ટૂંક સમયમાં જ આધુનિક માગ મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમો પર વધુ ભાર મુકાવા લાગશે. આ અભ્યાસક્રમ એવા હશે જે કારકિર્દીના વધતા જતા વિકલ્પોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા હશે.
જો ભારતે પોતાની યુવાશક્તિની સમગ્ર તાકાતનો ઉપયોગ કરવો હોય તો તેણે બે લાખ નવી સ્કૂલો, ૫૦ હજાર નવી કોલેજો અને એક હજાર નવી યુનિવર્સિટી-ઓની જરૂર પડશે.
આજે ભારત વિરાટ આર્થિક અને રાજકીય પરિવર્તનના આરે આવીને ઊભું છે. છેલ્લા કેટલાક સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આર્થિક-રાજકીય ઊથલપાથલ જોવા મળી છે, તેને જોતાં ‘તેજ ગતિએ આગળ વધતી અર્થવ્યવસ્થા’ અને ‘આગામી મહાશક્તિ’ જેવી ઉપાધિઓને સાચવવી ભારત માટે સરળ રહ્યું નથી. આમ છતાં ભારત પાસે અપેક્ષા રાખવામાં આવે છે, જેનું કારણ તેનો યુવા વર્ગ છે.
ભારતના ૧.૨ અબજ લોકોમાં અડધા લોકો લગભગ ૨૫ વર્ષથી ઓછી ઉંમરના છે, જેને કારણે જનસંસાધનની દ્રષ્ટિએ તે બીજા દેશોની સરખામણીએ આગળ નીકળી જાય છે. આંકડા દર્શાવે છે કે એક દાયકાની અંદર ભારત પાસે અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીએ યુવાનોની વિશાળ વસતી હશે. પરંતુ આટલા યુવાનોને શિક્ષિણ આપવાના અને તેમને કાર્યકુશળ બનાવવા માટે આપણી પાસે જરૂરી શૈક્ષણિક સંસ્થાઓ નથી. જો ભારતે પોતાની યુવાશક્તિની સમગ્ર તાકાતનો ઉપયોગ કરવો હોય તો તેણે બે લાખ નવી સ્કૂલો, ૫૦ હજાર નવી કોલેજો અને એક હજાર નવી યુનિવર્સિટીઓની જરૂર પડશે.
શિક્ષણમાં રોકાણ અને તેનાં પરિણામ
એક બાજુ શૈક્ષણિક સંસ્થાઓની ઓછી સંખ્યા મોટી સમસ્યા છે તો બીજી બાજુ તેમની ગુણવત્તા પણ સૌથી મહત્વનો સવાલ છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે આપણું આર્થિક પરિર્દશ્ય બદલાઈ રહ્યું છે પરંતુ શૈક્ષણિક તંત્ર તો જુની ઢબે જ ચાલી રહ્યું છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં જો ઉપયોગી અને પ્રાસંગિક પરિણામ ન મળે તો તેમાં રોકવામાં આવેલાં બધાં જ નાણાં બરબાદ થઈ શકે છે. આપણે ત્યાં અનેક સ્નાતકોને તેને નોકરી આપનારને ત્યાં ‘લાયક’ સાબિત થવામાં જેટલો સમય લાગે છે તે આ વાતનું પ્રમાણ છે.
મને લાગે છે કે ભારતમાં પણ ટૂંક સમયમાં જ આધુનિક માગ મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમો પર વધુ ભાર મુકાવા લાગશે. આ અભ્યાસક્રમ એવા હશે જે કારકિર્દીના વધતા જતા વિકલ્પોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા હશે. ઔપચારિક અને વ્યવસાયિક શિક્ષણને ભેગા કરવાના ભારત સરકારના પ્રયાસોની સાથે જ નેશનલ વોકેશનલ એજ્યુકેશન કવોલિફિકેશન ફ્રેમવર્ક (એનવીઈકયુએફ)ને રજુ કરવાની સાથે કૌશલ્યનિર્માણ તથા વ્યવસાયિક શિક્ષણ સંબંધિત અનેક અભ્યાસક્રમો માટે માર્ગ બની જશે.
કૌશલ્ય અને સેક્ટર કેન્દ્રિત કોર્સ
મીડિયા, મનોરંજન, ફેશન, હાઈએન્ડ રિટેલ જેવાં વિકસતાં ક્ષેત્રો માટે વિશેષ અભ્યાસક્રમોની જરૂર છે. ભારતીય કોર્પોરેટ પણ તેના મહત્વને સમજી રહ્યું છે. મને લાગે છે કે આગામી દિવસોમાં આપણે વધુ ને વધુ સેક્ટર કેન્દ્રિત અભ્યાસક્રમોના પરિર્દશ્યને વિકસતું જોઈશું. ઉદાહરણ માટે આઈઆઈએમે ઊર્જા મેનેજમેન્ટ, શૈક્ષણિક સંસ્થાનું મેનેજમેન્ટ, આરોગ્ય મેનેજમેન્ટ અને કૃષિ મેનેજમેન્ટ જેવા નવા અભ્યાસક્રમ રજુ કરવાનું નક્કી કર્યું છે. આ જ રીતે ઈગ્નુએ પણ કૃષિ, શિક્ષણ, બાગકામ જેવા વિષયો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ શરૂ કર્યા છે.
