રાજુ આઈઆઈટીમાં ભણનારો એક મેધાવી વિદ્યાર્થી હતો, જે થોડા સમય પૂર્વે નવી દિલ્હીની એક અગ્રણી સંસ્થામાં ત્રણ મહિના માટે ટ્રેઈની તરીકે જોડાયો હતો. તે સંસ્થામાં રવિ તેના વિભાગનો ઇન્ચાર્જ હતો. રાજુ ખૂબ ઝડપથી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નજરોમાં ચઢવા લાગ્યો. રવિથી આ સહન ન થયું અને તેણે રાજુને ઓફિસની એક છોકરી સાથેના સંબંધોના મામલામાં ફસાવી દીધો, જેનાથી રાજુ ડિપ્રેશનનો શિકાર થઈ ગયો અને આખરે તેણે આપઘાત કરી લીધો.
પછીથી આ ઘટનામાં રવિને દોષી ઠેરવાયો અને તેને જેલ થઈ ગઈ. કાર્યસ્થળ પરની આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે, તેનાથી બે લોકોની વ્યવસાયી કારકિર્દી અને એકની જિંદગી ખતમ થઈ ગઈ. કાર્યસ્થળ પર દ્વંદ્વનાં અનેક રૂપ હોઈ શકે છે. શક્ય છે કે, બે કર્મચારીઓની અરસ-પરસમાં ન બનતી હોય કે કોઈને પોતાના સહકર્મચારી સામે ફરિયાદ હોય. બે ટીમો વચ્ચે પ્રતિદ્વંદ્દિતા પણ હોઈ શકે છે કે પછી કર્મચારીઓના વિશાળ ગ્રૂપ અને મેનેજમેન્ટ વચ્ચે ભરોસાની કમી પણ હોઈ શકે છે.
વ્યવસાયી જીવનમાં વિવાદ અને મતભેદ થતા રહે છે. મોટા ભાગના વિવાદ સામાન્ય હોય છે, જેને સરળતાથી દૂર કરી શકાય છે. જ્યારે કેટલાક વિવાદ મોટું સ્વરૂપ લઈ લે છે, જેનાથી અનેક સમસ્યાઓ સર્જાય છે. કોઈ સંસ્થાની સફળતા માટે એ જરૂરી છે કે, તેના કાર્યસ્થળનો માહોલ સકારાત્મક હોય. આવું થતાં કર્મચારી પોતાની અધિકતમ ક્ષમતા સાથે કામ કરી શકે છે અને પોતાની પ્રતિભાને દર્શાવી શકે છે.
મોટા ભાગે તમે તમારી જાતને કોઈ વિવાદ કે તર્ક-વિતર્કમાં ફસાયેલી જોશો અને તમે તેને જે રીતે હેન્ડલ કરો છો તેની ઊંડી અસર તમારી કારકિર્દી પર પડે છે. જ્યારે પણ કોઈ વિવાદ થાય તો શાંતિથી બીજાને તમારી વાત સમજાવવાની કોશિશ કરો. જ્યારે તમે કોર્પોરેટ માહોલમાં હો તો તમારા માટે એક સારા શ્રોતા હોવાની સાથે સાથે સારા સંપ્રેષક હોવું પણ જરૂરી છે.
ફંડા એ છે કે, કાર્યાલયના માહોલમાં થતા દરેક વિવાદ ખરાબ નથી હોતા, કારણ તેનાથી ઘણી વખત સ્વસ્થ હરિફાઈને પ્રોત્સાહન મળે છે અને કર્મચારીઓની તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વધે છે.