મુખ્યમંત્રીના ઉપવાસ સદભાવ, વિકાસ અને શાંતિ માટે હતા. જોકે આજે ગુજરાતમાં ત્રણેયમાંથી એકેય માથે જોખમ નથી. કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉપવાસ સામે સત્યાગ્રહ સ્વરૂપના હતા.
સત્તા અને વિપક્ષ બંને માટે ૨૦૧૨ની આગામી વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ સમા ઉપવાસ હતા. મુખ્યમંત્રી સફળતાપૂર્વક ૨૦૧૨ની વિધાનસભાની વેતરણી પાર કરીને ૨૦૧૪માં રાષ્ટ્રીય રાજનીતિમાં પક્ષ પ્રમુખ કે વડાપ્રધાનપદ સુધી પહોંચવા માગે છે.
ગુજરાતમાં પતંગોત્સવ, પ્રવેશોત્સવ, રણોત્સવ અને કૃષિ મહોત્સવ જેવા અનેક ઉત્સવો ઉત્સવપ્રેમી મુખ્યમંત્રી વર્ષ દરમિયાન ઉજવતા રહે છે તેમ રંગેચંગે એક ઉપવાસોત્સવ પણ ઉજવાયો. ભર ભાદરવે ગુજરાતમાં સત્તા અને વપિક્ષે જાણે ગૌરીવ્રત કર્યા હોય તેવો ઉપવાસી પ્રદર્શનનો માહોલ સર્જાયો. એકના વાઈબ્રન્ટ ઉપવાસ હતા તો બીજાના ફૂટપાથ. આમ તો બંને બીજાને ઉપવાસ કરાવે તેવા છે. તેમને કોઈ ગ્રહો પણ નડે તેમ નથી પણ રાજકારણમાં બીજાને નડે તેવા ગ્રહ છે. પોતાનું વજન ઘટાડવા નહીં પણ રાજકીય વજન વધારવાના ઉપવાસ હતા.
૧૯૪૭માં ગાંધીજીએ નોઆખલીમાં કોમી સદભાવ ઉપવાસ કોમી તોફાનો વચ્ચે કરેલા. ૧૯૫૬માં મોરારજી દેસાઈએ તોફાનો દરમિયાન જ શાંતિ માટે ઉપવાસ કર્યા હતા. મુખ્યમંત્રીના ઉપવાસ સદભાવ, વિકાસ અને શાંતિ માટે હતા. જોકે આજે ગુજરાતમાં ત્રણેયમાંથી એકેય માથે જોખમ નથી. કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉપવાસ સામે સત્યાગ્રહ સ્વરૂપના હતા.
કોંગ્રેસનું કહેવું છે કે તોફાનો સમયે સદભાવ બતાવવાની જરૂર હતી ત્યારે મુખ્યમંત્રીએ બતાવ્યો નથી અને અસરગ્રસ્તોને પુનર્વસન, વળતર, રાહત વગેરે માટે અદાલતોમાં જવું પડ્યું છે. તે સમયે ભોગ બનેલાની મુલાકાતો પણ લેવાનું ટાળીને ઘટનાને એકશનના રિએકશ તરીકે ગણાવી હતી. તેમના જ પક્ષના વડાપ્રધાન વાજપેયીએ રાજધર્મ બજાવવાની શીખ આપી હતી અને મુખ્યમંત્રીનું રાજીનામું લેવાની પણ પક્ષીય સ્તરે તેમણે લાગણી પ્રગટ કરી હતી.
રથયાત્રામાં જતા મુખ્યમંત્રી દાયકામાં કદી તાજિયામાં ગયા હોય એવું ભાળ્યું નથી. વેંકૈયાનાયડુએ કહ્યું તેમ હવે આ બધું ભૂલી જવું જોઈએ. વાત સાચી છે કે ક્યાં સુધી યાદ કરવું. મુખ્યમંત્રી તે દુ:ખદ ઘટના અંગે માફી ન માગે તે સમજયા પણ એક શાસક તરીકે સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી તો સ્વીકારી શકે કે નહીં? પક્ષીય સ્તરે ચૂંટણીની હારની નૈતિક જવાબદારી પક્ષપ્રમુખ પણ સ્વીકારતા જ હોય છે. ન્યાયવિહીન સદભાવની વાત મગરનાં આંસુ સારવા જેવી છે.