વિદેશી યુનિવર્સિટી પાસેથી બોધપાઠ
વિદેશી યુનિવર્સિટીઓ સાથે સરખામણી કરતાં જાણવા મળશે કે નવા અભ્યાસક્રમનું સર્જન કરવામાં આપણે ઘણા પાછળ છીએ. અમેરિકાની કોલંબિયા બિઝનેસ સ્કૂલ અને બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં સામાજિક-ઉધ્યમ સાથે સંબંધિત અભ્યાસક્રમ બનાવી દેવાયા છે અને હેલ્થકેરમાં પણ એમબીએ અભ્યાસક્રમની શરૂઆત કરાઈ છે. માર્કેટિંગ, કળા, સંસ્કૃતિ, મનોરંજન સાથે સંકળાયેલા અભ્યાસક્રમ પણ લાંબા સમયથી ભણાવાઈ રહ્યા છે.
ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યાવસાયિક તૈયાર કરો
આપણે આઈપીએલની સફળતા પર ધ્યાન આપવું જોઈએ. આઈપીએલે ક્રિકેટની સાથે જ તેનાં અન્ય પાસાઓ પ્રત્યે પણ વ્યાવસાયિક હિતોને પ્રેરિત કર્યાં છે. પરંતુ જો આપણે ક્રિકેટમાં ઉચ્ચ ગુણવત્તાના વ્યાવસાયિક ખેલાડીઓ તૈયાર નહીં કરીએ તો વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓની મદદ લેવા માટે મજબૂર થવું પડશે. આ વાત માત્ર રમતગમત જ નહીં પરંતું બીજાં તમામ ક્ષેત્રો પર લાગુ પડે છે.
શૈક્ષણિક પરિસરોનું વૈશ્વિકીકરણ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે એ પણ જોયું છે કે ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓએ વિદેશોમાં પોતાના કેમ્પસની સ્થાપના કરી છે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓની દક્ષિણ એશિયામાં ઐતિહાસિક સ્વરૂપે બ્રાન્ડ ઇક્વિટી રહી છે. આઈઆઈએમ ઉપરાંત મનિપાલ અને એમિટી જેવાં શૈક્ષણિક ગૃહ પહેલાંથી જ વિદેશોમાં પોતાની હાજરી સ્થાપિત કરી ચૂક્યાં છે. એવી અપેક્ષા છે કે આ જ રીતે બીજી પણ અનેક સંસ્થાઓ વિદેશોમાં, ખાસ કરીને આફ્રિકા અને ખાડી દેશો તરફ પ્રયાણ કરશે. વિદેશી યુનિવર્સિટીઓ પણ ભારતમાં પોતાની શાખાઓ સ્થાપવા માટે પ્રયાસ કરી રહી છે.
વ્યવસાયલક્ષી કાર્યક્રમોમાં વધતો રસ
ભારતીય કોર્પોરેટે પણ પોતાના કર્મચારીઓમાં રહેલાં ‘સ્કિલ ગેપ’ને શોધીને વ્યવસાયલક્ષી વિકાસ અભ્યાસક્રમો તરફ રસ દેખાડવાનું શરૂ કર્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ એક મોટી તક છે અને વ્યવહાર કુશળતાથી માંડીને ક્રિયાશીલતા સુધીના સંબંધિત અભ્યાસક્રમ રજુ કરી શકાય એમ છે. જોકે એ વાતની સંભાવના ઘણી ઓછી છે કે વિદ્યાર્થીઓની પ્રાથમિકતા બદલાશે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, મેનેજમેન્ટ, કાયદો તથા એન્જિનિયરિંગ જેવા વિષયો અત્યારે પણ તેમની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
સ્કૂલના સ્તરેથી શરૂઆત
સીબીએસઈમાં પણ વ્યાવસાયિક અભ્યાસક્રમો તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સીબીએસઈએ ગયા વર્ષે જ ધોરણ- ૧૧,૧૨ માટે જિયોસ્પેશિયલ ટેક્નિક, ફૂડ પ્રોડક્શન (હેસ્પિટાલિટી અને ટુરિઝમ), ફૂડ એન્ડ બેવરેજિસ સર્વિસીસ, માસ મીડિયા સ્ટડીઝ તથા મીડિયા પ્રોડક્શન જેવા નવા અભ્યાસક્રમ શરૂ કર્યા છે. જો આપણે યુવાનોમાં છુપાયેલી સંભાવનાઓને યોગ્ય દિશા આપી શકીશું તો આ વર્ષ ભારતીય શિક્ષણ માટે એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.