સત્યદેવ દુબે માટે આખી દુનિયા રંગચમંચ હતી અને જીવનની દરેક ક્ષણમાં તેઓ નાટક જોતા તથા અનુભવતા હતા.
સત્યદેવ દુબેએ નાટકને આડંબર અને ખ્યાતિથી મુકત કરાવીને સરળ તથા સ્વાભાવિક બનાવ્યાં. રંગમંચ પ્રેમીઓને શીખવાડ્યું કે નાટક માટે વધુ નાણાં નહીં પરંતુ હૃદયમાં માધ્યમ માટે પ્રેમ હોવો જોઈએ.
બિલાસપુરમાં જન્મેલા પંડિત સત્યેન્દ્ર દુબેનું પંચોતેર વર્ષની વયે નિધન થયું છે. તેમણે છેલ્લાં પચાસ વર્ષોમાં લગભગ એક્સો નાટકોનું નિર્દેશન કર્યું છે, એક ડઝન જેટલી ફિલ્મોની પટકથાઓ લખી છે અને બે ડઝન વિદેશી નાટકોનો અનુવાદ પણ કર્યો છે. તેમણે દિલ્હીમાં અલ્કાજીના માર્ગદર્શનમાં ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’માં રંગમંચ વિદ્યાનો અભ્યાસ કર્યો અને આખા દેશમાં એનએસડીનો અર્થ ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ રહ્યો પરંતુ તેમણે પોતાની સખત મહેનત દ્વારા મુંબઈમાં એટલા રંગકર્મી તૈયાર કર્યા કે પૃથ્વી થિયેટરની સંચાલક સંજના કપૂર એમ કહેતી હતી કે ,‘નેશનલ સ્કૂલ ઓફ દુબે’.
સત્યદેવ દુબેએ નાટકને આડંબર અને ખ્યાતિથી મુકત કરાવીને સરળ તથા સ્વાભાવિક બનાવ્યાં. રંગમંચ પ્રેમીઓને શીખવાડ્યું કે નાટક માટે વધુ નાણાં નહીં પરંતુ હૃદયમાં માધ્યમ માટે પ્રેમ હોવો જોઈએ. સત્યદેવ દુબેને મંચન માટે માત્ર બે જ વસ્તુની જરૂર રહેતી હતી, મંચ અને નાટક. આ માર્ગની શોધને કારણે જ દુબેજીએ મધ્યમ વર્ગને પોતાનાં ટાંચા સાધનો બાદ પણ નાટકોમાં સક્રિય કર્યો. સત્યદેવ દુબે રંગમંચની દુનિયામાં પોતાના આક્રોશ માટે જાણીતા હતા, કેમકે તેઓ સડક અને વસતીમાં બોલાતી રંગીન ભાષાનો ઉપયોગ કરતા હતા અને તેમના મોઢામાંથી નીકળતી ગાળો પણ ગઝલ લાગતી હતી. તેમની કાર્યશૈલી પણ વિચિત્ર હતી.
ચિત્રા પાલેકર મધ્યમ વર્ગના અનુભવ વગરનાં કલાકાર હતાં અને દુબેજીએ ‘યયાતી’માં તેમને રાજકુમારીની ભૂમિકા માટે તૈયાર કર્યા. એક દિવસ કોલેજના દરવાજે દુબે ચિત્રાની રાહ જોઈ રહ્યા હતા. દુબેજીએ ચિત્રાને રાજકુમારીની જેમ માથું ઊંચું રાખીને ટટ્ટાર ચાલવાની ફરજ પાડી. આખો રસ્તો દુબેજી તેની સાથે રહ્યા અને સમજાવતા રહ્યા કે ભૂમિકાને અંતરમાં કેવી રીતે ઉતારવી જોઈએ.
હકીકતમાં સત્યદેવ દુબે એકદમ ધૂની સ્વભાવના માણસ હતા અને તેમણે પોતાની જીવનશૈલી, વિચારપ્રક્રિયા અને ભાષામાં ક્યારેય પણ આડંબરને પ્રવેશવા દીધો નહીં. તેમના અનેક ચેલાઓ તેમની અસંયમિત ભાષા અને આકરી શિસ્તને કારણે નારાજ થઈ જતા હતા પરંતુ પાછળથી અનુભવતા કે તેમના ગુરુએ તેમને કેવી રીતે લાભ પહોંચાડ્યો છે. સત્યદેવ દુબે માટે આખી દુનિયા રંગમંચ હતી અને જીવનની દરેક ક્ષણમાં તેઓ નાટક જોતા હતા તથા અનુભવતા હતા. પોતાના નામની જેમ જ તેઓ હંમેશાં સાચું જ બોલતા હતા, પરંતુ ઈશ્વરની જેમ નહીં, માનવીની જેમ.
પૃથ્વી થિયેટરમાં કોઈ નાટકનું મંચન થવાનું હોય અને પૃથ્વી કેફેમાં સત્યદેવ દુબે બેઠા છે તો અનેક દર્શકો તેમને સાંભળતા રહેતા અને નાટક જોવાનું ભૂલી જતા હતા. તેઓ એકલા જ વિવિધ પાત્રોના સંવાદ બોલીને ‘વન મેન શો’ દરરોજ પ્રસ્તુત કરતા હતા. થોડાં વર્ષો અગાઉ મારી તેમની સાથે મુલાકાત થઈ તો તેમણે મને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ એક ફિલ્મ બનાવવાના છે અને મારે તેનું વિતરણ-પ્રદર્શનનું કામ કરવાનું છે. એ દિવસોમાં તેઓ એક પટકથા પર કામ કરી રહ્યા હતા જેનું નામ હતું, ‘રામ નામ સત્ય’.
સત્યદેવ દુબેએ સપ્ટેમ્બરમાં બીમાર પડતાં પહેલાં પોતાના શિષ્યોને જણાવ્યું હતું કે, તેમના મૃત્યુ બાદ રડવું નહીં. આ પડદો પડી જવાથી નાટક પૂરું થતું નથી. તેમના મૃત્યુ બાદ કોઈ આ આદેશનું પાલન કરી શક્યું નહીં કેમકે સૌને આશા હતી કે નાટકોનો આ દુર્વાસા ગુસ્સામાં આવીને મરણપથારીમાંથી ઊભો થઈને સૌને ધમકાવવા લાગશે. પ્રથમ વખત તેમણે નિરાશ કર્યા.
એક્સ્ટ્રા શોટ : પં. સત્યદેવ દુબેને વર્ષ ૧૯૭૮માં શ્યામ બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’ માટે સર્વશ્રેષ્ઠ પટકથા લેખકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.