ધનાઢ્ય ઘરાણાઓમાં એવું પણ બનતું રહે છે કે સંપત્તિની વહેંચણીના સાચા-ખોટા અધિકારોથી બચવા માટે નુકસાન થયું છે એવો દેખાડો કરવામાં આવે છે.
બલદેવરાજ ચોપડા દ્વારા સ્થાપિત બી.આર. ફિલ્મ્સ દેવાળું ફૂંકવાની અણીએ છે. અડધી સદી સુધી સફળ ફિલ્મો અને ‘મહાભારત’ જેવી લોકપ્રિય ધારાવાહિક બનાવનારી કંપનીની આર્થિક સ્થિતિ આટલી ખરાબ થઈ જાય એ વાત જરા વિચિત્ર લાગે છે.
મુંબઈના ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલાં વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બલદેવરાજ ચોપડા દ્વારા સ્થાપિત બી.આર. ફિલ્મ્સ દેવાળું ફૂંકવાની અણીએ છે. ક્યાંક એવું પણ પ્રકાશિત થયું છે કે તેમના બંગલાની માલિક રવિ ચોપડાની પત્ની છે અને તેને વેચી શકાય એમ નથી. આ આર્થિક મુસીબતો કરતાં પણ વધુ દુ:ખદાયક બાબત એ છે કે રવિ ચોપડા છેલ્લા ઘણા સમયથી અસાધ્ય રોગથી પીડાય છે અને અમેરિકા જઈને ઇલાજ પણ કરાવી ચૂક્યા છે.
તેઓ દારૂ, સિગારેટના વ્યસની પણ ન હતા અને નિયમિત કસરત કરતા હતા. અડધી સદી સુધી સફળ ફિલ્મો અને ‘મહાભારત’ જેવી લોકપ્રિય ધારાવાહિક બનાવનારી કંપનીની આર્થિક સ્થિતિ આટલી ખરાબ થઈ જાય એ વાત જરા વિચિત્ર લાગે છે. દાયકાઓ સુધી તેમના રેકોડિ•ગ સ્ટુડિયોમાં બુકિંગ માટે લાઈનો લાગતી હતી.
ત્રણ કે ચાર વર્ષ પહેલાં તેમણે ગોવિંદા અભિનીત એક ફિલ્મ બનાવી હતી, જેને રિલાયન્સે ૨૫ કરોડમાં ખરીદી હતી પરંતુ પ્રદર્શન પહેલાં જ હોલિવૂડની એક કંપનીએ તેમના પર પોતાની નકલ કરવાનો દાવો ઠોકી દીધો અને કેટલાક કરોડનો દંડ ભરવાની પ્રક્રિયા દરમિયાન ગોવિંદાનો બજારભાવ જ નીચે આવી ગયો.
સમયમર્યાદા પૂરી થઈ જતાં રિલાયન્સ પ્રદર્શનની જવાબદારીમાંથી મુકત થઈ ગઈ હતી. આ પ્રયાસમાં કદાચ ત્રીસ કરોડનું નુકસાન થયું છે. આ ફિલ્મ હજુ પણ પ્રદર્શિત થઈ નથી. ૫૦-૬૦ વર્ષથી જામેલી એક સંસ્થાને ત્રીસ કરોડનું નુકસાન ઉઠમણું કરવાની સ્થિતિએ પહોંચાડી દે આ વાત નવાઈ પમાડે એવી છે. એ પણ શક્ય છે કે આ સંકટના સમયમાં જ રવિ ચોપડાને અસાધ્ય રોગ લાગ્યો હશે.
બી.આર. ચોપડાએ એક ફિલ્મ પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયા અને ધીમે-ધીમે તેમણે સામાજિક જવાબદારીવાળી ફિલ્મો માટે નામ અને દામ બંને કમાયા. તેમણે પોતાના બંને નાના ભાઈઓને પુત્ર જેવો પ્રેમ અને સહારો આપ્યો. એક ભાઈ કેમેરામેન બન્યો અને નાનો યશ ચોપડા નિર્દેશક બન્યો. યશ ચોપડાએ પોતાના ભાઈની સંસ્થા માટે અનેક સફળ ફિલ્મો બનાવી છે.
પારિવારિક ઝઘડો થતાં યશ ચોપડાએ ખુદની નિર્માણ સંસ્થા શરૂ કરી હતી. બલદેવરાજના નજીકના લોકો જણાવે છે કે આ વાતથી તેમને એટલો આઘાત લાગ્યો કે તેમને રોજ રાત્રે ઊંઘની ગોળીઓ ગળવી પડતી હતી. બીજા કેટલાક લોકોનું એવું કહેવું છે કે, સમાજવાદી ફિલ્મો બનાવનારા બલદેવરાજ આ મુદ્દે સામંતવાદી હતા અને તેઓ પોતાના સિંહાસન પર પુત્ર રવિ ચોપડાને જોવા માગતા હતા.
આજે પણ યશ ચોપડાના મનમાં પોતાના ભાઈ અને ગુરુ પ્રત્યે સન્માન છે. યશ ચોપડા અને તેમના પુત્ર આદિત્યએ પોતાની પ્રતિભા તથા મહેનતને બળે એક સામ્રાજ્ય ઊભું કર્યું છે અને તેમના માટે બીઆર કંપનીના નુકસાનની ભરપાઈ કરવી કે તેમની સંપત્તિ ખરીદવીએ સામાન્ય બાબત છે.
એ પણ શક્ય છે કે યશ ચોપડા પોતાના ભાઈના પરિવારની આંતરિક બાબતોમાં પડવા માગતા ન હોય, કેમ કે મોટા ભાઈની પુત્રીઓ અને પુત્રને તેમણે રમાડ્યાં છે. ધનાઢ્ય ઘરાણાઓમાં એવું પણ બનતું રહે છે કે સંપત્તિની વહેંચણીના સાચા-ખોટા અધિકારોથી બચવા માટે નુકસાન થયું છે એવો દેખાડો કરવામાં આવે છે. ધનાઢ્ય પરિવારોમાં સંપત્તિને લઈને જાત-જાતના કાવાદાવા થતા હોય છે. આજે બે વાતો દુ:ખી કરે છે - રવિ ચોપડાની બીમારી અને તેમના પિતાની સાઈઠ વર્ષ જુની કંપની પર આર્થિક સંકટનાં કાળાં વાદળો. જુની સંસ્થાઓનું બંધ થવું દુ:ખની વાત છે.
એક્સ્ટ્રા શોટ : બી.આર. ચોપડાને ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન માટે વર્ષ ૧૯૯૮માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.