વર્ષ ૧૯૮૦ની મધ્યમાં એક ઉચ્ચ શિક્ષિત સજજન તમિલનાડુના મદુરાઈમાં આવેલ અરવિંદ આઈ હોસ્પિટલમાં પહોંચ્યા. તે પોતાની આંખોનું ઓપરેશન કરાવવા માગતા હતા. કાઉન્ટર પર બેઠેલા કલાકેg સર્જરી માટે અંદાજે ત્રણ હજાર રૂપિયા જમા કરાવવા કહ્યું. તે સજજન પાસે તે સમયે ખિસ્સામાં તેટલા રૂપિયા નહોતા, આથી તેમણે ચેકથી ચુકવણી કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ વાતથી કલાર્ક થોડો પરેશાન થઈ ગયો અને કહ્યું કે, તે કોઈ બીજા કાઉન્ટર પર જઈને આ સુવિધા બિલકુલ મફત પ્રાપ્ત કરી શકે છે.
તે સજજન તે મફતવાળા કાઉન્ટર પર ગયા અને આંખોની સારવાર કરાવી. તે એવા ત્રણ કરોડ ૨૦ લાખ દર્દીઓમાં સામેલ છે, જેમણે છેલ્લાં ૩૫ વર્ષમાં ઉપરોકત સંસ્થામાંથી શ્રેષ્ઠ આઈ કેર સુવિધા મેળવી છે. પછીથી તે જ સજજન આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા. તેમનું નામ છે-એપીજે અબ્દુલ કલામ. આ ગ્રૂપ પોતાની સાત હોસ્પિટલો અને ૪૯ ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે ૬૫ ટકાથી વધારે દર્દીઓની સારવાર મફત કરે છે. હોસ્પિટલની શરૂઆત ડૉ.. જી. વેંકટસ્વામીએ વર્ષ ૧૯૭૬માં મદુરાઈ જિલ્લામાં ૧૧ પલંગવાળા ક્લિનિકથી કરી હતી.
દેશમાં આ એક માત્ર એવી સંસ્થા છે, જે માત્ર ત્રણ હજાર રૂપિયા કે તેનાથી ઓછામાં મોતિયાની સારવાર કરે છે. આ ગ્રૂપની સૌથી મોટી સફળતા કે જીત એ છે કે, જે ઇન્ટ્રાઓકયુલર લેન્સ પહેલાં ૧૫૦ ડોલરમાં આયાત થતા હતા, તેની પડતર આ ગ્રૂપ બે ડોલર (માત્ર ૧૦૦ રૂપિયા) સુધી લઈ આવ્યું ! તેમનું મુખ્ય ફોકસ એ બાબત પર કેન્દ્રિત છે કે, નેત્ર સંબંધિત ઉપચારના ખર્ચને ઘટાડવામાં આવે, જેથી અનેક લોકો તેનો લાભ લઈ શકે. વાસ્તવમાં આ હોસ્પિટલ એ વાત માટે પણ બિઝનેસ સર્કલમાં એક ઉદાહરણ બની ગઈ છે કે, તેના સ્ટાફ કર્મચારીઓ અન્ય હોસ્પિટલ કરતાં ઓછો પગાર મળતો હોવા છતાં તેની સાથે સંકળાયેલા રહે છે.
ફંડા એ છે કે, દીવાલ પર લખેલી વાતની જેમ તમારું એક સ્પષ્ટ મશિન હોય અને જો તમારા સ્ટાફમાં ઉપરથી લઈને નીચે સુધી દરેકે તેને આત્મસાત કરી લીધું હોય તો એક કંપની તરીકે શરૂઆતનાં વર્ષોમાં ભલે તમે વધારે નફો ન કમાવ, પરંતુ તમારી સફળતાની કીર્તિ ધીમે ધીમે ચારે તરફ ચોક્કસ પ્રસરાશે.