બિન-ફિલ્મી પરિવારમાંથી આવતા શાહરુખ ખાનનો ઉદય આ અજબ-ગજબ ભારતની રહસ્યમય પદ્ધતિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સામે આવે છે.
શાહરુખની પરીકથા જેવી સફળતાનું સત્ય તેની કાલ્પનિક હોવાની વાતનું ખંડન કરે છે. કોઈ ફિલ્મસ્ટારનું આ રીતે ધરતી સાથે જોડાયેલા હોવું અને સામાન્ય માણસનું આટલા મોટા ફિલ્મસ્ટાર બનવું આશ્ચર્યજનક છે.
શાહરુખ ખાનના પિતાએ દેશના સ્વાતંત્રયસંગ્રામમાં ભાગ લીધો હતો અને ખુદ શાહરુખને પણ સૈન્યની પૃષ્ઠભૂમિ ધરાવતી ધારાવાહિક ‘ફૌજી’માં તક મળી હતી. જોકે, શાહરુખની પ્રથમ ફિલ્મ અઝીઝ મિર્ઝાની ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ હતી. શબનમ કપૂરે અરમાન કોહલીને હટાવીને ‘દીવાના’માં શાહરુખને તક આપી અને કરાર કરેલી બીજી ફિલ્મ પહેલા રિલીઝ થઈ. હવે આજે લગભગ વીસ વર્ષ બાદ તેની સુપરહીરો ફિલ્મ ‘રા.વન’ પ્રદર્શિત થવા જઈ રહી છે. ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ મનોરંજન જગતનો એક છેડો છે તો સુપરહીરો ‘રા.વન’ તેનો બીજો છેડો છે.
સામાન્ય માણસની નબળાઈઓ સાથે હીરોને રજુ કરનારી ફિલ્મોની પરંપરા આ માધ્યમથી પહેલા ચાર્લી ચેપ્લીને શરૂ કરી હતી અને સુપરહીરો ફિલ્મો માધ્યમમાં ટેક્નોલોજીના વિકાસને રજૂ કરનારી ફિલ્મો છે. દુનિયાભરના દર્શકોમાં બાળકોની વધી ગયેલી સંખ્યા આ પ્રકારની ફિલ્મોની સફળતાનો આધાર છે. આ બંને ફિલ્મો શાહરુખની યાત્રાના આરંભ (‘રાજુ’) અને તેમના ટોચ (‘રા.વન’) પર પહોંચવાનું પ્રતીક પણ બની જાય છે.
આ જ રીતે આ બંને ફિલ્મો આજની ભારતીય સિનેમાના પણ બે ચહેરા બની જાય છે. હકીકતમાં ‘રા.વન’નો નાયક પણ અઝીઝ મિર્ઝાનો ‘રાજુ’ જ છે, પરંતુ આ વખતે તે પોતાની નબળાઈઓને બદલે કેટલીક અસાધારણ શક્તિઓ સાથે રજુ થઈ રહ્યો છે. નુક્કડનો ‘રાજુ’ હવે ‘યસ બોસ’ના નાયકની જેમ ‘ચાંદ-તારા’ તોડી લાવવાની તાકાત સાથે રજુ થઈ રહ્યો છે.
શું ૧૯૯૨માં શાહરુખ રાજુના દૂરબીનથી ૨૦૧૧ની ‘રા.વન’ને જોઈ શક્યા હતા કે પછી આજે કોઈ જાદુઈ દૂરબીનના પાછળના છેડાથી ‘રાજુ’ને જોઈ શકે છે? આ પ્રકારની સમયને પેલે પાર જોનારી દૂરબીનના બદલે લોકપ્રિયતાની ટોચે ઊભેલો શાહરુખ જો પોતાના અત્યંત વ્યસ્ત શિડÛુલમાંથી થોડીક મિનિટો કાઢીને પોતાના દિલમાં ઝાંખશે તો ત્યાં તેને ‘રાજુ’ હસતો જોવા મળશે.
‘રાજુ’થી ‘રા.વન’ સુધીની આ સફર સરળ ન હતી. શાહરુખે ઘણો સંઘર્ષ કર્યો છે. આ બધાં વર્ષો દરમિયાન ભારતમાં અનેક ઘટનાઓ ઘટી છે, જેની અસર બધા જ નાગરિકો પર પડી છે. ફિલ્મઉદ્યોગમાં પણ અનેક પરિવર્તન આવ્યાં છે. મલ્ટિપ્લેક્સની શરૂઆત થઈ, કોર્પોરેટ સંસ્કૃતિનો પ્રવેશ થયો, વિદેશોમાં ભારતીય લોકોની સંખ્યા વધવાથી સિનેમાના વિદેશ વ્યાપારમાં અસાધારણ વધારો થયો. શાહરુખના ફિલ્મસ્ટાર તરીકેના ગ્રાફમાં આમાંથી કેટલીક ઘટનાઓની અસર થઈ છે અને કેટલીક ઘટનાઓએ તેના જીવન અને વિચારોને બદલવાનું કામ કર્યું છે. ટેક્નોલોજીની અસર દરેકના પર થઈ છે.
તમામ વિરોધાભાસ અને વિસંગતિઓ વચ્ચે અજબ-ગજબ ભારત સમગ્ર વિશ્વમાં બ્રાન્ડ બનીને ઉભર્યું છે. હકીકતમાં બિન-ફિલ્મી પરિવારમાંથી આવતા શાહરુખ ખાનનો ઉદય આ અજબ-ગજબ ભારતની રહસ્યમય પદ્ધતિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સામે આવે છે. ભારતમાં કંઈક એવું ઘટયું છે કે તે સમયના કાલ્પનિક કાળખંડ હોવાનો આભાસ કરાવે છે. તેમાં શાહરુખની પરીકથા જેવી સફળતાનું સત્ય તેની કાલ્પનિક હોવાની વાતનું ખંડન કરે છે. કોઈ ફિલ્મસ્ટારનું આ રીતે ધરતી સાથે જોડાયેલા હોવું અને સામાન્ય માણસનું આટલા મોટા ફિલ્મસ્ટાર બનવું આશ્ચર્યજનક છે. આ જ શાહરુખની દંતકથા અને તેની સચ્ચાઈ છે.
એક્સ્ટ્રા શોટ : શાહરુખ ખાન અત્યાર સુધી આઠ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર જીતી ચૂકયો છે, જે એક રેકોર્ડ છે.