મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સંગીત : માનવજાત માટે એક બક્ષિસ ભારતીય સંગીતકારોએ પણ દેશના લોકોના ચહેરા પર છવાયેલા દુ:ખ અને ભયને દૂર કરવા માટે આવું અભિયાન છોડવું જોઈએ.
‘સંગીતથી શરીરમાં જે કંપનો પેદા થાય છે તેનું અંતિમ બિંદુ આંગળીઓ છે. હકીકતમાં સંગીત દરેક વ્યક્તિના અંતરાત્માનો અવાજ હોય છે. જો કોઈ એમ વિચારતું હોય કે માત્ર આંગળીઓ ફેરવવાથી જ પિયાનો વગાડી શકાય છે તો તે તેની મૂળભૂત પદ્ધતિને વિસરી રહ્યો છે.’
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
હું રોમમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં હતી. તે પરા વિસ્તારમાં આવેલો હતો. ચાર હજાર વર્ષ જુનો ઐતિહાસિક વારસો ધરાવતા શહેરમાં તેનું આધુનિક મકાન હતું. અમે જોયું તો નર્સો વૃદ્ધ મહિલાઓની એકદમ ઉત્સાહથી સેવા કરી રહી હતી. દેવળની બહાર આવેલા ભક્તિગૃહની બરાબર સામે જ એક ચમકતો પિયાનો હતો. દેવળમાં રહેલી બેઠકો ધીમે ધીમે વિદૂષક જેવાં કપડાં પહેરેલી મહિલાઓથી ભરાઈ ગઈ. સૌના ચહેરા પર એક અનોખી આતુરતા જોવા મળતી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓ પણ વ્યાકુળતાથી શું થઈ રહ્યું છે એ જોઈ રહી હતી.
‘સેન્ટર રેસોનન્સ’ની સ્થાપક એલિઝાબેથ સોમબાર્ટ સાથે હું આગળ વધી રહી હતી, જે અહીં એક કોન્સર્ટ રજુ કરવાની હતી. યજમાન નર્સ તરફથી કોઈપણ જાતનો પરિચય રજુ કરવામાં આવ્યો નહીં. એલિઝાબેથ જાતે જ ઊભી થઈ અને કહ્યું કે તે બાચ, બીથોવન, ચોપીન અને ડિબસ્સીની રચનાઓ રજુ કરવા જઈ રહી છે. શું તે શરૂ કરી શકે છે? ધીમા ગણગણાટ સાથે મંજુરી આપવામાં આવી. જેવું તેણે શરૂ કર્યું ત્યાં સુધીમાં તો આખું દેવળ ભરાઈ ગયું હતું.
હું ત્રીજી પાટલીએ બેઠી હતી અને પાછળ વળીને જોયું તો છેવાડે સુધીના લોકો એકીટશે સામે જ જોઈ રહ્યા હતા. દસ મિનિટ પછી દર્શકોમાં કંઇક પરિવર્તન આવ્યું હોવાનો મને અહેસાસ થયો. બધે જ નિરવ શાંતિ પથરાઈ ગઈ હતી. સુંદર સંગીતે સૌને જકડી લીધા હતા. દરેક પ્રસ્તુતિ બાદ તાળીઓનો અવાજ મોટો ને મોટો થઈ રહ્યો હતો. પંચાવન મિનિટના કાર્યક્રમ બાદ સૌના ચહેરા ખુશ દેખાતા હતા, કેટલાકની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં, જાણે કે કોઈ એક મોટી યાત્રામાંથી પસાર થયાનો અનુભવ થઈ રહ્યો હતો.
એલિઝાબેથ એક અલગ પ્રતિભા ધરાવતી મહિલા છે. એક એવી મહિલા જે અધ્યાત્મનું ઊંડું જ્ઞાન ધરાવે છે અને તેનું માનવું છે કે સંગીતમાં તંદુરસ્તી બક્ષવાની અને સમગ્રનો અનુભવ કરાવવાની ભરપૂર તાકાત છે. ૯૦ના દાયકાના અંતિમ તબક્કામાં તેણે પેરિસ ખાતે પોતાના પ્રથમ સેન્ટરનો પ્રારંભ કર્યો. અત્યારે તેના સેન્ટર સ્વીટ્ઝર્લેન્ડના તેના ગૃહનગર લોસેન ઉપરાંત રોમ, બૈરુત અને મેડ્રિડમાં આવેલા છે.
