એક ભ્રષ્ટાચારમુકત અને સ્વસ્થ સમાજ દેશની દરેક વ્યક્તિની સંપૂર્ણ સુરક્ષા તથા સન્માનને શક્ય બનાવી શકે છે.
અણ્ણા અને તેમનો લોકપાલ કોઈ જાદુઈ લાકડી કે શ્રીકૃષ્ણની વાંસળી નથી કે જેનાથી નાગરિકોનું મન બદલાઈ જશે અને દેશમાં દૂધની નદીઓ વહેવા લાગશે.
અણ્ણા હજારેના રામલીલા મેદાનમાં ઉપવાસ દરમિયાન આમિર ખાન પણ હાજર રહ્યો હતો. બિચારા ઓમ પુરીને પોતાનું નિવેદન મોંઘું પડ્યું હતું. બીજા કેટલાક ફિલ્મવાળાઓએ પણ અણ્ણાને ટેકો આપ્યો હતો પરંતુ આજે બીજી ઇનિંગમાં ફિલ્મઉદ્યોગ મૌન છે. શું અણ્ણાનાં આદર્શ સપનાંમાં હવે તેમને વિશ્વાસ નથી રહ્યો કે અણ્ણા અને તેમની ટીમ દ્વારા ફકત કોંગ્રેસનો જ વિરોધ ફિલ્મી દુનિયાના લોકોને હજમ નથી થઈ રહ્યો કે પછી તેઓ જાણે છે કે બધા જ પક્ષોના મોટા ભાગના નેતા ભ્રષ્ટાચારના તાંડવમાં કોઈ ને કોઈ રીતે સંડોવાયેલા છે? ફિલ્મી દુનિયાના મૌનનો એવો અર્થ પણ કાઢી શકાય કે તેઓ સરકાર સાથે કોઈ અથડામણ ઇચ્છતા નથી. હકીકતમાં સરકાર ફિલ્મવાળાઓ પ્રત્યે હંમેશાંથી જ ઉદાસ વલણ રાખતી આવી છે અને ફિલ્મી દુનિયાના લોકોએ પણ ક્યારેય દેશની સમસ્યાઓ કે પોતાના દર્શકોના કઠણાઈભર્યા જીવન પ્રત્યે લાગણી દર્શાવી નથી.
ફિલ્મઉદ્યોગમાં બીજા વિશ્વયુદ્ધ સમયે કાળું નાણું આવ્યું હતું. એ વખતે કાચી ફિલ્મ ખરીદવા માટે ચોર બજારનો આશરો લેવો પડતો હતો. સ્ટુડિયો પ્રણાલીને ફિલ્મસ્ટારોએ નષ્ટ કરી નાખી છે અને પોતાના તગડા મહેનતાણાનો મોટો હિસ્સો કાળાં નાણાંના સ્વરૂપે લીધો છે. આઝાદી બાદ દાયકાઓ સુધી આવકવેરાના નિયમો જ કંઈક એવા હતા કે કરચોરી અનિવાર્ય બની ગઈ હતી.
અંગ્રેજોના સમયમાં મનોરંજન કર માત્ર પંદર ટકા હતો પરંતુ સ્વતંત્રતા બાદ સ્થાનિક સરકારોએ સો ટકા કરતાં પણ વધુ મનોરંજન કર લાગુ કર્યો, જેને પરિણામે થિયેટર માલિકોએ ટિકિટના વેચાણમાં ગોટાળો કરવો પડ્યો અને આ કાળું નાણું વિતરકોના માધ્યમથી નિર્માતાઓ સુધી પહોંચવા લાગ્યું. છેલ્લા બે દાયકામાં આવકવેરાનો દર ઘટાડવા, અનેક રાજ્યોમાં મનોરંજન કર સમાપ્ત કરવા તથા ફિલ્મોમાં કોર્પોરેટના પ્રવેશ તથા કરમુકત મલ્ટિપ્લેક્સ આવ્યા બાદ ફિલ્મઉદ્યોગમાં કાળું નાણું લગભગ નહીંવત્ રહી ગયું છે.
હકીકતમાં ભારતના સુવિધા સંપન્ન લોકોનો જ એક વર્ગ છે ફિલ્મઉદ્યોગના ગણતરીના સફળ લોકો અને આ વર્ગને જ સામાન્ય માણસના કઠણાઈભર્યા જીવન તથા દેશની સમસ્યાઓ પ્રત્યે ઊંડી લાગણી કે સહાનુભૂતિ નથી. મધ્યમ વર્ગમાં જેમની પાસે સુવિધાઓ છે અને સારી આવકને કારણે જેમની પાસે વસ્તુઓ ખરીદવાની તાકાત છે એવા લોકોની લાગણી પણ બુઠ્ઠી થઈ ગઈ છે. હકીકતમાં માનવ જીવન અને નૈતિક મૂલ્યો પ્રત્યે લોકોમાં ઉદાસીનતા આવી ગઈ છે. અનેક પૈસાદાર લોકો ગરીબોની મદદ કરે છે પરંતુ આ દયાભાવ સાથે એક સ્વાર્થ જોડાયેલો છે, માનવીનો માનવી પ્રત્યેનો પ્રેમ નથી હોતો.
વાત એમ છે કે આ સમગ્ર ખેલમાં સુવિધા-સંપન્ન વર્ગ એક નાનકડી વાત ભૂલી રહ્યો છે કે એક ભ્રષ્ટાચાર મુકત અને સ્વસ્થ સમાજ, દેશની દરેક વ્યક્તિની સંપૂર્ણ સુરક્ષા તથા સન્માનને શક્ય બનાવી શકે છે. કોઈ પણ સખતમાં સખત કાયદો પણ સડી ગયેલા તંત્રનો ઇલાજ નથી. વ્યવસ્થામાં સમગ્ર પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે, જેનો શંખનાદ પરિવારના એકમથી જ શક્ય છે. અણ્ણા અને તેમનો લોકપાલ કોઈ જાદુઈ લાકડી કે શ્રીકૃષ્ણની વાંસળી નથી કે જેનાથી નાગરિકોનું મન બદલાઈ જશે અને દેશમાં દૂધની નદીઓ વહેવા લાગશે. દરેક વ્યક્તિએ એક નાયકની જેમ આચરણ કરવું પડશે અને પોતાની આજુબાજુનો કચરો સાફ કરવો પડશે.
એક્સ્ટ્રા શોટ : ઓમ પુરીને ૧૯૮૨માં ફિલ્મ ‘આરોહણ’ માટે પ્રથમ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો.