ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઇઆઇટી)માંથી ભણીને નીકળતા એન્જિનિયરોની ગુણવત્તા પર અસંતોષ દર્શાવીને ઇન્ફોસિસના માનદ્ ચેરમેન નારાયણમૂર્તિએ કહ્યું કે, દેશની આ પ્રતિષ્ઠિત ટેકનીકલ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં પરિવર્તનની જરૂર છે. ન્યૂર્યોકમાં આયોજિત ‘પેન આઇઆઇટી સંમેલન’માં સેંકડો પૂર્વ આઇઆઇટી વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલનાં વર્ષોમાં આઇઆઇટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તેનું કારણ છે કોચિંગ કલાસીસ, જે એન્જિનિયરિંગના અભ્યાસની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.
તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓનું પ્રદર્શન નોકરીઓમાં અને ઉચ્ચ શિક્ષણના વૈશ્વિક ઇન્સ્ટિટ્યૂટમાં ખરાબ રહે છે. આઇઆઇટીની અઘરી પ્રવેશ પરીક્ષાને પાર કરનારા મુખ્ય ૨૦ ટકા વિદ્યાર્થીઓ તો દુનિયામાં ક્યાંય પણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, પરંતુ બાકીના ૮૦ ટકા અપેક્ષિત સ્તરથી નીચે હોય છે. કોચિંગ કલાસીસમાં વિદ્યાર્થીઓને મર્યાદામાં જ શિક્ષણ અપાય છે, જેમાંથી કેટલાક સવાલ પરીક્ષામાં પૂછાય છે.
આ ઉપરાંત અભ્યાસક્રમ સંબંધિત તમામ સામગ્રી અંગ્રેજીમાં હોય છે અને વિદ્યાર્થીઓને ઘણીવાર તે સમજવામાં તકલીફ પડે છે. આથી વિદ્યાર્થીઓ ઉત્તરોને રટીને ગમે તે રીતે કોર્સ પૂરો કરી લે છે, પરંતુ નોકરી મળ્યા બાદ સારો દેખાવ નથી કરી શકતા. પરીક્ષા પ્રણાલી એવી હોવી જોઈએ જે વિદ્યાર્થીઓની સવાલના જવાબ આપવાની ક્ષમતા પારખવાને બદલે તેમના સ્વતંત્ર વિચાર પારખે. આઇઆઇટી ત્યારે જ શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ બની શકશે, જ્યારે તેમની ગવર્નિંગ કાઉન્સિલમાં ૮૦-૯૦ ટકા એલ્યુમ્ની હોય.
ફંડા એ છે કે, તમે જે કોઈ કોર્સ કરો, જે કોલેજમાં પ્રવેશ મેળવો, તમારે એ સુનિશ્વિત કરવું પડશે કે, ગુણવત્તા મામલે કોઈ સમાધાન ન હોય. એક રિપોર્ટ અનુસાર ભારતના ૮૦ ટકા એન્જિનિયર રોજગાર લાયક નથી હોતા. શું એવું ન થઈ શકે કે, આપણે તે ૨૦ ટકા શ્રેષ્ઠ એન્જિનિયરોમાં સામેલ થઈએ કે પછી સારા એન્જિનિયરોની ટકાવારી વધારીએ.