છેલ્લા એક આખા દાયકામાં રથયાત્રામાં છમકલું પણ થયું નથી.ગુજરાતમાં કોમવાદની વાતો કરનારાઓ છેલ્લા એક આખા દાયકામાં અમદાવાદ અને ભાવનગરની ભગવાન જગન્નાથની રથયાત્રાઓ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહી એ માટે શું કહેશે? અમદાવાદની રથયાત્રાનો ૧૩૩ વર્ષનો ઈતિહાસ જુઓ કે ભાવનગરની રથયાત્રાનો ૨૫ વર્ષનો ઈતિહાસ જુઓ, ૨૦૦૦થી ૨૦૧૦નો એક દાયકો બાદ કરતાં દરેક દાયકામાં કોમી હુલ્લડ અથવા ઘર્ષણ અથવા છમકલાં થતાં રહ્યાં છે.
છેલ્લા એક દાયકામાં આવું કશું જ બન્યું નથી. આ શાંતિ અને સૌહાર્દપૂર્ણ રથયાત્રાઓ ઘણાના પ્રશ્નોના જવાબ આપી દે છે. ગુજરાતના રહેવાસીઓને યાદ છે કે અગાઉ શું થતું હતું. રથયાત્રા પહેલાં શહેર લશ્કરી છાવણીમાં ફેરવાઇ જતું હતું.
સંવેદનશીલ વિસ્તારોમાં લઘુમતી દ્વારા જનતા કરફ્યૂ જાહેર કરી દેવામાં આવતો હતો. તોફાન થવાની સતત ભીતિ સાથે યાત્રા આગળ વધતી અને સંવેદનશીલ વિસ્તારોને જલદી પસાર કરાવી લેવા માટે રથને રીતસર દોડાવવામાં આવતા હતા. લાઉડસ્પીકરોનો ફૂલ વોલ્યુમ પર રાખીને દેશભક્તિનાં ગીતો વગાડવામાં આવતાં અને પોલીસ કર્મચારીઓ સતત સિસોટીઓની તીવ્ર ચિચિયારીઓ ચાલુ રાખતા હતા એટલે ઉશ્કેરણીજનક વિધાનો અથવા સૂત્રો બેમાંથી એક પણ સાઇડને સંભળાય નહીં.
કોમન મેનથી માંડીને સીએમ સુધી બધા જ ઉચાટમાં રહેતા હતા. હવે સ્થિતિ અલગ જ છે. લાઉડસ્પીકર્સ અને સિસોટીઓ વગાડવામાં આવે છે પણ, તોફાનના ડરને કારણે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં જનતા કરફ્યુ જેવું કશું દેખાતું નથી. પ્રસાદ લેવામાં હિન્દુ ભાઇઓની સાથે ખભા મિલાવીને મુસ્લિમ બિરાદરો ઊભા રહે છે. કોઇને તોફાનમાં રસ નથી, ઝઘડવામાં રસ નથી, બધાને ઉત્સવ ઉજવી જાણવો છે. કોમી ઉશ્કેરણી કરનારા તત્વોનું હવે અહીં ફદિયું પણ ઉપજતું નથી. રથયાત્રાના દિવસે સારા પ્રસંગો રાખવાનું લોકો ટાળતા, તોફાનોની બીકે પણ, હવે એ ડર રહ્યો નથી.
અમદાવાદ અને ભાવનગરમાં અષાઢી બીજના દિવસે લગ્ન સહિતના સંખ્યાબંધ પ્રસંગો ઊજવાયા એ આ બાબતનો પુરાવો છે. ગુજરાતે પોતાની વિરુદ્ધના દરેક અપપ્રચારનો જવાબ આ જ રીતે આપ્યો છે. કોમી એખલાસ જનતાના દિલમાં ઊભો થાય છે, કોઇની ટીકાઓથી તેને તોડી શકાતો નથી. ગુજરાતમાં કુલ ૧૩૬ જેટલી નાની-મોટી રથયાત્રાઓ નીકળી હતી અને, તેમાંથી એક પણમાં, નાનકડું છમકલું પણ થયું નહોતું, એ કોઇ નાનીસૂની બાબત નથી.