આજે કિસાન દિવસ પ્રસંગે ખેડૂત ચિંતન એક બાજુ ખેતઉત્પાદન વધારવાની વાતો થાય છે, તો બીજી બાજુ પોષણક્ષમ ભાવોના અભાવે ઉત્પાદિત કૃષિ પેદાશો રોડ પર ફેંકી દેવી પડે છે.
સરકારને પેટ્રોલિયમ કંપનીઓ, એરલાઇન્સ કંપનીઓની ખોટની જેટલી ચિંતા છે તેટલી ખેતીની નથી. ખેડૂત માત્ર કુદરત કે સરકાર સામે નજર રાખીને હાથ જોડીને બેસી રહેશે તો હવે ચાલવાનું નથી. ખેતપેદાશો પર આધારિત નાના અને ગૃહઉદ્યોગો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
પંજાબ અને ગુજરાતના ડીસા પંથકમાં ખેડૂતો બટાટા રસ્તા પર ફેંકે છે, તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં ૨૦ R કિલો અને ગુજરાતના અન્ય શહેરોમાં ૧૦થી ૧૨ R કિલો વેચાય છે. આવી જ કરુણ સ્થિતિ કપાસ, ડાંગર, ડુંગળી, મગફળી અને શેરડી પકવતા ખેડૂતોની છે. એક બાજુ ખેતઉત્પાદન વધારવાની વાતો થાય છે, તો બીજી બાજુ પોષણક્ષમ ભાવોના અભાવે ઉત્પાદિત કૃષિ પેદાશો રોડ પર ફેંકી દેવી પડે છે.
ખેડૂતોની ઉપજ બજારમાં વેચાઈ ગયા પછી તેના ભાવ બજારમાં અનેકગણા વધી જાય છે. ઉત્તરપ્રદેશમાં ખેડૂતો શેરડી બાળી મૂકે યા નદીમાં નાખી દે છે, તો બીજી બાજુ ખાંડની મિલો બંધ છે અને ક્યારેક ખાંડ આયાત કરવાના દહાડા આવે છે. મગફળી રસ્તામાં વેચાય છે અને પછી સિંગતેલના ભાવ ભડકે બળે છે. એક મણે R હજાર જેટલો ઉત્પાદન ખર્ચ આવે છે તેવા કપાસના ભાવ તળિયે ગયા છે. આવી જ સ્થિતિ ખેડૂતોને વેચવાના સમયે ડુંગળી અને ડાંગરની પણ હોય છે.
દૂધ કરતાં દારૂ મોંઘો છે અને દૂધ ઉત્પાદન કરતાં દારૂ વેચતો બુટલેગર વધુ કમાય છે. દૂધ કરતાં મિનરલ વોટરની બોટલના ભાવ વધુ છે. આંધ્રપ્રદેશના કેટલાક ભાગમાં ગયા વર્ષે ઉત્પાદન વધવાથી ભાવો ન મળતાં ખેડૂતોએ આ વર્ષે ખેતી કરવામાં રજા પાળી છે. છેલ્લાં ૧૫ વર્ષમાં દેશમાં દોઢ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
દેશમાં દર મહિને ૨૭ ખેડૂતો જીવન ટૂંકાવે છે. વીજળી, પાણી, બિયારણ અને ખાતરોના ભાવો અનેકગણા વધી જતાં ખેતીનું ઉત્પાદનખર્ચ સતત વધતું જાય છે તેના પ્રમાણમાં ભાવો વધતા નથી. આમ ખેતી ખોટનો વેપલો થતાં ખેડૂતો અનાજ-કઠોળને બદલે રોકડિયા પાકો તરફ વળ્યા છે, યા જમીનો વેચવા માંડ્યા છે.
ખેતી માટે પૂરતી મજૂરી આપવા છતાં ખેતમજૂરોની અછત વર્તાય છે. આમ ખેડૂત ભાવો ન મળવાથી અને ઉપભોકતા-વપરાશકાર મોંઘવારીને કારણે દુ:ખી છે. બીજી બાજુ સરકાર ગરીબોને અન્નનો અધિકાર આપવા જઈ રહી છે. જો ખેડૂતો અનાજ તરફથી મોં ફેરવી લેશે તો આયાતી ખાદ્યાન્નથી દેશની આર્થિક કમર તૂટી જશે. ખાનારાની સાથે સાથે પકવનારાની પણ કાળજી રખાય તે જરૂરી છે.
