. આ બંનેમાં આપણી ઝડપ ખૂબ જ હોય છે. આપણે ક્યારેય મનુષ્યને મનુષ્ય રહેવા દેતા નથી. તેને દેવતા બનાવી દઈએ છીએ અથવા તો દાનવ જાહેર કરીએ છીએ. ખરેખર તો આપણી આંધળી શ્રદ્ધા અને સખત નફરત ક્યારેય આપણને કોઈ પણ બાબતને તટસ્થતાથી જોવા દેતી નથી. આપણા હાથ તાલીઓ પાડે છે અથવા પથ્થર ફેંકે છે. તે જ રીતે જીભ વખાણ કરે છે અથવા ગાળો ભાંડે છે. આપણે ક્યારેય સમસ્યાના મૂળ પર આક્રમણ કરતા જ નથી કારણ કે સમસ્યા ફરીથી આવતી જ રહે તેવું આપણને કોઠે પડી ગયું છે.
સતત ક્રિકેટ રમવા માટે કહેનારાઓને આપણે ક્યારેય કશું કહેતા નથી. તેમને ત્યાં કોઈ પથ્થર ફેંકવા જતું નથી. અનેક દસકાઓથી લોકો કહે છે કે વિદેશમાં હોય છે તેવી ઝડપી અને ઉછાળ આપતી પિચ અહીંયા તૈયાર કરવામાં આવે, જેથી દેશની બહાર રમાતી મેચમાં પણ ખાસ અંતર ન આવે. ક્રિકેટરો બહાર રમાવા જાય ત્યારે તેમને આવી પીચોનો અનુભવ રહ્યો ન હોવાથી તેમને સેટ થવામાં જ સમય પસાર થઈ જાય છે. તે ઉપરાંત ઘણા દેશોમાં તો દરેક સ્થળે અલગ અલગ પીચ હોય છે તેથી આપણા ક્રિકેટરો વધારે ગુંચવાય છે.
પંચમઢી, ઊટી, સિમલા અને માઉન્ટ આબુ જેવાં સ્થળોએ પણ પિચ બનાવવી જેથી ઠંડીના કારણે સ્વિંગ થતા દડાને રમવાની આદત પડે. માત્ર મોટાં શહેરોમાં જ મેચ રાખવામાં આવે છે જેથી લોકો પૈસા ખર્ચ કરીને આવે અને મેચ જુએ. કારણ કે અહીંયા ક્રિકેટની રમત કરતા તેના ગ્લેમર અને આવકમાં લોકોને વધારે રસ હોય છે. ક્રિકેટના રખેવાળોને માત્ર પૈસાથી મતલબ છે. ક્રિકેટની રમતમાં તેથી જ પૈસા દેખાય છે.
ભારતમાં કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં રાજકારણ ન રમાતું હોય. જ્યારે ક્રિકેટ એક વ્યવસાય બની ગયો ત્યારે તેની કમાન રાજકારણીઓના હાથમાં જતી રહી. એ આશ્ચર્યની વાત છે ક્રિકેટના રખેવાળોમાં ક્યાંય કપિલ દેવ, સુનીલ ગવાસ્કર કે બશિનસિંહ બેદી કે પછી ગુંડપ્પા વિશ્વનાથ નથી. ક્રિકેટની જાણકારી હોય તેને બહાર રાખવામાં આવે છે. જે ક્રિકેટ જાણતું નથી અરે જેને ખરેખર તેની સાથે કોઈ સંબંધ નતી તેવી વ્યક્તિઓ ક્રિકેટના ભવિષ્યના નિર્ણયો કરે છે. આજે ભારતમાં થતી કમાણી અને લોકોના ક્રિકેટ પ્રત્યેના વળગણના કારણે જ દુનિયામાં આપણો ડંકો વાગે છે.
ક્રિકેટનું વર્ચસ્વ એ હદે વધ્યું છે કે બાળકો પાસે ભણવા માટે ટાઈમ નથી, ખેડૂતોને વાવણી માટે વીજળી નથી પણ આઈપીએલમાં એસએમએસ કરવા માટે ટાઈમ, પૈસા, વીજળી બધું જ છે. માત્ર રમતની વાત હોય તો તે ગમે ત્યારે રમી શકાય પણ પ્રસારણ હક્કો વેચવા માટે તેને ખાસ કરીને પ્રાઈમ ટાઈમમાં રાખવામાં આવે છે જેથી કમાણી વધે. વધુ ટીઆરપી મળવાથી જ રોકાણ વધે છે. તે ઉપરાંત જાહેરાતો વધુ આવે તે માટે તેવા સમયે જ ક્રિકેટ શ્રેણીઓનું આયોજન કરવામાં આવે છે. દા.ત. સોફ્ટ ડ્રિંકસ વધુ વેચવા માટે જ ઉનાળામાં ક્રિકેટ મેચોનું આયોજન કરાય છે.
ટીવી પર પણ ક્રિકેટના પ્રસારણથી કમાણી થાય છે. આજકાલ તો ફિલ્મોની પણ સિત્તેર ટકા કમાણી ટીવી પ્રસારણના અધિકારથી મળે છે. ક્રિકેટની રમતમાં ક્રિકેટ ગૌણ બની ગયું છે. હવે ખાસ કોઈ રણજી મેચ જોવા જતું નથી. વિદેશી કોચ આવીને તગડી રકમ લઈ જાય છે.
એક્સ્ટ્રા શોટ :
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(બીસીસીઆઈ) ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધાની જેમ ૨૦૦૭માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ કરી હતી.