આજના સુપરસ્ટારો પાસે ધન અને લોકપ્રિયતા છે પરંતુ પ્રજાના માનસમાં એટલે ઊંડે સુધી વસી શક્યા નથી જેટલા રાજ, દિલીપ અને દેવ હતા.
રાજ કપૂર, દિલીપકુમાર અને દેવઆનંદ ઉપરાંત ઉંમરમાં સૌથી મોટા પ્રાણસાહેબ આજે ય નામના ધરાવે છે. ડઝનબંધ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવ્યા છતાં વાસ્તવિક જીવનમાં સારા માણસ બની રહ્યા છે.
ગઈકાલે રાજ કપૂરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને તેમનાથી ઉંમરમાં બે વર્ષ મોટા દિલીપકુમારનો જન્મ તેનાથી ચાર દિવસ અગાઉ રવિવારે ઉજવાયો અને આજે સાંજે મહેબૂબ સ્ટુડિયોમાં સ્વર્ગવાસી દેવ આનંદની યાદમાં એક આયોજન કરાયું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અદભૂત પ્રતિભા ધરાવતી આ ત્રિપુટીએ જે સમયગાળામાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે તેને નેહરુ યુગ પણ કહી શકાય છે. ભારતીય જનમાનસમાં આ ત્રણેય કલાકારો ઊંડે સુધી વસી ગયેલા છે. તેમના પ્રશંસકો તેમને એક ફેશન તરીકે નહીં, પરંતુ તેમની વિચારધારાનો હિસ્સો બની ગયા છે. લોકોનાં સપનાં અને ભયને આ ત્રણેય અભિનેતાઓએ એટલા લાગણીપૂર્વક ભજવ્યાં છે કે અભિનેતા અને પ્રશંસકોનાં દિલ એક જ તરંગ પર ધબકતાં હોય એમ લાગતું હતું.
દિલીપકુમારની અંદર રહેલા પોલાદની અનેક વખત પરીક્ષા લેવાઈ છે અને એ પણ વિચિત્ર સંયોગ છે કે પડદા પર પણ તેમણે સૌથી વધુ યાતનાઓ ભોગવનાર નાયકની ભૂમિકા ભજવી છે. તેમણે જીવનમાં પણ ઘણું સહન કર્યું છે. પોતાના પરિવારના અનેક સભ્યોને અવસાન પામતા જોયા છે અને પોતાના અનેક મિત્રોના મૃત્યુનો આઘાત પણ સહન કર્યો છે. રાજ કપૂરના મૃત્યુના સમાચારની સાથે જ તેમના હૃદયનો એક ભાગ ખોટો પડી ગયો હતો અને હવે દેવ આનંદના મૃત્યુએ તેમના હૃદયમાં ખુદના મૃત્યુનો પડઘો સંભળાવ્યો હશે.
હકીકતમાં આપણા દરેક પ્રિયજનના મૃત્યુની સાથે આપણું પણ કંઈક મરી જાય છે. મૃત્યુ નિશ્વિત હોવા છતાં જીવન નિરંતર ચાલતું રહે છે અને વિદાય લેનારા કોઈનાં અશ્રુઓમાં હસતા રહે છે. મૃત્યુને ઠેંગો બતાવવાની ભાવના જ જીવનશક્તિ બની જાય છે.
આ ત્રણેય અભિનેતાઓમાં ઉંમરમાં સૌથી મોટા પ્રાણસાહેબ સદ્દભાગ્યે આપણી વચ્ચે છે અને તેમણે ત્રણેયની મહત્વની ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી છે. આ ચારેય પેશાવર અને પંજાબમાં જન્મેલા છે અને તેમના એકમેકના સંબંધ હંમેશા અકબંધ રહ્યા છે. દેશના ભાગલાની યાતના પણ આ લોકોએ ભોગવી છે.
વ્યક્તિગત જીવનના અનુભવ અભિનયમાં મદદરૂપ થતા હોય છે તો બીજી તરફ અભિનીત ભૂમિકાઓની અસર માનસપટ પર લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોય છે. આ સંદર્ભમાં આપણે પ્રાણ સકિંદનાં વખાણ કરવા પડે કે ડઝનબંધ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવ્યા બાદ પણ વાસ્તવિક જીવનમાં તે એક સારા માણસ બની રહ્યા છે. દિલીપકુમાર પર કરુણ ભૂમિકાઓની ઊંડી અસર થવાને કારણે ડોક્ટરની સલાહ મુજબ તેમણે હાસ્યરસવાળી ‘આઝાદ’, ‘કોહિનૂર’ અને ‘રામ ઔર શ્યામ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.
રાજ કપૂરે ક્યારેય પણ દિલીપની જેમ ભૂમિકાઓ માટે પૂર્વ તૈયારી કરી નથી. ખુદ દિલીપકુમારે જણાવ્યું હતું કે ‘અંદાઝ’ના સેટ પર રાજ કપૂર હંમેશા ઠઠ્ઠા-મશ્કરીમાં વ્યસ્ત રહેતા, પરંતુ શોટ આપતી વખતે પોતાની ભૂમિકામાં ખોવાઈ જતા. તેમની પાસે લાગણીઓની અભિવ્યક્તિ માટે જાણે કે ઓન-ઓફનું બટન હતું.
આજના સુપરસ્ટારો પાસે અપાર ધન અને લોકપ્રિયતા છે, પરંતુ પ્રજાના માનસમાં એટલે ઊંડે સુધી વસી શક્યા નથી જેટલા રાજ, દિલીપ અને દેવ સમાઈ ગયા હતા. તેઓ પ્રશંસકોની વિચારધારાને અસર પણ કરી શક્યા નથી. આજે પાંચમા દાયકામાં પણ આ ત્રણેયની ફિલ્મોને લોકો એટલી જ લાગણી સાથે યાદ કરે છે, જ્યારે આજના સુપરસ્ટાર વિશ્વાસ સાથે કહી શકે એમ નથી કે પચાસ વર્ષ બાદ તેમની ફિલ્મોને કોઈ યાદ કરશે.
એક્સ્ટ્રા શોટ : પ્રાણે વર્ષ ૧૯૪૦માં પ્રદર્શિત પંજાબી ફિલ્મ ‘યમલા જટ’થી પોતાની અભિનયયાત્રા શરૂ કરી હતી. તેમની પહેલી હિન્દી ફિલ્મ વર્ષ ૧૯૪૨માં આવેલી ‘ખાનદાન’ હતી.