તેઓ એકમાત્ર ધ્યેય ધરાવે છે : શાસ્ત્રીય સંગીત થકી જે રાહત મેળવવા માગતા હોય તેમને મદદ કરવી. રોમ ખાતે આવેલું તેમનું સેન્ટર ૫૦ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલું છે - અનાથાશ્રમો, હોસ્પિટલો, મનોચિકિત્સા કેન્દ્રો, જેલ, રિમાન્ડ હોમ અને આવી જ બીજી સંસ્થાઓ. તેઓ વર્ષમાં ૮૦ વખત તેમની સામે કાર્યક્રમ રજુ કરે છે. આની સાથે-સાથે એલિઝાબેથ વિશેષ પ્રતિભા ધરાવતા સંગીતકારોને સ્પેશિયલ તાલીમ પણ આપે છે, જેઓ પાછળથી તેમની આવી કોન્સર્ટમાં કાર્યક્રમ રજુ કરશે.
‘સંગીતકારોએ સંગીતમાં રહેલી તાકાતને પીછાણવી જોઈએ, માત્ર કોન્સર્ટ માટે જ નહીં પરંતુ જીવન માટે પણ.’ તેણે જણાવ્યું. આ ઉપરાંત તેના સેન્ટરમાં જે કોઈ પણ સંગીત શીખવા માગતું હોય તેમને પણ શિખવાડવામાં આવે છે. તેના વિદ્યાર્થીઓની ઉંમર ૫ થી ૯૩ વર્ષ સુધીની છે. આ માત્ર પિયાનો નથી જે તમે કલ્પના કરો છો, આ પિયાનો વગાડવો પ્રાણાયામની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે.
‘સંગીત વાગવાથી શરીરમાં જે કંપનો પેદા થાય છે તેનું અંતિમ બિંદુ આંગળીઓ છે. હકીકતમાં સંગીત દરેક વ્યક્તિના અંતરાત્માનો અવાજ હોય છે. જો કોઈ એમ વિચારતું હોય કે માત્ર આંગળીઓ ફેરવવાથી જ પિયાનો વગાડી શકાય છે તો તે તેની મૂળભૂત પદ્ધતિને વિસરી રહ્યો છે.’ આથી તેના દરેક વિદ્યાર્થી માટે શરીરની રચના સમજવાનો એક લાંબો કોર્સ છે, જેમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરના અંદર ઉદ્ભવતા ભાવને સમજવાના હોય છે.
આ બાબત જ મને તેના તરફ ખેંચી ગઈ હતી. ઝેરમટ ખાતેની કોન્ફરન્સમાં મેં તેને પ્રથમ વખત સાંભળી હતી, એ વખતે તે સ્ટેજ પર હતી. મારી નજર તેના શ્વાસોશ્વાસ પર ગઈ અને મારી બાજુમાં રહેલી વ્યક્તિને મેં કહ્યું, ‘સંગીત વગાડવા માટે તે પ્રાણાયામનો ઉપયોગ કરી રહી છે.’ ખરેખર મારું અનુમાન સાચું હતું. તેની કોન્સર્ટ બાદ દર્દીઓ પર કેવી અસર થાય છે એ ડોક્ટરોએ તેને જણાવ્યું હતું. માનસિક રીતે બીમાર દર્દીઓ શાંત પડી જતા હોય છે, હિંસક દર્દીઓ કેટલાક કલાકો માટે પોઝિટિવ વિચારતા થઈ જતા હતા.
એલિઝાબેથ તેના આ કામમાં વધુને વધુ શાસ્ત્રીય સંગીતકારોને જોડવા માગે છે. પોતાની પાસે રહેલાં સંગીતના આ ખજાનાને તે બક્ષિસ તરીકે સૌને આપવા માગે છે. તેના માસ્ટર કલાસમાં જુદી-જુદી વયની મહિલાઓને આ સંગીત વગાડતી અને સાંભળતી જોઈને મને લાગ્યું કે ભારતીય સંગીતકારોએ પણ દેશના લોકોના ચહેરા પર છવાયેલા દુ:ખ અને ભયને દૂર કરવા માટે આવું અભિયાન છોડવું જોઈએ.