આતંકવાદને રાષ્ટ્રીય હિત કે બંધારણ મૂલ્યો કરતાં રાજકીય દ્રષ્ટિએ વધુ જોવાય છે. આતંકવાદીઓની હિંમત અને વ્યૂહરચના કરતાં શાસકોની નિર્બળતા વધુ મજબૂત છે.
આતંકવાદી ઘટના પછી લાંબી કાનૂની પ્રક્રિયા અને ચુકાદા બાદ આતંકવાદીઓને સજા કરવામાં એટલો બધો અસહ્ય વિલંબ થાય છે કે લોકો ઘટના જ ભૂલી જાય છે અને ગુનેગારો માટે ઘૃણાને બદલે સંવેદના પ્રગટ કરતા થઈ જાય છે.
રાજધાની દિલ્હીની વડી અદાલત આગળ થયેલા વિસ્ફોટમાં ૧૨ જેટલા નિર્દોષ માનવીએ જાન ગુમાવતા ભારત ફરી લોહીલુહાણ થયું છે. વિશ્વમાં આતંકવાદી હુમલાને કારણે ભારત સૌથી વધુ મોતનો ભોગ બન્યું છે, અને બનતું જાય છે. ભારતમાં લોકશાહીમાં પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ વિનાની રાજશક્તિ હોવાથી આતંકી હુમલાનું પુનરાવર્તન થાય છે.
અમેરિકાએ પોતાના વિશ્વવ્યાપાર કેન્દ્ર પર થયેલા હુમલાનો બદલો આતંકી મોભી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં તેના ઘરમાં ઘૂસીને મારીને લીધો. અમેરિકામાં એક હુમલા બાદ હજુ સુધી બીજો હુમલો થયો નથી, તેવી જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા દેશમાં ઊભી કરી છે. જ્યારે આપણે ત્યાં આપણા ખર્ચે ફાંસીના આરોપી આતંકવાદીઓને સજા કરવામાં અક્ષમ્ય વિલંબ થાય છે એટલે તેમને છોડાવવા વધુ હુમલા થાય છે.
આપણા દેશનું દુભૉગ્ય એ છે કે અહીં માણસની માણસ તરીકે નહીં પણ મતદાર તરીકે ઓળખ અને મહત્વ છે. એટલે તમામ સમસ્યાઓને રાજકીય લાભાલાભને ધ્યાનમાં રાખીને જોવાય છે. પરિણામે સમસ્યા વધુ વકરે છે. એમાંયે આતંકવાદને બહુમતી-લઘુમતી આતંક તરીકે જોવામાં આવે છે. પરિણામે મૂળ સમસ્યા બાજુ પર રહી જાય છે અને દેશમાં બીજી અનેક નવી સમસ્યાઓ પેદા થાય છે. જેટલો વિચાર અને ચિંતા આપણા દેશમાં આતંકવાદીઓના માનવ અધિકાર માટે કરવામાં આવે છે તેટલો તેનો ભોગ બનેલા નિર્દોષ લોકોના અધિકાર અંગે ભાગ્યે જ કરાય છે.
આતંકી આવી ઘટના પછી લાંબી કાનૂની પ્રક્રિયા અને ચુકાદા બાદ આતંકવાદીઓને સજા કરવામાં એટલો બધો અસહ્ય વિલંબ થાય છે કે લોકો ઘટના જ ભૂલી જાય છે અને ગુનેગારો માટે ઘૃણાને બદલે સંવેદના પ્રગટ કરતા થઈ જાય છે. સૌથી કમનસીબી તો એ છે કે ન્યાયની છેલ્લી પ્રક્રિયા રાષ્ટ્રપતિને દયાની અરજીની છે.
લોકશાહી છે એટલે આતંકવાદીઓ પણ આવી દયાની અરજી કરી શકે છે. બીજી બાજુ કોઈ રાજ્યની વિધાનસભા દેશના વડાપ્રધાનના હત્યારાઓને ફાંસીની સજા માફ કરવા સવૉનુમતે ઠરાવ પસાર કરે છે. ત્યારે આપણી પ્રાદેશિક સંકુચિતતા, મતબેન્કની રાજનીતિ, લોકશાહી અને આતંકવાદ સામે લડવાની ખોખલી નીતિની દયા આવે છે. ઘટના અહીં પતતી નથી.
રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવ્યા પછી અરજીના નિકાલમાં ૧૧ વર્ષ જેટલો વિલંબ થયો હોવાના કારણસર રાહત મેળવવા અદાલતનો આશરો લેવામાં આવે છે. જો અદાલત આ દલીલ માન્ય રાખે તો કાલે સંસદના હુમલાના આરોપી અફઝલ અને મુંબઈના હુમલાના આરોપી કસાબને પણ આનો લાભ મળી શકે.
તામિલનાડુની વિધાનસભાના ઠરાવ બાદ જમ્મુ-કાશ્મીરના લોકશાહીમાં ચૂંટાયેલા મુખ્યમંત્રીએ કહ્યું કે, તામિલનાડુ વિધાનસભા જેવો ઠરાવ સંસદના આરોપી અફઝલ અંગે જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ પસાર કર્યો હોત તો આવો શાંત પ્રતિભાવ મળત? કાશ્મીરમાં પૂર્વમુખ્યમંત્રી સૈયદ અને તેમનાં પુત્રી, હુરિયત અને હવે ઉમર અબ્દુલ્લા બધા જ એક જ ભાષા બોલે છે. આવી જ વાત દિલ્હીના આતંકી હુમલામાં એક શીખ આરોપીને ફાંસીની સજા થઈ છે તે માફ કરવા પંજાબ વિધાનસભામાં ઠરાવ કરવા શીખ સંગઠનોનું સરકાર પર દબાણ વધી રહ્યું છે.
ધર્મ અને પ્રાદેશિક સંકુચિતતાના ઓઠા હેઠળ આતંકવાદીઓની ફાંસી લટકી પડશે તો દેશમાં આતંકવાદ નાબૂદ થવાને બદલે વધુ વકરશે સજા કરવી હોય તો તાકીદે કરવી જોઈએ અને છોડવા હોય તો પણ તાકીદે છોડવા જોઈએ. રાજીવ ગાંધીની હત્યાને ૨૦ વર્ષ થયાં અને ૧૩ વર્ષે ચુકાદો આવ્યો જ્યારે ૧૧ વર્ષ સુધી દયાની અરજી અટકી પડી. દયાની અરજીમાં રાષ્ટ્રપતિની મંજૂરી તો ટેકનિકલ મુદ્દો છે. વાસ્તવમાં નિર્ણય તો કેન્દ્ર સરકારે લેવાનો હોય છે. આવી અરજીઓના નિકાલની પણ સમયમર્યાદા નક્કી થવી જોઈએ.
દેશની ૮૦ ટકા પ્રજાને રોજના R ૨૦ પણ મળતા નથી જ્યારે આતંકવાદીઓ પાછળ મહેમાનની પેઠે તેમની સુરક્ષા અને અન્ય સગવડોનો દેશને કરોડોનો ખર્ચ થાય છે. એ જ રીતે સંસદ પરના હુમલાનો અને મુંબઈ ધડાકાનો આરોપી ઘણા સમયથી ફાંસીની રાહ જુએ છે. આતંકવાદને રાષ્ટ્રીય હિત કે બંધારણ મૂલ્યો કરતાં રાજકીય દ્રષ્ટિએ વધુ જોવાય છે. એવો સમય આવશે કે કોઈ રાજ્યનો ગુનેગારને બીજા રાજ્યમાં ફાંસી થશે તો તે જે રાજ્યનો હશે ત્યાંની વિધાનસભા તેની મુક્તિ માટે ઠરાવ કરશે.
આતંકવાદીઓની ચાલમાં હવે પ્રજા ફસાતી નથી કે ઉશ્કેરાતી નથી પણ નેતાઓની નબળી ઇચ્છાશક્તિ હવે જવાબદાર છે. આતંકવાદ હોય કે ગુનાખોરી તેને ડામવા માટે સરદાર પટેલ જેવા ગૃહમંત્રીનો સિદ્ધાંત જરૂરી છે કે ગુંડો કે આરોપી હિંદુ હોય કે મુસ્લિમ તેનો કોઈ ધર્મ નથી. ગુનો એ ગુનો જ છે અને તેની સાથે અપરાધી જેવો જ વ્યવહાર થવો જોઈએ. આવી નીતિ નહીં અપનાવાય તો આતંકની પીડા, વેદના, ભય, આક્રોશ અને નેતાઓના દંભની પ્રક્રિયા સદંતર ચાલ્યા જ કરશે. આતંકવાદીઓની હિંમત અને વ્યૂહરચના કરતાં શાસકોની નિર્બળતા વધુ મજબૂત છે.