આ બધું છતાં આ બધું ભૂલીને ઉપવાસ ટાણે સદભાવ દર્શાવવા અનેક મુસ્લિમ મૌલવીઓ, સૂફી સંતો અને સામાન્ય મુસ્લિમો આવ્યા કે લાવવામાં આવ્યા. મુખ્યમંત્રીએ બધા ધર્મો, સંપ્રદાયો કે જ્ઞાતિઓની પાઘડી હોંશભેર પહેરી પણ ઇબાદતની સફેદ ટોપી પહેરવાનું ઉચિત ન લાગ્યું. છાશ લેવા જવું ને દોણી સંતાડવા જેવો ઘાટ થયો. દૂધનો દાઝયો છાશ ફૂંકીને પીએ તેમ અડવાણીની પેઠે રખેને ઝીણાની મજાર પર ચાદર જેવી ઘટના જેવા પ્રત્યાઘાતો પડે તો! સત્તા અને વિપક્ષ બંને માટે ૨૦૧૨ની આગામી વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ સમા ઉપવાસ હતા.
મુખ્યમંત્રી સફળતાપૂર્વક ૨૦૧૨ની વિધાનસભાની વેતરણી પાર કરીને ૨૦૧૪માં રાષ્ટ્રીય રાજનીતિમાં પક્ષ પ્રમુખ કે વડાપ્રધાનપદ સુધી પહોંચવા માગે છે પણ રાષ્ટ્રીય સ્વીકૃતિ માટે પેલી કટ્ટરતાની છાપ હમેશાં આડી આવે છે તે દૂર કરવાનું અભિયાન તેમણે કરવું જ રહ્યું. છેલ્લા થોડા સમયમાં વધતી અદાલતી ભીંસ, લોકાયુક્તની નિમણુંક, હરેન પંડ્યાનો ચુકાદો, ભ્રષ્ટાચારના મુદ્દે પહેલી જ વાર કોંગ્રેસની સંયુક્ત આક્રમક અસરકારક ભૂમિકા, પક્ષમાં ઉમા ભારતી અને સંજય જોશીનું પુનરાગમન જેવી અનેક ઘટનાઓને કારણે પહેલીવાર મુખ્યમંત્રી સામે એક સાથે અનેક પડકારો આવ્યા હતા કે તેમને શંકાના દાયરામાં મૂકે અને જવાબ આપવો પડે.
આવા સમયે પ્રજાને ભાવાત્મક મુદ્દે લઈ જઈને ગાડી આડે પાટે ચડાવવાની પણ જરૂર હતી. ત્યારે સૌનો સાથ-સૌનો વિકાસ એનાથી વધુ એક કાંકરે અનેક પક્ષી મારી શકાય તેવો બીજો કયો મુદ્દો હોઈ શકે. આફતોને અવસરમાં પલટવાનું ભરપૂર કૌશલ્ય મુખ્યમંત્રીમાં છે તેનો ઉપવાસ એક વધુ નમૂનો છે.
જોકે વિપક્ષની અતિ નકારાત્મકતા ભૂતકાળની પેઠે મુખ્યમંત્રીને નુકસાનને બદલે ફાયદો પણ કરાવી શકે. મુખ્યમંત્રીનું વલણ એક કથાકાર જેવું રહ્યું. મુખ્યમંત્રીની શૈલી એવી છે કે ચૂંટણી પહેલાં ઉત્સવો, મેળા, સંમેલનો થકી જનસંપર્ક કરી કોંગ્રેસને જવાબ આપવાનું કાર્ય ચૂંટણી પ્રચાર સમયે બાકી રાખવાની છે. પોતાની ટીકાને ગુજરાતના સ્વાભિમાન, ગૌરવ અને અસ્મિતા સાથે જોડીને ભાવાત્મક મુદ્દો બનાવવાની પણ તેમની કળા બેનમૂન છે. કેમ કે ઉપવાસ અને અમેરિકાની પ્રશંસા બેઉ સાથે કેવી રીતે આવ્યા.
જન્મદિને મુખ્યમંત્રીનાં માતુશ્રી હીરાબાએ તેમને રામચરિત માનસની ભેટ આપી. આખા માનસની એક જ ચોપાઈ મુખ્યમંત્રી માટે મહત્વની છે. ‘તુલસી ઈસ સંસારમેં, ભાતભાત કે લોગ સબસે હિલ મિલ કે ચલિયે, જૈસે નદી- નાવ સંજોગ’ અડવાણી નહીં પણ વાજપેયીની નીતિ જ મુખ્યમંત્રીને રાષ્ટ્રીય સ્વીકૃતિ અપાવી શકે. બાકી તો હસવું ને લોટ ફાકવો બેઉ સાથે સંભવ નથી.