દુભૉગ્યે આઝાદી પછી આપણો અગ્રતાક્રમ સાવ ખોટો ચાલ્યો છે. સરકારને પેટ્રોલિયમ કંપનીઓ, એરલાઇન્સ કંપનીઓની ખોટની જેટલી ચિંતા છે તેટલી ખેતીની નથી. વિમાનઘરો અને રમતો જાણે પ્રજાજીવન પર હાવી થઈ ગયાં છે. ખેતી માટે જો પૂરતી સંગ્રહની વ્યવસ્થા અને વાહનવ્યવહારની સસ્તી સુવિધા હોય તોય ખેડૂતોની બરબાદી અટકી શકે. કમનસીબે આઝાદીના છ દાયકા પછી પણ સંગ્રહ માટે પૂરતાં ગોદામો નથી અને હજારો ટન ખેતપેદાશો સડી જાય છે.
આ સ્થિતિમાં ખેડૂત માત્ર કુદરત કે સરકાર સામે નજર રાખીને હાથ જોડીને બેસી રહેશે તો હવે ચાલવાનું નથી. હમણાં હું આંધ્રપ્રદેશથી ટ્રેનમાં આવતો હતો ત્યારે મહારાષ્ટ્રના ખેડૂતનો ભેટો થયો. તે થ્રેસર ખરીદવા ગુજરાત આવતો હતો અને શેરડીની ખેતી કરતો હતો. મેં કહ્યું કે, શેરડીની ખેતીનો ખોટનો વેપલો છે. તમે શું કહો છો? તેણે કહ્યું કે, મેં ખેતરમાં ગોળ બનાવવાનું શરૂ કર્યું છે અને શેરડીને બદલે ગોળ વેચું છું.
આપણે ત્યાં શેરડી માટે ખાંડની સહકારી મિલો પણ ચાલે છે. બટાકા રસ્તામાં ફેંકી દેવાને બદલે થોડા ખેડૂતોએ સાથે મળીને વાહન કરીને જ્યાં ૧૦ રૂપિયે કિલો વેચાય છે ત્યાં વેચવા જવું જોઈએ અને થોડાં સસ્તાં વેચીને બજારતંત્ર શીખવું જોઈએ. સ્થાનિક ખેડૂતો સાથે મળીને બટાકાની વેફર બનાવીને વધુ કમાઈ શકે છે. તેમાં ખાસ મોટું કૌશલ્ય કે મૂડીની જરૂર નથી. લોકોએ પણ પેકિંગની વાસી વેફરને બદલે સ્થાનિક વેફર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
બહુરાષ્ટ્રીય કંપનીઓની મોંઘી વેફર કરતાં ખેડૂતો સહકારી મંડળી દ્વારા સસ્તી વેફર બનાવી શકે. ટામેટાં વેચવાને બદલે સોસ બનાવીને વેચતાં શીખવું જોઈએ. ઇસબગુલ કે લીંબુનો પાઉડર બનાવી શકે. કચ્છનો એક ખેડૂત ચીકુની વેફરની નિકાસ કરે છે. કેટલાક ખેડૂતો કપાસને બદલે ટી શર્ટ બનાવી વેચે છે. ક્યાંક આદિવાસી ખેડૂતો સહકારી કરે છે. ગુજરાતમાં તાલુકે-તાલુકે કપાસની સ્પિનિંગ મિલો કે જિન હતાં જે સ્થાનિક કપાસ ખરીદી લેતાં. આજે લગભગ બંધ હાલતમાં છે.
ગુજરાતમાં દૂધ અને બેન્કિંગ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ વિકસી છે તેને ખેતપેદાશોના વેચાણના ક્ષેત્રે પણ વિસ્તારવાની જરૂર છે. આમ ખેડૂતોએ જમીનો વેચવાને બદલે ખેતપેદાશોના માર્કેટિંગ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકારે સમજવું પડશે કે કાર કે સિમેન્ટથી લોકોનાં પેટ ભરાવાનાં નથી પણ ભૂખ ભાંગવા ખેતીને પ્રોત્સાહન આપવું પડશે. કેન્દ્ર સરકારમાં કૃષિનું એક અલગ બજેટ હોય તે તેના વિકાસ માટે અતિ આવશ્યક છે.
આજે તો ખેડૂતો, દલિતો, લઘુમતીઓ વગેરે માણસ કરતાં મત વધુ છે. રાજનેતાઓ ખેતીમાં પોતાનું રાજ્ય નંબર, મોડેલ સ્ટેટ યા પોતાના રાજ્યના ખેડૂતો મારુતિમાં ફરે છે તેવો જશ લેતાં થાકતા નથી, તો બીજી બાજુ હમણાં રાજ્યસભામાં ખેડૂતોની દુર્દશાની ચર્ચા ટાણે ગૃહમાં માંડ ૫૦ જેટલા સભ્યો હાજર હતા જે બતાવે છે કે ખેડૂતો અંગે રાજકીય પક્ષોની ચિંતા કેટલી કોરી, ખોરી અને ખોટી છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે અપના હાથ જગન્નાથની નીતિ અપનાવીને ખેતપેદાશો પર આધારિત નાના અને ગૃહઉદ્યોગો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં જ ખેડૂતોનું શ્રેય સમાયેલું છે.