ફિલ્મજગતને સમજવામાં મહત્વની મદદ સિનેમાઘરોમાં દર્શકો તરફથી મળતી પ્રતિક્રિયા દ્વારા મળે છે, જેમાં સમાજમાં પરિવર્તનના સંકેત મળે છે.
લોકપ્રિય વિચાર અને પ્રચાર દ્વારા ઉત્પન્ન થતી લહેરો પહેલાં તો આપણને કિનારાના કઠોર પથ્થર પર ફેંકી દે છે. છબીઓના ભ્રમથી સ્વતંત્ર થવું સહેલું નથી હોતું.
દૈનિક ભાસ્કરમાં આજે આ કોલમ ૧૭મા વર્ષમાં પ્રવેશી રહી છે. ભાસ્કર જૂથની સાથે જ વાચકોનો આભાર માનવાનો સમય છે. ફિલ્મો પર દૈનિક કોલમ માટેનો આ વિચાર ભાસ્કર જૂથના એમ.ડી. સુધીર અગ્રવાલજીનો હતો અને ગ્રુપ એડિટર શ્રવણ ગર્ગે સૂચન કર્યું હતું કે મનોરંજનની સાથે માહિતી પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ. મને હતું કે થોડા દિવસોમાં હું થાકી જઈશ, પરંતુ વાચકોને જેટલું પિરસતો ગયો, તેનાથી વધુ હું પામતો ગયો અને ધીમે ધીમે પૂર્ણ થતો ગયો. શરૂઆતમાં મેં કોલમ ઘડી અને પછી તે જ મને ઘડતી રહી. સર્જનાત્મકતાનો જાદુ આ રીતે જ કામ કરે છે. કોણ, કઈ રીતે, કોને રચી રહ્યું છે, તેની ખબર જ નથી પડતી. આ એકમેકમાં પરોવાઈ જવાનો પ્રયાસ છે. આ કોલમે મને વિશાળ પરિવાર આપ્યો છે.
સિનેમાના બહાને ભારતને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિશામાં સૌથી સાર્થક પ્રયાસ પં.નહેરુની ‘ડસ્કિવરી ઓફ ઇન્ડિયા’ છે, જેના પરથી શ્યામ બેનેગલે દૂરદર્શન માટે મહાન સિરિયલ બનાવી છે. તેમણે નહેરુજીની એક વાતને રેખાંકિત કરવા માટે મૂળ રચનાના એક દાયકા બાદ રચાયેલ ધર્મવીર ભારતીના ‘અંધા યુગ’ના અમુક અંશોનો ઉપયોગ કર્યો છે. આ એવું માધ્યમ છે જેમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેમાં મૂળ ભાષાની પંડિતાઈ શુદ્ધતાની જરૂર રહેતી નથી.
આ કોલમ લખતાં લખતાં આવી અનેક વાતો શીખવા મળી છે. ક્યારેક આ પ્રયાસમાં બીજા લોકોના લેખો પણ મદદરૂપ થયા છે. ઉદાહરણ તરીકે દેવીપ્રસાદ મિશ્રાના એક લેખે તો ઈંગમર બર્ગમનની ‘વાઈલ્ડ સ્ટ્રા‹બેરીઝ’ સમજવામાં મદદ કરી હતી. તે લખે છે કે ‘એક એવી કથા ચાલી રહી છે જે મનુષ્યજીવનની કથા છે, જેને શરૂઆત, મધ્ય અને અંત હોય છે. આ યાત્રા અમરતા અને જીવનની મર્યાદાની વચ્ચેનો સંવાદ બની જાય છે’. આ કોલમ પણ મારી યાત્રા છે અને સહયાત્રી છે અસંખ્ય વાચકો.
ફિલ્મજગતને સમજવામાં મહત્વની મદદ સિનેમાઘરોમાં દર્શકો તરફથી મળતી પ્રતિક્રિયા દ્વારા મળે છે અને સૌથી મોટી વાત એ છે કે દર્શકોની પ્રતિક્રિયાથી સમાજમાં પરિવર્તનના સંકેત મળે છે. યુવાનોની બદલાતી રુચિનો આભાસ થાય છે. ટેક્નોલોજીની ત્વરિત વસ્તુઓએ જીવનને ક્ષણિક ઉત્તેજનામાં બાંધી દીધું છે. સિનેમાશાસ્ત્ર શીખવતા કોઈ પણ વિશ્વવિદ્યાલયએ દર્શકોની પ્રતિક્રિયાના અભ્યાસ અંગે પહેલ કરી નથી. આ રીતે વાચકોની પ્રતિક્રિયા જાણવાની તક મળે છે.
લખતા સમયે શરૂઆતથી જ પોતાના અર્દશ્ય વાચકોને સામે બેઠેલા અનુભવું છું. તેઓ મને ઉત્સાહિત કરે છે, તો વળી કેટલીક વાર અસંમતિ પણ દર્શાવે છે. તેમનામાં સ્વતંત્ર વિચારસરણી વિકસિત થઈ શકે, તેવો મારો પ્રયાસ રહે છે. લોકપ્રિય વિચાર અને પ્રચાર દ્વારા ઉત્પન્ન થતી લહેરો પહેલા તો આપણને કિનારાના કઠોર પથ્થર પર ફેંકી દે છે. છબીઓના ભ્રમથી સ્વતંત્ર થવું સહેલું નથી હોતું. ભારતમાં કોઈ રાજકીય સિદ્ધાંતો નથી.
અવિશ્વસનીયતાભરી વિસંગતિઓ જોઈને ભ્રમ થાય છે કે ભારત એક કાલ્પનિક ફિલ્મ છે. ક્યારેક જણાતું હતું કે ભારત શ્રીગણેશના મગજમાંથી ઉદ્દભવેલો વિચાર છે અને ક્યારેક જણાય છે કે વિષ્ણુનું સ્વપ્ન છે અથવા પેટે પાટા બાંધીને સૂઈ જતા ગરીબનું બિહામણું સપનું છે. આ રહસ્યમય દેશને સમજવાના પ્રયાસમાં વાચકોની ભાગીદારી માટે હું તેમનો આભાર માનું છું અને અનેક અલોકપ્રિય વિચારો પ્રગટ કરવા બદલ ક્ષમા યાચું છું.
એક્સ્ટ્રા શોટ : ગુલઝારે બોલિવૂડમાં ગીતકાર તરીકે પોતાની યાત્રા વર્ષ ૧૯૬૩માં પ્રદર્શિત ફિલ્મ ‘બંદિની’થી કરી હતી.